પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતને ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરને માથામાં ઈજા થઇ
Axar Patel Injured before India vs Pakistan: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં સતત ત્રીજી જીત નોંધાવી છે. પોતાના અંતિમ ગ્રુપ-સ્ટેજ મુકાબલામાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, જોકે ઓમાને તેમને સખત ટક્કર આપી હતી. હવે ભારતનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થશે, જે સુપર-4માં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ હશે. પરંતુ આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.
અક્ષર પટેલને ઈજા: પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થવાની શક્યતા
ઓમાન સામેની મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા થઈ, જેના કારણે તે બીજી ઇનિંગ્સ પૂરી કરી શક્યો નહીં. ઓમાનની ઇનિંગ્સની 15મી ઓવરમાં, અક્ષરે એક કેચ પકડવાનો પ્રયાસ કર્યો. જોકે, બોલ તેમના હાથમાંથી છૂટી ગયો અને આ પ્રયાસમાં તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠો, જેના કારણે તેનું માથું જમીન સાથે અથડાયું. આ ઘટના બાદ તે મેદાન પર પાછો ફર્યો ન હતો. એવી શક્યતા છે કે અક્ષર પાકિસ્તાન સામેની આગામી મહત્ત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ શકે છે.
ટી. દિલીપે અક્ષર પટેલની ઈજા પર શું કહ્યું?
ઓમાન સામેની મેચ બાદ ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે માહિતી આપી કે અક્ષરની તબિયત સારી છે, પણ તેમનું પાકિસ્તાન સામે રમવું મુશ્કેલ છે. કારણ કે, આગામી મેચ પહેલાં ટીમ ઇન્ડિયા પાસે તૈયારી માટે બહુ ઓછો સમય છે.
આ પણ વાંચો: India vs Oman: એશિયા કપમાં ભારત સતત ત્રીજી મેચ જીત્યું, ઓમાનને 21 રનથી હરાવ્યું
ઉલ્લેખનીય છે કે ઓમાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો, અને તેમની જગ્યાએ અર્શદીપ અને હર્ષિત રાણાને ટીમમાં સમાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન સામે ભારત કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે તે જોવું રસપ્રદ રહેશે.