Get The App

'પહેલા ફિટનેસ સાબિત કરો પછી જ..', હાર્દિક પંડયા-રોહિત શર્માને BCCIનું કડક અલ્ટિમેટમ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
'પહેલા ફિટનેસ સાબિત કરો પછી જ..', હાર્દિક પંડયા-રોહિત શર્માને BCCIનું કડક અલ્ટિમેટમ 1 - image

BCCI On Rohit Sharma And Hardik Pandya Fitness: અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી ત્રણ મેચોની વન-ડે સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ કડક વલણ અપનાવતા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને અલ્ટીમેટમ આપ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો. આમ, બંને ખેલાડીઓએ બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) ખાતે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.

સ્કવોડમાં પસંદગી પણ રમવા સામે સસ્પેન્સ

BCCI દ્વારા અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના નામની આગળ ફિટનેસની શરત મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા 2 જૂન બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સીલન્સ પહોંચી ગયો છે, જ્યાં તે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી સખત ફિટનેસ ડ્રિલ અને શારીરિક આકલન માંથી પસાર થશે. મેડિકલ ટીમ તરફથી 'રીટર્ન ટુ પ્લે' (RTP) ક્લિયરન્સ મળ્યા બાદ જ મેદાન પર તેના રમવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે, IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે હાર્દિક પંડ્યાને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા નડી હતી, જેના કારણે તે કેટલીક મેચો રમી શક્યો ન હતો. હાર્દિકે પોતાની છેલ્લી વન-ડે મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. બીજી તરફ, રોહિત શર્મા પણ IPL દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાતો હતો.

જયવર્ધનેએ રોહિતની ફિટનેસનો દાવો કર્યો

આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માની ફિટનેસ અંગે બચાવ કરતા દાવો કર્યો હતો કે, રોહિત હવે 100 ટકા ફિટ છે. IPL માં રોહિતનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ માત્ર ટીમની રણનીતિનો એક ભાગ હતો અને તેનો ફિટનેસ સાથે કોઈ સંબંધ નહોતો. જોકે, BCCI કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.

13 જૂનથી વન-ડે સિરીઝનો પ્રારંભ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ આગામી 13 જૂનથી ધર્મશાલા ખાતે શરૂ થશે. બીજી વન-ડે 17 જૂને લખનઉ અને ત્રીજી તથા અંતિમ વન-ડે 20 જૂને ચેન્નાઈ ખાતે રમાશે. ભારતીય પસંદગીકારોએ આ સિરીઝ માટે શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવ્યા છે. હવે ક્રિકેટપ્રેમીઓની નજર હાર્દિક અને રોહિતના ફિટનેસ ટેસ્ટના રિપોર્ટ પર ટકેલી છે.

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા (ફિટનેસને આધીન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ફિટનેસને આધીન), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.