Get The App

T20 વર્લ્ડ કપમાં ભારતનો બહિષ્કાર ભારે પડ્યો! બાંગ્લાદેશને હવે પસ્તાવો થયો, કોચનું દર્દ છલકાયું

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
T20 વર્લ્ડ કપમાં ભારતનો બહિષ્કાર ભારે પડ્યો! બાંગ્લાદેશને હવે પસ્તાવો થયો, કોચનું દર્દ છલકાયું 1 - image


Bangladesh Coach Salahuddin Slams Government Over India Match Cancellation : બાંગ્લાદેશ ક્રિકેટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આગામી બાંગ્લાદેશ ક્રિકેટ લીગ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કોચ મોહમ્મદ સલાહુદ્દીને સરકાર અને બોર્ડ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. ભારત સાથે રમવાનો ઈનકાર કરવાના નિર્ણયને તેમણે ખેલાડીઓના સપનાની હત્યા સમાન ગણાવ્યો છે.

ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા

મોહમ્મદ સલાહુદ્દીને અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, જ્યારે કોઈ ખેલાડી વર્લ્ડ કપ રમવા જાય છે, ત્યારે તે પોતાની સાથે 27 વર્ષ જૂનું સપનું લઈને જતો હોય છે. પરંતુ રાજકીય કારણોસર ભારત સામે ન રમવાનો નિર્ણય લેવાતા ખેલાડીઓ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે. સલાહુદ્દીને ખુલાસો કર્યો કે, "મારા બે ખેલાડીઓ તો પાંચ દિવસ સુધી જાણે માનસિક કોમામાં સરી પડ્યા હોય તેવી સ્થિતિમાં હતા. તેઓ અંદરથી તૂટી ગયા હતા, હવે તેમને ફરીથી મેદાન પર ઉતારવા એ જ મોટો પડકાર છે."

શિક્ષક થઈને આટલું મોટું જૂઠ?

કોચ સલાહુદ્દીને આસિફ નઝરુલ પર આકરા પ્રહારો કરતા તેમને 'જૂઠ્ઠા' કહ્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા આને સરકારનો નિર્ણય ગણાવ્યો અને પછી તેને બોર્ડ તથા ખેલાડીઓનો સામૂહિક નિર્ણય કહીને પલ્ટી મારી ગયા. સલાહુદ્દીને ઉમેર્યું, "હું પોતે પણ એક શિક્ષક છું અને સામાન્ય રીતે શિક્ષકો આટલું ખુલ્લેઆમ જૂઠું બોલે તેની કલ્પના પણ ન કરી શકાય. ઢાકા યુનિવર્સિટી સાથે જોડાયેલી વ્યક્તિ આ રીતે યુ-ટર્ન લે તે સ્વીકાર્ય નથી. હવે હું ખેલાડીઓ સામે મારું મોઢું કેવી રીતે બતાવીશ?"

IPL પર પ્રતિબંધ અને વિવાદનું કારણ

બાંગ્લાદેશે સુરક્ષા અને રાજકીય તણાવને ટાંકીને ભારત સામે મેચ રમવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે વર્લ્ડ કપમાં તેમની જગ્યાએ સ્કોટલેન્ડને સ્થાન મળ્યું હતું. વિવાદ ત્યારે વધ્યો જ્યારે તેજ બોલર મુસ્તાફિઝુર રહેમાનને BCCI ના નિર્દેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રીલીઝ કરી દીધો. ત્યારબાદ બાંગ્લાદેશ સરકારે ખેલાડીઓની સુરક્ષાનું કારણ આપીને ટીમ મોકલવાની મનાઈ કરી અને IPL ના પ્રસારણ તથા પ્રમોશન પર પણ અનિશ્ચિતકાળ માટે રોક લગાવી દીધી છે.