BCCI 35 Player Pool: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે બેક-અપ નહીં પણ પેરેલલ ફોર્સ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે ઈન્ટરનેશનલ શિડ્યુલ એટલું પેક છે કે એક જ સમયે બે અલગ-અલગ દેશોમાં ભારતની બે સ્પર્ધાત્મક T20 ટીમો રમતી જોવા મળી શકે છે. આ માટે BCCI એ IPL 2026 ના પર્ફોર્મન્સના આધારે 30 થી 35 ખેલાડીઓનો એક ખાસ પૂલ બનાવવાનું નક્કી કર્યું છે.
કેમ પડી બે ટીમોની જરૂર?
આ વર્ષના અંતમાં ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ એકબીજા સાથે ટકરાઈ રહી છે. એક તરફ એશિયન ગેમ્સ રમાવાની છે, તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ છે. આ બંને ટુર્નામેન્ટ એક જ સમયે હોવાથી ભારતને બે અલગ ટીમોની જરૂર પડશે. BCCI ના એક અધિકારીએ જણાવ્યું કે, આગામી આયર્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે અમે અત્યારથી જ 30-35 ખેલાડીઓ તૈયાર રાખીશું. જેથી કોઈ પણ અસાઇનમેન્ટ માટે ખેલાડીઓની અછત ન વર્તાય.
IPL માંથી કયા કયા નામ છે રેસમાં?
BCCI ની નજર આ વખતે માત્ર શ્રેષ્ઠ 15 પર નહીં, પણ શ્રેષ્ઠ 35 પર છે. પસંદગીકારોના રડાર પર રહેલા કેટલાક મુખ્ય નામો આવ્યા છે જેમાં બેટિંગમાં યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્યા, અંગકૃષ રઘુવંશી, રજત પાટીદાર અને આયુષ બદોની જેવા ખેલાડીઓ છે. આ ઉપરાંત ઓલરાઉન્ડરમાં શશાંક સિંહ અને અનુકૂલ રોય જેવા ખેલાડીઓ છે જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ, અશોક શર્મા અને કાર્તિક ત્યાગી અને વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ મુખ્ય દાવેદાર છે.
શ્રેયસ અય્યર સંભાળી શકે છે કમાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર આ બીજી T20 ટીમનું નેતૃત્વ કરી શકે છે. ભારતનો લક્ષ્યાંક માત્ર રમવાનો જ નહીં પણ 2028 ના ઓલિમ્પિક્સ સુધીમાં એક એવો મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાનો છે જે કોઈપણ સ્થિતિમાં ટાઈટલ જીતવા માટે સક્ષમ હોય.
યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક
આ IPL સીઝન તમામ યુવા ખેલાડીઓ માટે મોટો મેસેજ લઈને આવી છે. જો તમે IPL માં શાનદાર પ્રદર્શન કરશો, તો ભલે તમે મુખ્ય 15 માં ન હોવ, પણ દેશ માટે રમવાની તક મળવાની શક્યતા અનેકગણી વધી ગઈ છે. સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ આ પ્લાનનું પરીક્ષણ થઈ શકે છે.


