BCCI Summons Gautam Gambhir Ajit Agarkar: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર સહીત ટીમ મેનેજમેન્ટની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. આ બેઠક બુધવારે રાયપુરમાં થશે. આ જ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ છે. આ બેઠક મેચ પહેલા યોજાશે. એક અહેવાલ પ્રમાણે બોર્ડ ગંભીર અને અગરકર પાસેથી ટેસ્ટ ક્રિકેટની વ્યૂહરચના, ટીમ પસંદગી અને સિનિયર ખેલાડીઓ સાથે મેનેજમેન્ટના સંબંધો અંગે સ્પષ્ટતા માગશે. આ બેઠકમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ સાથે ટીમ મેનેજમેન્ટના વર્તન અને વાતચીત અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવશે.
જાણો બેઠકમાં કોણ-કોણ સામેલ થશે
અહેવાલ પ્રમાણે બેઠકમાં BCCIના સચિવ દેવજીત સૈકિયા, સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયા, હેડ કોચ ગૌતમ ગંભીર અને રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સામેલ થશે. BCCI અધ્યક્ષ મિથુન મનહાસ બેઠકમાં સામેલ થશે કે નહીં તે સ્પષ્ટ નથી. બેઠક મેચના દિવસે જ હોવાથી સિનિયર ખેલાડીઓ આ બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા નહીવત્ છે.
BCCIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બેઠકનો ઉદ્દેશ્ય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવાનો, પસંદગીમાં સુસંગતતા અને ટીમના પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.
બોર્ડ આ બાબતથી ચિંતિત
અધિકારીએ સ્વીકાર્યું કે, બોર્ડ ટેસ્ટ ફોર્મેટમાં તાજેતરના થયેલી બાબતોથી ચિંતિત છે. તેમણે કહ્યું કે, 'હોમ ટેસ્ટ સિઝન દરમિયાન મેદાન પર અને મેદાન બહારની વ્યૂહરચનાઓ અંગે મૂંઝવણના ઉદાહરણ જોયા. અમે સ્પષ્ટતા અને ફોરવર્ડ પ્લાનિંગ ઈચ્છીએ છીએ, ખાસ કરીને ત્યારે જ્યારે આગામી ટેસ્ટ સીરિઝ 8 મહિના બાદ છે.'
આ બેઠકમાં ચર્ચા માત્ર ટેસ્ટ ક્રિકેટ સાથે સંબંધિત બાબતો પર જ નહીં થશે. અધિકારીએ સ્વીકાર્યું કે, વર્તમાન ટીમ મેનેજમેન્ટ જે રીતે મર્યાદિત ઓવરોમાં સીનિયર ખેલાડીઓ સાથે વર્તન કરી રહ્યું છે તેનાથી અસ્વસ્થતા વધી છે.
અધિકારીએ આગળ કહ્યું કે, 'ઈન્ડિયા આગામી વર્ષે T20 વર્લ્ડ કપ ડિફેન્ડ કરવા માટે ફેવરિટ છે અને ત્યારબાદ વનડે વર્લ્ડ કપ માટે મજબૂત દાવેદાર છે. તેથી અમે આ મુદ્દાઓને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા માંગીએ છીએ.'
આ બે સિનિયર ખેલાડીઓ સાથેના વ્યવહાર પર પણ ચર્ચા થશે
રિપોર્ટમાં કોઈનું નામ તો નથી લેવામાં આવ્યું પરંતુ પરિસ્થિતિ એ તરફ ઈશારો કરે છે કે, વર્તમાન મેનેજમેન્ટનો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ સાથે સવાંદ અને વ્યવહાર અંગે બોર્ડમાં પણ અસહજતા છે. બંને દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. નવા મેનેજમેન્ટના બંને ખેલાડીઓ સાથે વ્યાજબી સંવાદમાં અભાવ અંગે ઘણીવાર ચર્ચાઓ થાય છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ સીનિયર ખેલાડીઓ ક્યાંક ખુદને અલગ-થલગ ન અનુભવે તેથી BCCIનો હસ્તક્ષેપ જરૂરી છે. રાયપુર બેઠકમાં આ તમામ બાબતોને ઠીક કરવા પર ભાર મૂકવામાં આવશે.


