'હું ભાંગી પડ્યો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી...' બેંગલુરુ નાસભાગ અંગે કોહલીની પ્રતિક્રિયા
Virat Kohli Reaction On Bangluru Stampede | બુધવારે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગની ઘટનામાં લગભગ 11 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. આ દુર્ઘટના અંગે આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી.વિરાટ કોહલીએ આ સાથે આરસીબીનું સત્તાવાર નિવેદન શેર કર્યું હતું.
આ અકસ્માત પર આરસીબીએ શું કહ્યું
આરસીબીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, 'બપોરે બેંગલુરુમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશિત કરાયેલી કમનસીબ ઘટનાઓ વિશે જાણી અમે ખૂબ જ દુઃખી છીએ. દરેકની સલામતી અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરસીબી અમારા ફેન્સના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. પરિસ્થિતિની જાણ થતાં જ, અમે તાત્કાલિક અમારું ટાઈમ ટેબલ બદલી નાખ્યું અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા બધા સમર્થકોને કૃપા કરીને સુરક્ષિત રહેવા વિનંતી કરીએ છીએ.'
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શું કહ્યું?
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. તેમણે ભાજપના પ્રશ્નો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ નાસભાગ મચી હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ.