'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી
David Warner Criticized Air India: ગુરુવારે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ દુર્ઘટના હ્રદય કંપાવનારી હતી. જોકે અકસ્માતના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં એર ઇન્ડિયાનો ભૂતપૂર્વ કર્મચારી દાવો કરે છે કે આ પ્લેનમાં ઘણા વર્ષોથી સમસ્યાઓ હતી પરંતુ તેને અવગણવામાં આવી હતી.
હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી કરીશ નહીં: ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર લાંબા સમયથી IPLનો ભાગ છે અને ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તે ઘણી વખત ભારતનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે અને આ સમય દરમિયાન તેણે ભારતમાં પોતાના પરિવાર સાથે ઘણો સમય પણ વિતાવ્યો છે. જોકે, ડેવિડ વોર્નર એર ઇન્ડિયાના ભૂતપૂર્વ કર્મચારીના દાવાઓથી ખૂબ જ હચમચી ગયો છે અને તેણે કહ્યું છે કે, 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.'
આ સાથે જ ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયામાં સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, 'જો કર્મચારીની આ વાત સાચી હોય, તો તે ખૂબ જ આઘાતજનક છે. બધા પરિવારો પ્રત્યે સંવેદના. હવે હું ફરી ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.'
આ પણ વાંચો: શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી એક નાગરિક સિવાય બધાના મોત થયા હતા. આ સિવાય મેસ તથા હોસ્ટેલમાં હાજર અનેક લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયાની માહિતી છે.