Sports

ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ ગુપ્તા? 25 દેશની 2500 અરજીમાં થયા શોર્ટલિસ્ટ

By GS TEAM
7 Jul 20252 mins read
TukuTouch Logo
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. આઈસીસીના સાતમા સીઈઓ બનવા જઈ રહેલા સંજોગ આજે સોમવારથી પદભાર સંભાળશે. આ પદ માટે 25 દેશોમાંથી 2500થી વધુ અરજી આવી હતી. ઉમેદવારોમાં સ્પોર્ટ્સ ગવર્નિંગ બૉડી સાથે જોડાયેલા લીડર્સથી માંડી વિવિધ ક્ષેત્રોના સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ સામેલ હતાં.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ ગુપ્તા? 25 દેશની 2500 અરજીમાં થયા શોર્ટલિસ્ટ

ICC CEO Sanjog Gupta: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. આઈસીસીના સાતમા સીઈઓ બનવા જઈ રહેલા સંજોગ આજે સોમવારથી પદભાર સંભાળશે. આ પદ માટે 25 દેશમાંથી 2500થી વધુ અરજી આવી હતી. ઉમેદવારોમાં સ્પોર્ટ્સ ગવર્નિંગ બૉડી સાથે જોડાયેલા લીડર્સથી માંડી વિવિધ ક્ષેત્રોના સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ સામેલ હતાં.

આઈસીસીએ નવા સીઈઓની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આઈસીસી સંજોગ ગુપ્તાનું સ્વાગત કરે છે. તે ક્રિકેટની વૈશ્વિક યાત્રાને એક પરિવર્તનકારી ભવિષ્ય તરફ લઈ જવા સજ્જ છે. આઈસીસીએ માર્ચમાં વૈશ્વિક ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. 

સંજોગ ગુપ્તા પાસે વ્યાપક અનુભવ

ICCના ચેરમેને જણાવ્યું હતું કે, મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે, આઈસીસીએ સંજોગ ગુપ્તાની સીઈઓ પદે નિમણૂક કરી હતી. સંજોગ પાસે રમતની વ્યૂહનીતિ અને કોમર્શિયાલાઈઝેશનનો વ્યાપક અનુભવ છે. જે આઈસીસી માટે અમૂલ્ય રહેશે. ગ્લોબલ સ્પોર્ટ્સ અને મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રમાં તેમનું ઊંડુ જ્ઞાન, ક્રિકેટ ચાહકોનો દ્રષ્ટિકોણ જાણવાની જિજ્ઞાસા, અને ટેક્નોલોજી પ્રત્યેનો જુસ્સો આગામી વર્ષમાં રમતને નવી ઊંચાઈએ પહોંચાડવાની મહત્ત્વાકાંક્ષામાં અગત્યની રહેશે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય

12 ઉમેદવારોને કર્યા હતાં શોર્ટલિસ્ટ

આઈસીસીની એચઆર અને રેમ્યુનરેશન કમિટીએ 12 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતાં. જેમની પ્રોફાઈલ નોમિનેશન કમિટી સાથે જોડવામાં આવી હતી. આ કમિટીમાં આઈસીસીના ડેપ્યુટી ચેરમેન ઈમરાન ખ્વાજા, ઈસીબીના ચેરમેન રિચર્ડ થોમ્પસન, શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વા અને બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા સામેલ હતાં. શોર્ટલિસ્ટિંગ બાદ નોમિનેશન કમિટીએ સર્વાનુમતિએ સંજોગ ગુપ્તાની ભલામણ કરી હતી. આ ભલામણ આઈસીસીના ચેરમેન મૂલ્યાંકન અને આંકલન બાદ સ્વીકારી હતી. 

કોણ છે સંજોગ ગુપ્તા

દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ આર્ટ્સ (ઓનર્સ)ની ડિગ્રી મેળવ્યા બાદ સંજોગ ગુપ્તાએ દિલ્હીમાં ધ ટ્રિબ્યુનમાં સ્પોર્ટ્સ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મીડિયાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. 2010માં સ્ટાર ઈન્ડિયાના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે જોડાયા હતાં. જ્યાં તેમણે પ્રોગ્રામિંગ, સ્ટ્રેટેજી સહિત અનેક લીડરશીપ ભૂમિકા ભજવી હતી. બાદમાં  2020માં ડિઝ્ની એન્ડ સ્ટાર ઈન્ડિયાના સ્પોર્ટ્સના સીઈઓ બન્યા હતાં. વાયકોમ 18 અને ડિઝ્ની સ્ટાર બાદ ગુપ્તા નવેમ્બર, 2024માં જિઓ સ્ટારમાં સ્પોર્ટ્સ એન્ડ લાઈવ એક્સપિરિયન્સના સીઈઓ તરીકે જોડાયા હતા.

સંજોગ ગુપ્તાએ ક્રિકેટની ટોચની ઈવેન્ટ્સ આઈસીસી ટુર્નામેન્ટ, આઈપીએલના નિરંતર વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગ જેવી સ્થાનિક સ્પોર્ટ્સ લીગની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું છે. તેમણે ભારતમાં પ્રીમિયમ લીગ અને વિમ્બલડન જેવી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટની લોકપ્રિયતા વધારવામાં પણ ભાગ ભજવ્યો છે.  સીઈઓ પદ સંભાળ્યા બાદ તેઓ લોસ એન્જલ્સ ઓલિમ્પિક ગેમ્સ 2028માં ક્રિકેટને સામેલ કરવાના પ્રયાસો કરશે.