શું સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાશે? ગુપ્ત દસ્તાવેજમાં ખુલી પોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs BAN Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટના મેદાન પર ફરી એકવાર રોમાંચક જંગ જોવા મળી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ભારત સહિત અન્ય કેટલીક દ્વિપક્ષીય સિરીઝના વૈશ્વિક મીડિયા રાઇટ્સ માટે ટેન્ડર બહાર પાડતાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની ટીમ ભારત ન આવવાના કારણે BCCI નારાજ હતું, જેના લીધે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ સ્થગિત કરાયો હતો. જોકે હવે સામે આવેલા એક નવા અહેવાલ મુજબ, આ પ્રવાસ સપ્ટેમ્બરમાં યોજાય તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
એક અહેવાલ અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની સિરીઝના ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા રાઇટ્સ વેચવા માટે સત્તાવાર ટેન્ડર જાહેર કર્યું છે. ભારતીય બ્રોડકાસ્ટર્સને મોકલવામાં આવેલા સંદેશમાં BCBએ વર્ષ 2026 અને 2027ની મેચોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ દસ્તાવેજો 2 જુલાઈથી BCBની ઓફિસમાંથી ઉપલબ્ધ થશે.
ટેન્ડરમાં કઈ-કઈ સિરીઝનો કરાયો છે ઉલ્લેખ?
BCB દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ મુજબ, આગામી સમયમાં નીચે દર્શાવેલી આંતરરાષ્ટ્રીય હોમ સિરીઝ રમાનારી છે:
- ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ 2026 (3 વન-ડે અને 3 T20 મેચ)
- વેસ્ટ ઇન્ડિઝનો બાંગ્લાદેશ પ્રવાસ 2026 (2 ટેસ્ટ મેચ)
- ઇંગ્લેન્ડનો બાંગ્લાદેશ પ્રવાસ 2027 (2 ટેસ્ટ મેચ)
- પાકિસ્તાનનો બાંગ્લાદેશ પ્રવાસ 2027 (5 વન-ડે મેચ)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શું વિવાદ હતો?
બંને દેશો વચ્ચે ઓગસ્ટ-સપ્ટેમ્બરના ગાળામાં 3 વન-ડે અને 3 T20 મેચોની સિરીઝ રમાવાની હતી. પરંતુ ગયા વર્ષના અંતમાં અને જાન્યુઆરી 2026 દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો હતો. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા કથિત અત્યાચારોને પગલે BCCIએ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને IPL 2026 માંથી બહાર કરી દીધો હતો. આના વિરોધમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતમાં આયોજિત T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના દેશમાં આઈપીએલના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
શું BCCI આ પ્રવાસ માટે તૈયાર થશે?
હાલમાં બાંગ્લાદેશમાં નવી સરકાર સત્તામાં આવી છે અને BCBનું વહીવટી તંત્ર પણ બદલાયું છે, જેના કારણે સંબંધો સુધરવાની આશા વધી છે. જોકે, આ સિરીઝ રમાશે કે નહીં તેનો અંતિમ નિર્ણય ભારત સરકારના હાથમાં છે.
તાજેતરમાં જ BCCIના સચિવે પીટીઆઈ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય બોર્ડ કેવળ ભારત સરકારના માર્ગદર્શન અને મંજૂરીના આધારે જ બાંગ્લાદેશ પ્રવાસ અંગે કોઈ નિર્ણય લેશે. નોંધનીય બાબત એ પણ છે કે, BCCI એ તાજેતરમાં જ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની 3 વધારાની T20 મેચ રમવાની વિનંતી ફગાવી દીધી છે, કારણ કે આ જ સમયગાળા દરમિયાન ભારત-બાંગ્લાદેશ સિરીઝનું આયોજન કરવાની ગણતરી ચાલી રહી છે.









