BCCIને મોટો ઝટકો, આ જૂની IPL ટીમને આપવા પડશે 538 કરોડ રૂપિયા: કોર્ટનો કડક આદેશ
IPL Kochi termination dispute: પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈમાં BCCIને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે BCCIને કોચી ટસ્કર્સને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2011માં IPL ટીમ કોચી ટસ્કર્સ કેરળને ટર્મિનેટ (બહાર) કરી દીધી હતી. ત્યાર બાદથી જ ટીમ માલિકો અને BCCI વચ્ચે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, BCCI એ ટીમ માલિકોને 538 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, કારણ કે ટીમને નિયમો પ્રમાણે કોઈ નક્કર કારણ વિના બહાર કરવામાં આવી હતી.
BCCIને કોચી ટસ્કર્સ કેરળને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
એકંદરે 2011માં કોચી ટસ્કર્સ કેરળ (KTK) ની IPL ટીમને હટાવવા મામલે BCCI ને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 2015માં BCCI વિરુદ્ધ આપેલા નિર્ણયને યથાવત રાખ્યો છે અને તેને કુલ 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ અંતર્ગત 385.50 કરોડ રૂપિયા કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ (KCPL)ને અને 153.34 કરોડ રૂપિયા રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડ (RSW) ને ચૂકવવા પડશે. કોચી ટસ્કર્સ કેરળ ટીમ માત્ર 2011માં IPL રમી હતી અને તે સીઝનમાં 10 માંથી આઠમા સ્થાને રહી હતી. તે સિઝનમાં ટીમની કેપ્ટનશીપ નેતૃત્વ શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્ધને કરી હતી. ટીમ KCPL અને RSWની માલિકીની હતી.
સપ્ટેમ્બર 2011માં BCCI એ ટીમને એવું કહીને બહાર કરી દીધી હતી કે, તમે સમયસર બેંક ગેરંટી નથી આપી. KCPL અને RSWએ 2012માં મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરી હતી અને કહ્યું હતું કે કરારને આ રીતે ખતમ કરવું એ ખોટુ છે. મધ્યસ્થી ટ્રિબ્યુનલે 2015માં તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેણે KCPL ને 384.8 કરોડ રૂપિયાથી વધુનું વળતર, વ્યાજ અને ખર્ચની સાથે-સાથે RSW ને 153.3 કરોડ રૂપિયાથી વધુનું વળતર પરત કરવાનો આદેશ આપ્યો હતો. BCCI એ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ મામલે જસ્ટિસ રિયાઝ આઈ ચાગલાએ કહ્યું કે, આ કેસમાં કોર્ટની શક્તિ આર્બિટેશન એક્ટના સેક્શન 34 હેઠળ ખૂબ જ મર્યાદિત છે. તેમણે એમ પણ કહ્યું કે, BCCI એ બેંક ગેરંટીનો ખોટી રીતે ઉપયોગ કર્યો, જે KCPL સાથેના કરારનું ઉલ્લંઘન હતું. તેથી મધ્યસ્થ (arbitrator)નો નિર્ણય સાચો હતો. BCCI ને આગામી 6 અઠવાડિયામાં અપીલ કરવાની તક આપવામાં આવી છે.
કોચી ટસ્કર્સ કેરળ ટીમ
કોચી ટસ્કર્સ કેરળ (KTK) એ હવે બંધ થઈ ચૂકેલી IPL ફ્રેન્ચાઈઝી છે, જે કોચી (કેરળ) શહેરનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ ટીમને 2011ની IPL સીઝન માટે સામેલ કરવામાં આવી હતી, તે જ વર્ષે પુણે વોરિયર્સ ઈન્ડિયા પણ નવી ટીમ તરીકે જોડાઈ હતી. આ ટિમની માલિકી કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડની હતી, જે ઘણી કંપનીઓનું એક કન્સોર્ટિયમ હતું. KTK માત્ર એક જ સીઝનમાં રમી હતી, ત્યારબાદ BCCIએ આ ટીમને 2012માં ટર્મિનટ કરી દીધી હતી.