કેપ્ટન તરીકે કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં હારતાં ગિલનું દર્દ છલકાયું, જુઓ કોને જવાબદાર ઠેરવ્યો
IND VS ENG 1st TEST : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતને કારણે, યજમાન ઇંગ્લેન્ડ હવે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે.
શુભમને કોને જવાબદાર ઠેરવ્યાં?
લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાસે જીતવાની તક હતી પરંતુ નબળી ફિલ્ડિંગ, નીચલા ક્રમના બેટ્સમેનોની નબળી બેટિંગ અને નબળી બોલિંગે ટીમને ડૂબાડી દીધી. હાર બાદ, ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દુઃખ છલકાઈ ગયું. શુભમને હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. શુભમને કહ્યું કે હું 430 રનની નજીકનો સ્કોર આપવા માંગતો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં. મારા મતે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ઓપનિંગ ભાગીદારીએ અમારાથી મેચ છીનવી લીધી.
શુભમને કહ્યું અમને આશા હતી કે...
શુભમન ગિલે મેચ પછી કહ્યું, 'આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમારી પાસે પણ તક હતી, પરંતુ અમે કેચ છોડ્યા અને અમારા નીચલા ક્રમના બેટ્સમેનોએ ખાસ યોગદાન ન આપ્યું. હજુ પણ મને ટીમ પર ગર્વ છે અને એકંદરે અમે સારો પ્રયાસ કર્યો. ગઈકાલ સુધી અમે વિચારી રહ્યા હતા કે અમે 430 સુધી પહોંચીશું અને ઇનિંગ્સ ડિક્લેર કરીશું. કમનસીબે અમારી છેલ્લી 6 વિકેટો ફક્ત 20-25 રન જ ઉમેરી શકી, જે સારો સંકેત નહોતો. તેમની શાનદાર ઓપનિંગ ભાગીદારી છતાં, મને લાગ્યું કે અમારી પાસે હજુ પણ તક છે, પરંતુ આ મેચ અમારા પક્ષમાં ન ગઈ .'
પહેલી ઇનિંગમાં છેલ્લી 7 વિકેટ 41 રનમાં પડી
પહેલી ઇનિંગ્સમાં, ભારતીય ટીમની છેલ્લી 7 વિકેટો 41 રનમાં પડી ગઈ. જ્યારે બીજી ઇનિંગ્સમાં, તેની છેલ્લી 6 વિકેટો 31 રનમાં પડી ગઈ. આ અંગે, શુભમન ગિલે કહ્યું, 'અમે આ વિશે ચર્ચા કરી હતી, પરંતુ જ્યારે તમે મેદાન પર હોવ છો, ત્યારે બધું ખૂબ જ ઝડપથી થાય છે. મને લાગે છે કે આ એક એવી બાબત છે જેમાં આવનારી મેચોમાં સુધારો કરવો પડશે. ચોક્કસપણે, આવી વિકેટો પર તકો સરળતાથી મળતી નથી. અમે કેટલાક કેચ છોડ્યા, પરંતુ અમારી ટીમ યુવાન છે અને હજુ પણ શીખી રહી છે. આશા છે કે, આગામી મેચોમાં અમે આ પાસાઓમાં સુધારો કરીશું.