Get The App

કોહલીની સેન્ચુરી બાદ શું બોલ્યો હતો રોહિત શર્મા? અર્શદીપ સિંહે આપ્યો રમૂજી જવાબ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
કોહલીની સેન્ચુરી બાદ શું બોલ્યો હતો રોહિત શર્મા? અર્શદીપ સિંહે આપ્યો રમૂજી જવાબ 1 - image

Arshdeep Singh On Rohit Sharma Celebration: રાંચીમાં વિરાટ કોહલીની ધમાકેદાર સદી બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્મા કરતાં વધુ ખુશ કોઈ નહોતું. દક્ષિણ આફ્રિકા સામે કોહલીએ પોતાની 52મી વનડે સદી પૂરી કરવા માટે 135 રનની શાનદાર ઈનિંગ રમી. એક તરફ કોહલી મેદાન પર ઈમોશનલ સેલિબ્રેશન કરી રહ્યો હતો, ત્યારે બીજી તરફ પેવેલિયનમાં રોહિત શર્માનું રિએક્શન પણ જોવા જેવું હતું. આ દરમિયાન કેમેરામાં હિટમેન કંઈક કહેતો પણ દેખાયો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો પોત-પોતાના હિસાબે તેની બોડી લેંગ્વેજનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આમાં અર્શદીપ સિંહે પણ ઝંપલાવ્યું છે.

વિરાટ કોહલીની સેન્ચુરી પછી જ્યારે રોહિત શર્મા આટલા ઉત્સાહથી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તેની સૌથી નજીક ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો. તેથી લોકોએ યુવા ખેલાડીને મેસેજ કરીને પરેશાન કરી દીધો અને એ જણાવવા કહ્યું કે, કોહલીની સેન્ચુરી બાદ રોહિત શું બોલ્યો હતો? હવે અર્શદીપે ચાહકોની વાત માનીને એક નાનો વીડિયો બનાવ્યો અને તેમાં રમૂજી જવાબ આપ્યો છે. 

અર્શદીપે વીડિયોમાં શું કહ્યું?

અર્શદીપની IPL ટીમ પંજાબ કિંગ્સના ઓફિશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અર્શદીપે કહ્યું કે, 'મને ઘણા મેસેજ મળી રહ્યા છે કે વિરાટ ભાઈની સદી પછી રોહિત ભાઈએ શું કહ્યું. તેથી હું જણાવી રહ્યો છું કે, તેમણે શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ''નીલી પરી, લાલ પરી, કમરે મેં બંધ, મુજે નદિયા પસંદ...''.' આમ કહ્યા પછી તે હસવા લાગે છે.



શું ખરેખર રોહિતે આવું કહ્યું હશે?

હવે સવાલ એ છે કે, શું ખરેખર રોહિત આવું બોલ્યો હશે? તો તમે પણ જાણો જ છે કે, આ સવાલનો જવાબ છે 'ના'. છેલ્લા કેટલાક સમયમાં યુઝવેન્દ્ર ચહલ પછી જો ભારતીય ટીમને કોઈ કોમેડી કિંગ મળ્યો હોય તો તે અર્શદીપ સિંહ છે. કોહલીની સેન્ચુરીની ઉજવણી કરતી વખતે રોહિત શર્મા ખૂબ જ ખુશ હતો. તેણે જોરથી તાળીઓ પાડી અને થોડા હિન્દી અપશબ્દો પણ બોલ્યો, આ દરમિયાન અર્શદીપ તેની બાજુમાં ઉભો હતો અને હસી રહ્યો હતો.

'ROKO'એ વર્લ્ડ કપ 2026માં રમવું જોઈએ કે નહીં?

રોહિતની આ આક્રમક પ્રતિક્રિયાને ભારતીય ક્રિકેટમાં ચાલી રહેલી અફવાઓની પુષ્ટિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, તે રોહિત અને કોહલી 2027 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે ટીમ મેનેજમેન્ટ અને સમગ્ર BCCI સાથે લડી રહ્યા છે. આફ્રિકામાં ટુર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધીમાં આ મહાન વનડે જોડી કાં તો 40 વર્ષની થઈ ગઈ હશે અથવા તે ઉંમરની નજીક હશે. 'ROKO' T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. કેટલાક અહેવાલો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પસંદગીકારોને વિશ્વાસ નથી કે તેઓ 2027 વર્લ્ડ કપ સુધી તેમનું પ્રદર્શન જાળવી શકશે અને તેથી જ ત્યાં સુધી તેમને દરેક મેચ માટે માત્ર યોગ્યતાના આધારે જ પસંદ કરવામાં આવશે.