BCCI Contacted VVS Laxman to Replace Gautam Gambhir as Test Coach: ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સારો દેખાવ નથી કરી રહી. હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં ભારતનો પરાજય થયો હતો. જે બાદથી જ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીર સામે સવાલો ઊભા થયા હતા. એવામાં ન્યૂઝ એજન્સી PTI અનુસાર BCCIના એક અધિકારીએ ગૌતમ ગંભીરને બદલે નવા કોચ માટે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો.
BCCIના એક અધિકારીએ VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો!
નોંધનીય છે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તો ગૌતમ ગંભીરનો રૅકોર્ડ સારો છે. તેમના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં જીત હાંસલ કરી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રૅકોર્ડ સારો નથી. SENA દેશો સામે ભારત ટેસ્ટ ક્રિકેટમાં 10 મેચો હાર્યું. એવામાં ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે ભારતની ભૂંડી હાર બાદ BCCI હરકતમાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર BCCIના એક અધિકારીએ અનૌપચારિક રીતે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો અને તેમને ટેસ્ટ ક્રિકેટ માટે ટીમને કોચિંગ આપવા પૂછ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં બદલાવ કરવા માંગે છે BCCI?
જોકે સામે એક સમયના દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણે જવાબ આપ્યો હતો કે તેઓ બેંગલુરુમાં સેન્ટર ઑફ એક્સિલેન્સમાં પ્રમુખ તરીકે કામ કરીને ખુશ છે. નોંધનીય છે કે BCCIનો ગૌતમ ગંભીર સાથે વનડે વર્લ્ડકપના અંત સુધીનો કોન્ટ્રાક્ટ છે. પાંચ સપ્તાહ બાદ ટી20 વર્લ્ડકપ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત કેવું રમે છે તેના આધારે ગંભીરનું ભવિષ્ય નક્કી કરાય તેવી શક્યતા છે. BCCI ટેસ્ટ ક્રિકેટ માટે ગૌતમ ગંભીરને જ કોચ રાખવા કે નહીં તે અંગે પણ વિચાર કરી રહ્યું છે.


