Get The App

મુંબઈ ઈન્ડિયન્સમાંથી હાર્દિક પંડ્યાની વિદાય નક્કી? રોહિત શર્માની 'મરજી'થી બનશે નવો કેપ્ટન: રિપોર્ટ

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ ઈન્ડિયન્સમાંથી હાર્દિક પંડ્યાની વિદાય નક્કી? રોહિત શર્માની 'મરજી'થી બનશે નવો કેપ્ટન: રિપોર્ટ 1 - image


Hardik Pandya to Leave Mumbai Indians: IPL 2026માં ખરાબ પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં મોટું સંકટ સર્જાયું છે. સ્પોર્ટ્સ મીડિયા અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એટલું જ નહીં, મેનેજમેન્ટ સાથેના ખરાબ સંબંધોને કારણે તે ટીમ છોડવાનું વિચારી રહ્યો છે.

મેનેજમેન્ટનો મત- રોહિત શર્માને હટાવવાની ભૂલ ભારે પડી! 

મુંબઈ ઈન્ડિયન્સે 2026ની સીઝનમાં 14માંથી માત્ર 4 મેચ જીતી છે. આ નિષ્ફળતા બાદ હવે ફ્રેન્ચાઇઝી પોતાની ભૂલ સુધારવા માંગે છે. 2024માં રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવો એ નિર્ણય ટીમ માટે ઘાતક સાબિત થયો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સનું મેનેજમેન્ટ આવી ભૂલ ફરી કરવા માંગતું નથી.

રોહિત શર્માના આશીર્વાદથી નક્કી કરાશે નવો કેપ્ટન

આગામી કેપ્ટન કોણ હશે? તે પ્રશ્નના જવાબમાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન તે જ હશે જેને 'રોહિત શર્માના આશીર્વાદ' હશે. જોકે, રોહિત શર્મા પોતે ફરીથી કેપ્ટન બનશે નહીં, પરંતુ તે નવા કેપ્ટનની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

હાર્દિક પંડ્યાની વિદાય?

હાર્દિક પંડ્યા અને ટીમ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર હાર્દિક ટ્રાન્સફર માટે વિનંતી કરશે. આશરે બે અઠવાડિયામાં હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે સ્પષ્ટ નિર્ણય આવી શકે છે. રોહિત શર્માની સલાહથી લેવાયેલો નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સને ફરી એકવાર સફળતાના પથ પર લાવશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.