Get The App

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 131 કરોડનું ઈનામ મળતાં હરભજન સિંહ ચોંક્યો, BCCIને આપી સલાહ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
Harbhajan Singh on BCCI Rs. 131 cr Prize Money
(IMAGE - IANS)

Harbhajan Singh on BCCI Rs. 131 cr Prize Money: સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બદલ BCCIએ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, જે 2024માં અપાયેલા ઇનામ કરતા 6 કરોડ વધુ છે. ભારત હવે ટાઈટલ જાળવી રાખનાર અને યજમાન તરીકે ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જોકે, પૂર્વ સ્પિનર હરભજન સિંહે આટલી મોટી સફળતા સામે હજુ વધુ ઇનામની અપેક્ષા વ્યક્ત કરી છે.

BCCIના 131 કરોડના ઈનામ પર હરભજન સિંહની પ્રતિક્રિયા

મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'હું હજુ પણ વધુ રકમની અપેક્ષા રાખી રહ્યો હતો, કારણ કે જ્યારે આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવામાં આવે ત્યારે તેનું ઈનામ પણ એટલું જ મોટું હોવું જોઈએ. જોકે, આખા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા અને વિશ્વને ભારતની તાકાત બતાવવા બદલ હું ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.'

ટ્રોફીને મંદિર લઈ જવા પર વિવાદ: કીર્તિ આઝાદના સવાલ પર હરભજનનો વળતો પ્રહાર

વર્લ્ડ કપ ટ્રોફીને મંદિરે લઈ જવા બદલ કીર્તિ આઝાદે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'ટ્રોફી સમગ્ર દેશની છે, તો તેને અન્ય ધર્મસ્થાનો પર કેમ ન લઈ જવાઈ? તેમના મતે વિવિધતા ધરાવતા ભારતમાં તમામ ધર્મોનું સન્માન થવું જોઈએ.'

આ નિવેદન પર હરભજન સિંહે આકરો જવાબ આપતા કહ્યું કે, 'આ મુદ્દાને ખોટી રીતે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. જો કોઈ ખેલાડીની શ્રદ્ધા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં હોય, તો તે ત્યાં જઈ શકે છે.જો ખેલાડીઓએ પોતાની આસ્થા મુજબ ભગવાન પાસે પ્રાર્થના કરી હોય અને જીત બાદ આભાર માનવા મંદિરે ગયા હોય, તો તેમાં ખોટું શું છે? રમતની જીતની ઉજવણી કરવાને બદલે આવા નિવેદનો આપવા તે કમનસીબ છે.'

આ પણ વાંચો: બુમરાહ હવે T20Iથી રહેશે દૂર? 2027ના વર્લ્ડ કપ માટે BCCI એ ઘડ્યો માસ્ટર પ્લાન

ICCએ પણ ખજાનો ખોલ્યો

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત બાદ ICC તરફથી ભારતને વિજેતા તરીકે અંદાજે 21.5 કરોડ રૂપિયા($2.34 મિલિયન)નું ઈનામ મળ્યું છે. જ્યારે રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમને અંદાજે 10.75 કરોડ રૂપિયા($1.17 મિલિયન)ની રકમ ફાળવવામાં આવી છે. આ જીત સાથે ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 131 કરોડનું ઈનામ મળતાં હરભજન સિંહ ચોંક્યો, BCCIને આપી સલાહ 2 - image