ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો સ્ટાર બેટર
Karun Nair Injured: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 20 જૂનથી લીડ્સ, ઈંગ્લેન્ડમાં રમાશે. આ ટેસ્ટમાં 33 વર્ષીય બેટર કરુણ નાયર રમે તેવી શક્યતા છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા આ ખેલાડી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. 18 જૂનના રોજ, નેટ પ્રેક્ટિસ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાના શોર્ટ બોલનો સામનો કરતી વખતે તેને ઈજા થઈ હતી. કરુણને પેટ પર બોલ વાગ્યો હતો. જોકે, આ ઈજા હળવી હતી અને કોઈ ગંભીર સમસ્યા નહોતી.
વર્ષ 2017 પછી કરુણ નાયર ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા
નેટમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો સામનો કરતી વખતે કરુણ નાયરને પાંસળીમાં ઈજા થઈ હતી. આ સિરીઝ કરુણ નાયર માટે આ એક મોટી તક છે, કારણ કે તે વર્ષ 2017 પછી તે આ પહેલી ટેસ્ટ મેચ રમે એવી અપેક્ષા છે. પસંદગીકારો દ્વારા અવગણવામાં આવ્યા બાદ, કરુણ નાયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.
શું આ ઈજા કરુણ નાયરની ટેસ્ટ વાપસીને અસર કરશે?
નેટ પ્રેક્ટીસ કરતી વખતે, કરુણ નાયર શોટ રમવામાં થોડો મોડો પડ્યો અને પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ તેના પર વાગ્યો. બોલ તેને વાગતાની સાથે જ કૃષ્ણા તરત જ તેની પાસે પહોંચી ગયો. જોકે નાયરને થોડીક સેકન્ડ માટે દુખાવો થયો, પરંતુ થોડીવાર પછી તે હસતો જોવા મળ્યો.
ત્યારબાદ તેણે ફિઝિયો અને ટીમના બાકીના ખેલાડીઓને તેના શરીર પર બોલનું નિશાન પણ બતાવ્યું. હવે જોવાનું એ છે કે આ ઈજા ગંભીર છે કે નહિ તેમજ શું તે તેના ટેસ્ટ વાપસીને અસર કરશે?
આ પણ વાંચો: પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ, શેર કર્યો હેલ્થ રિપોર્ટ
કરુણ નાયરની ટેસ્ટ કારકિર્દી
કરુણ નાયરની ટેસ્ટ ક્રિકેટ સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. વર્ષ 2016 માં ઈંગ્લેન્ડ સામે 303* રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ, થોડા મહિનામાં જ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો. ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 2017 ની ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, જ્યાં તેણે 3 ટેસ્ટ મેચમાં ફક્ત 53 રન બનાવ્યા.
આ પછી, વર્ષ 2018 ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને તક મળી નહીં. પરંતુ નાયરે ક્યારેય હાર માની નહીં. તેણે સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. કરુણે વર્ષ 2023 માં કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે તે પછી તેણે 2024-25ના વર્ષની ડોમેસ્ટિક સિઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, જેમાં 863 રણજી ટ્રોફી રનનો સમાવેશ થાય છે. આ બધા પ્રદર્શનને કારણે, તેની ફરી એકવાર નોંધ લેવામાં આવી. હવે નાયર લગભગ 8 વર્ષ પછી ટેસ્ટમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે, કારણ કે રિષભ પંત નંબર 5 પર બેટિંગ કરશે અને કેપ્ટન શુભમન ગિલ નંબર 4 પર (કોહલીની જગ્યાએ) બેટિંગ કરશે.