કોમામાં જતો રહેલો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી બહાર! બોલવાનું પણ શરૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Damien Martyn: ગોલ્ડ કોસ્ટની એક હોસ્પિટલમાં મેનિનઝાઈટિસ (મગજના તાવ) ની સારવાર લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, 54 વર્ષીય વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરને ટૂંક સમયમાં ICUમાંથી બહાર ખસેડવામાં આવશે.
ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી બહાર આવ્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સે બે દિવસ પહેલા કહ્યું હતું કે, માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે અને પોતાના પ્રિયજનો સાથે વાત કરી રહ્યો છે.
માર્ટિનના સાથી ખેલાડી રહેલા અને મિત્ર એડમ ગિલક્રિસ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'છેલ્લા 48 કલાકમાં કંઈક અવિશ્વસનીય જેવી ઘટના ઘટી છે. ડેમિયન હવે વાત કરી રહ્યો છે અને તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે. તેની પત્ની અમાન્ડા દરેકને કહેવા માગે છે કે તમારી દુઆની અસર થઈ છે.'
ડેમિયન માર્ટિનનું કરિયર
54 વર્ષીય ડેમિયન માર્ટીનની ઓળખ એક શાનદાર બેટ્સમેન તરીકેની રહી છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ 1992માં બ્રિસ્બેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કર્યું હતું, જેમાં બંને ઈનિંગ્સમાં તેણે 36 અને 15 રન બનાવ્યા હતા. પોતાના કરિયર દરમિયાન માર્ટિન પોતાની સુંદર અને સ્ટાઈલિશ બેટિંગ માટે પણ જાણીતો હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 67 ટેસ્ટ અને 208 વનડે મેચ રમી છે.
જમણા હાથના બેટ્સમેન ડેમિયન માર્ટિન 1990ના દાયકાના અંત અને 2000ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના દબદબા વાળા સમયમાં મિડલ ઓર્ડરનો મજબૂત ખેલાડી રહ્યો છે. તે 1999 અને 2003ના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો હતો.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં, જાણો મેનિનઝાઈટિસ બીમારી છે શું?
2003 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માર્ટિને અણનમ 88 (84 બોલ) રન બનાવ્યા અને કેપ્ટન રિકી પોન્ટિંગ (121 બોલમાં 140*) સાથે 234 રનની જંગી પાર્ટનરશિપ કરી. આ શાનદાર પાર્ટનરશિપના દમ પર ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 359/2 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ડેમિયન માર્ટિન મેનિનઝાઈટિસ બીમારીથી પીડાઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે, ડેમિયન માર્ટિન હાલમાં મેનિનઝાઈટિસ જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો છે. આ બીમારીમાં વ્યક્તિના મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલમાં સોજો આવી જાય છે. તે મગજમાં સોજાનું કારણ બની શકે છે. આ બીમારીમાં વ્યક્તિને મગજમાં તાવ આવી જાય છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.









