T20 World Cup, 2nd Semi-Final at Mumbai, India vs England : ટી20 વર્લ્ડકપ-2026માં સુપર-8નો તબક્કો પૂરો થયા બાદ આવતીકાલ (3 માર્ચ)થી સેમિ ફાઈનલની રસાકસી શરૂ થવાની છે. પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસી જોવા મળશે, જ્યારે બીજીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે દમદાર મુકાબલો થશે. ભારતની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે મેચ પહેલા ક્રિકેટ રસિયાઓમાં સવાલ છે કે, જો વરસાદના કારણે ભારત-ઈંગ્લેન્ડની મેચ રદ થાય તો શું થશે? ફાઈનલમાં કંઈ ટીમની એન્ટ્રી થશે? તો આ સવાલ મુદ્દે આજે આપણે જાણી શું કે, મેચ રદ થવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સ (ICC)નો નિયમ શું કહે છે.
વરસાદ પડશે તો સેમિ ફાઈનલ મેચનું શું થશે?
આઈસીસી દ્વારા નોકઆઉટ મુકાબલા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવે છે. પાંચમી માર્ચના રોજ ભારત-ઈંગ્લેન્ડની મેચમાં જો વરસાદ પડશે અને મેચ રદ થશે તો તે માટે પણ સુવિધા ઉભી કરાઈ છે. એટલે કે છ માર્ચના રોજ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ શરૂ થઈ જાય પછી વરસાદના કારણે અધવચ્ચે મેચ અટકાવવામાં આવે એટલે કે પાંચમી તારીખે મેચ પુરી ન થાય તો બાકી રહેલી મેચ રિઝર્વ ડેના દિવસે રમાડવામાં આવશે. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને મેચ ન રમાય તો ટીમ ઈન્ડિયાને નુકસાન થશે. જો મેચ રદ થઈ તો ઈંગ્લેન્ડની ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચી જશે.
વરસાદ મામલે ICCનો નિયમ શું છે?
આઈસીસીના નિયમ મુજબ, જો મેચ રદ થાય તો સુપર-8માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમને ફાઈનલમાં એન્ટ્રી મળી જશે. ઈંગ્લેન્ડે સુપર-8માં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેની જીત થઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચમાંથી બે મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કર્યો છે. આવી સ્થિતિમાં નિયમ મુજબ ઈંગ્લેન્ડને ફાયદો થશે. જો હવામાન સાથ નહીં આપે તો ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
8 માર્ચે ફાઈનલ મેચ
સેમિ ફાઈનલમાં કુલ ચાર પહોંચી ગઈ છે, જેમાં ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. આવતીકાલે પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે, જ્યારે પાંચમી માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે. આ બંને સેમિફાઈનલમાં જે ટીમ જીતશે તેઓ 8 માર્ચે ફાઈનલ મેચ રમશે.


