Abhishek Sharma Hosiptalized : ટી-20 વર્લ્ડ કપ 2026ના અભિયાનની શરૂઆત વચ્ચે ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મહામુકાબલા પહેલા આ ઘટનાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.
પેટમાં ઈન્ફેક્શન અને તાવે વધારી મુશ્કેલી
અહેવાલો મુજબ, અભિષેક શર્માને પેટમાં ગંભીર ચેપ (ઇન્ફેક્શન) લાગ્યું છે અને તેને તીવ્ર તાવ પણ છે. રવિવારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ઘરે આયોજિત ટીમ ડિનર દરમિયાન પણ તેની તબિયત નાદુરસ્ત જણાતી હતી અને તે વહેલા નીકળી ગયા હતા. સોમવારથી તે હોસ્પિટલમાં છે અને મંગળવારે પણ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નહોતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે અભિષેકની તબિયત થોડા સમયથી ઠીક નથી.
સંજુ સેમસન માટે તક?
અભિષેક શર્માની ગેરહાજરીમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સંજુની પસંદગી બેકઅપ ઓપનર તરીકે થઈ હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં નિષ્ફળતા બાદ તે બેન્ચ પર હતો. હવે જો નામિબિયા સામે તેને તક મળે છે, તો તે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે આતુર હશે. બીજી તરફ, ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન પર ઝડપી રન બનાવવાની વધારાની જવાબદારી રહેશે.
પાકિસ્તાન સામેની મેચ પર સૌની નજર
ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અભિષેક 15 ફેબ્રુઆરી સુધીમાં સાજો થઈ જશે? પાકિસ્તાન સામેની મેચને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અભિષેકને હોસ્પિટલમાંથી ક્યારે રજા મળે છે અને મેદાન પર પરત ફરવા માટે તે કેટલો સમય લેશે, તેના પર ટીમ મેનેજમેન્ટ સતત નજર રાખી રહ્યું છે. જો તે ફિટ નહીં થાય, તો ભારતને પાકિસ્તાન સામે નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરવું પડી શકે છે.


