ટેસ્ટ શ્રેણીમાં ઇજાગ્રસ્ત રોહિતનું સ્થાન લઈ શકે છે અભિમન્યુ ઈશ્વરન
- ઈન્ડિયા-A તરફથી બાંગ્લાદેશ સામેની બંને બિનસત્તાવાર ટેસ્ટમાં સદી ફટકારી કર્યું શાનદાર પ્રદર્શન.
નવી દિલ્હી,તા.8 ડિસેમ્બર 2022,ગુરૂવાર
ભારતીય સુકાની રોહિત શર્મા બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શંકાના દાયરામાં છે. જ્યારે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, ત્યારે ટીમના કોચ રાહુલ દ્રવિડે બુધવારે સુકાની રોહિત શર્માની ઈજા અંગે અપડેટ આપી હતી અને કહ્યું હતું કે રોહિત બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં રમશે નહીં. તેમના ટેસ્ટ રમવા વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં. ડોક્ટરોની સલાહ બાદ જ તેના ટેસ્ટ રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
રાહુલના આ નિવેદન બાદ રોહિત ટેસ્ટ સિરીઝ નહીં રમે તેવી અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા-A ની કેપ્ટનશીપ કરી રહેલા અભિમન્યુ ઈશ્વરન તેનું સ્થાન લઈ શકે છે. જોકે, આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસાઈ) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. રોહિત શર્માને બુધવારે મીરપુરમાં બીજી વનડે દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે મુંબઈ પરત ફર્યા છે.
ભારત-A ના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન બાંગ્લાદેશ પ્રવાસમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ટીમ ઈન્ડિયા-A માટે બંને બિનસત્તાવાર ટેસ્ટમાં સદી ફટકારી છે. આવી સ્થિતિમાં પસંદગીકારો તેને તક આપી શકે છે. 27 વર્ષીય અભિમન્યુ ઈશ્વરે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને ટી20 સહિત 25 સદી ફટકારી છે. તેણે અત્યાર સુધી 77 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 44ની એવરેજથી 5419 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 17 સદી અને 23 અડધી સદી ફટકારી છે એટલે કે તેણે 40 વખત 50થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. તેણે 233 રનની મોટી ઇનિંગ પણ રમી છે.