David Lloyd on virat Kohli : હાલમાં ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર વિરાટ કોહલી પોતાના ફોર્મને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર સીરિઝ દરમિયાન કોહલી સતત ઓફ સ્ટમ્પની બહાર બોલ રમવામાં તેણે વારંવાર પોતાની વિકેટ ગુમાવી હતી. કોહલીની આ નબળાઈ જોઈને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે પણ કોહલીની ટેસ્ટ કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે કોહલીનો શ્રેષ્ઠ સમય ખતમ થઇ ગયો છે.
શું કહ્યું લૉયડે?
ડેવિડ લૉયડે કહ્યું હતું કે, 'વિરાટ કોહલી જાણે છે કે તેનો શ્રેષ્ઠ સમય ખતમ થઈ ગયો છે. જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ આવશે ત્યારે તમને ખબર હશે કે તે ક્યાં હશે. બધાની નજર ઓફ સ્ટમ્પ અને સ્લીપના ખેલાડીઓ પર રહેશે. 36 વર્ષની ઉંમરે તે જાણે છે કે તેણે શું કરવું જોઈએ. તે આપણે જોયેલા મહાન બેટરોમાંનો એક છે તે આપણે જોયું છે. પરંતુ હવે તેણે પોતાનો શ્રેષ્ઠ સમય પાર કરી લીધો છે. કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા ખૂબ મોટી હશે કારણ કે તે ડ્રેસિંગ રૂમમાં રહી ચૂક્યો રહ્યા છે. તેણે(વિરાટ કોહલી) સમય બગાડ્યો છે અને હવે તેનો સમય પૂરો થઇ ગયો છે.'
એક જ નબળાઈના કારણે વારંવાર આઉટ થતો કોહલી
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી પરંતુ ત્યારબાદ તે દરેક ઇનિંગમાં વારંવાર લગભગ એ જ રીતે આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોએ કોહલીની નબળાઈને ઓળખી ગયા હતા અને તેમણે સતત કોહલી સામે એક જ લાઇન અને લેન્થથી બોલિંગ કરી હતી. ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર કોહલી થોડો સમય ધીરજ રાખતો હતો પરંતુ પછી તે ધીરજ ગુમાવી દેતો અને બહાર જતા બોલને રમવા જતા આઉટ થઈ જતો હતો.


