Mumbai News: ભારતીય ક્રિકેટમાં હાલમાં જે પ્રકારે વિજયી અભિયાન ચાલી રહ્યું છે, તેનાથી બીસીસીઆઈ (BCCI) અત્યંત સંતુષ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર અજીત અગરકરના શાનદાર પ્રદર્શનને જોતા બોર્ડ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવવાની તૈયારી કરી રહ્યું છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ જૂન 2026માં પૂરો થઈ રહ્યો છે, પરંતુ હવે તેને વનડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવામાં આવી શકે છે.
સફળતાનો સિલસિલો અને 3 ICC ટ્રોફી
અજીત અગરકર જુલાઈ 2023માં ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. તેમના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે ટ્રોફી જીતીને પોતાની તાકાત બતાવી હતી. T20 વર્લ્ડ કપ 2026માં સતત બીજી વાર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ 2023ના ફાઈનલ સુધી પણ પહોંચી હતી.
આ પણ વાંચો: ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો
નિર્ભય નિર્ણયો અને સ્મૂધ ટ્રાન્ઝિશન
BCCI અગરકરના ફિયરલેસ નિર્ણયોથી ખૂબ પ્રભાવિત છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટમાં સીનિયર અને યુવા ખેલાડીઓ વચ્ચેનું સંતુલન જળવાઈ રહ્યું છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત જેવા ખેલાડીઓને યોગ્ય સમયે લીડરશીપની ભૂમિકામાં લાવવા અને નવા ટેલેન્ટને તક આપવાની તેમની નીતિ સફળ રહી છે.
2027 વર્લ્ડ કપ પર નજર
BCCI હવે સીધી 2027ના વનડે વર્લ્ડ કપ પર નજર રાખી રહ્યું છે. બોર્ડનું માનવું છે કે, અગરકરની વ્યૂહરચના અને સિલેક્શન પોલિસીએ ટીમને નવી દિશા આપી છે. તેથી જ ટીમના વિજયી રથને આગળ ધપાવવા માટે અગરકરને એક્સટેન્શન આપવું એ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.


