Get The App

'જો ટોળા પર કંટ્રોલ ન કરી શકો તો આવા જશ્નની જરૂર નથી', બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
'જો ટોળા પર કંટ્રોલ ન કરી શકો તો આવા જશ્નની જરૂર નથી', બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન 1 - image


IPL 2025: આઈપીએલ 2025ના સમાપન બાદ ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે હવે તૈયાર છે. કેટલાક ખેલાડી પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ખેલાડી ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ પ્રવાસની તમામ માહિતી શેર કરવા માટે ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની સાથે કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા.

બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન

બેંગલુરૂ દુર્ઘટના પર કોચ ગંભીરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે આ દુર્ઘટનાના જવાબદારને કઈ રીતે માનો છો? તો ગંભીરે કહ્યું કે, હું કોઈ નક્કી કરવા વાળો નથી કે કોણ જવાબદાર છે. પરંતુ જ્યારે હું ખેલાડી હતો ત્યારે પણ હું આવા રોડ શો પર ભરોસો નહોતો કરતો. કોચ તરીકે પણ હું તેના પક્ષમાં નથી. લોકોનું જીવન સૌથી જરૂરી છે. જો તમે ભીડ પર કંટ્રોલ ન કરી શકો તો પછી આવા રોડ શોની કોઈ જરૂર નથી.

'જો ટોળા પર કંટ્રોલ ન કરી શકો તો આવા જશ્નની જરૂર નથી', બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન 2 - image

હું હંમેશાથી માનું છું કે રોડ શો ન થવા જોઈએ. મારું દિલ તે પરિવારો માટે દુઃખી છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવી દીધા. જ્યારે 2007માં અમે જીત્યા હતા, ત્યારે પણ મારું એવું જ માનવું હતું. આવા આયોજનો બંધ દરવાજાની અંદર અથવા સ્ટેડિયમમાં થવા જોઈએ. ત્યાં જે કંઈ થયું તે ખૂબ જ દુઃખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઈઝી અને ફેન તરીકે વધુ જવાબદાર હોવાની જરૂર છે. કારણ કે લોકોના જીવન સૌથી મહત્ત્વના છે.

ખેલાડીઓની પસંદગીના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, ખેલાડીઓને એક અથવા બે મેચના આધાર પર નક્કી ન કરી શકીએ. કોચિંગ દરમિયાન હું હંમેશા પ્રેશરમાં રહું છું. જે સીરિઝ રમાઈ ચૂકી છે તેમાં પણ પ્રેશરમાં હતો. હજું પણ છું. દેશ માટે જીતવું સૌથી વધુ જરૂરી છે.

પ્લેઇંગ ઇલેવનના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, તમામ કંડીશન જોઈને ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. તે હિસાબથી સ્પિનર્સ અને ફાસ્ટ બોલર સામેલ કરાશે. ટેસ્ટ સીરિઝમાં બોલરોની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. અમારી સ્ક્વૉડમાં ઘણા સારા પ્લેયર્સ છે અને અમને આ સીરિઝમાં દબદબો બનાવવાની સંપૂર્ણ આશા છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાની આ ટેસ્ટ સ્કવૉડમાં બુમરાહ પણ સામેલ છે. પરંતુ તે તમામ મેચમાં રમશે કે નહીં તેને લઈને આશંકા છે. 

શુભમન ગિલે શું કહ્યું?

કેપ્ટનશીપના સવાલ પર ગિલે કહ્યું કે, જેમ જેમ ખેલાડીઓ રમે છે તેમ તેમ શીખે છે. મારે ટીમ સાથે વાતચીત કરવી અને તેને સમજાવવા પડશે. આ આપણી મજબૂતી હશે. અમારી ટીમમાં બુમરાહ જેવા દિગ્ગજ બોલર છે. અમારા પેસ બોલરો ખૂબ સારા છે. અમારી બોલિંગ ખૂબ જ આક્રમક રહેશે. 

ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ. 


Tags :