ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો, 2023માં જ... : પૂર્વ પસંદગીકારનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI Decided To Replace Rohit Sharma With Gill in 2023: જ્યારે 2025ના એશિયા કપ પહેલા શુભમન ગિલને ભારતની T20 ટીમનો વાઈસ-કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેને ત્રણેય ફોર્મેટના કેપ્ટન અને ભારતીય ક્રિકેટના નવા પોસ્ટર બોય તરીકે જોઈ રહ્યું છે. ગિલને પહેલાથી જ ટેસ્ટ અને વન-ડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી ચૂકી હતી અને હવે તે 2026ના T20 વર્લ્ડ કપ પછી T20 ટીમની પણ કેપ્ટનશીપ કરશે તેવી શક્યતા છે. જોકે, આ વચ્ચે હવે પૂર્વ પસંદગીકાર સલિલ અંકોલાએ સનસનીખેજ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, 'BCCIએ 2023માં મન બનાવી લીધું હતું કે, રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવશે.'
ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો
જ્યારે વિરાટ કોહલી બાદ રોહિત શર્મા કેપ્ટન બન્યો ત્યારે તે પહેલાથી જ 30 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો હતો. બધાને ખબર હતી કે રોહિત લાંબા સમય સુધી કેપ્ટન નહીં રહેશે. આ વચ્ચે BCCIને ગિલના રૂપમાં એક મોટો વિકલ્પ મળ્યો, જેણે ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ સીરિઝમાં જ શાનદાર પ્રદર્શન કર્યું અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2-2 થી ડ્રો કરાવી. શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો, પરંતુ બોર્ડ અને પસંદગીકારોએ તેને રોહિતના ઉત્તરાધિકારી તરીકે પહેલેથી જ ઓળખી લીધો હતો. ગિલે 2023માં ઘણા રન બનાવ્યા હતા.
અમે હંમેશા વિચાર્યું હતું કે ગિલ કેપ્ટન બનશે
પૂર્વ BCCI પસંદગીકાર સલિલ અંકોલાએ ખુલાસો કર્યો કે, બોર્ડે 2023માં સમય આવવા પર રોહિતની જગ્યા લેવા માટે ગિલને એક ઉમેદવાર તરીકે વિચારી લીધો હતો. એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા સલિલ અંકોલાએ કહ્યું કે, 'અમે હંમેશા વિચાર્યું હતું કે ગિલ કેપ્ટન બનશે. અમે 2023માં જ આ ભૂમિકા માટે તેના માટે વિચારી લીધુ હતું. અમને વિશ્વાસ હતો કે, તે આ કમાન સંભાળી લેશે. પસંદગીકારો માત્ર કોચ અને કેપ્ટન પાસે જ નહીં પરંતુ અન્ય સીનિયર ખેલાડીઓ પાસેથી પણ સૂચનો લે છે. તેમને પણ લાગ્યું કે તે યોગ્ય વ્યક્તિ છે, અહીં સુધી કે, જે ખેલાડીઓ નિવૃત થઈ ચૂક્યા હતા તેમને પણ તે યોગ્ય લાગ્યો.'
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ પસંદગીકારો અને BCCIએ શુભમન ગિલને કેપ્ટન બનાવી દીધો. જ્યારે આગામી વન-ડે સીરિઝ આવી તેમાં પણ શુભમન ગિલ કેપ્ટન હતો. તેની પાછળનું કારણ એ હતું કે, બોર્ડને 2027 વર્લ્ડ કપ માટે કેપ્ટનની પસંદગી કરવાની હતી, કારણ કે રોહિત શર્મા માત્ર વન-ડે ફોર્મેટમાં જ એક્ટિવ હતો, પરંતુ તેની ઉંમર 38ની પાર થઈ ચૂકી હતી. આ સાથે-સાથે પોતાની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં 756 રન બનાવીને તેણે દેખાડી દીધું કે તે કેપ્ટનશીપના બોજથી દબાશે નહીં.
ગિલે સાબિત કરી બતાવ્યું
એક ટેસ્ટ અને 20 વન-ડે ઈન્ટરનેશનલ રમનારા અંકોલાએ આગળ જણાવ્યું કે, આ એક સામૂહિક નિર્ણય છે. બધાએ તે અનુભવ્યું અને તેણે ઈંગ્લેન્ડમાં તે સાબિત પણ કર્યું. કેટલી શાનદાર સીરિઝ હતી તેની. આટલા દબાણ હેઠળ જો તે ઈંગ્લેન્ડમાં 750 રન બનાવે છે, તો તે તેની માનસિક ક્ષમતા દર્શાવે છે. લોકો કહેશે કે કોઈ બીજાને કેપ્ટન બનાવવો જોઈતો હતો અથવા કોઈ બીજાને પાછો લાવવો જોઈતો હતો. માણસો ખૂબ જ અસંતુષ્ટ આત્માઓ હોય છે. તમે ગમે તેટલું સારું કરો તેઓ તેમાં કંઈકને કંઈક તો ખરાબ શોધી જ કાઢશે. લોકોને લાગે છે કે, તેમને બધું જ ખબર છે.








