ડરી ગઇ હતી ટીમ ઈન્ડિયા...', વર્લ્ડ કપ 2022 સેમિ ફાઈનલ અંગે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aaron Finch Discloser on 2022 World Cup Semi-Final: ભારતને T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ હાર અંગે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એરોન ફિન્ચનું માનવું છે કે, 'ટીમ ઈન્ડિયા તે મેચમાં એટલી ડરી ગઇ હતી કે તેઓ ખુલ્લીને રમવાનું જ ભૂલી ગયા હતા.'
ડરી ગઇ હતી ટીમ ઈન્ડિયા
ફિન્ચે જિયો સ્ટાર પર ''રાઈઝ ઓફ ચેમ્પિયન્સ'' સીરિઝ બીજા એપિસોડમાં કહ્યું હતું કે, 'ભારત તે સેમિફાઈનલની હારથી એટલું ડરી ગયું હતું કે તેઓએ પોતાને ખુલીને રમવા જ નહોતા દીધા. જ્યારે તમે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાઓ છો, ત્યારે તમે નિરાશ થાઓ છો, પરંતુ જ્યારે બધું શાંત થઈ જાય છે, ત્યારે તમે યોજના બનાવો છો.'
ફ્રિન્ચે આગળ કહ્યું કે, 'તમે વસ્તુઓને યોગ્ય સ્થાન પર મૂકો છો, નાના-નાના ટાર્ગેટ સેટ કરો છો અને તમારે દરેક સ્ટેજ પર ક્યાં હોવું જોઈએ તે અંગે સંમત થાઓ છો. પછી તમે આગળ વધીને પૂરા કરતા જાઓ છો.'
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન તે સેમિફાઈનલમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. તેણે તે મહત્ત્વપૂર્ણ મેચ દરમિયાન ભારતના બદલાયેલા અભિગમ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'જ્યારે પણ ભારત વર્લ્ડ કપમાં આવે છે, ત્યારે તેમને હંમેશા જીતવાની અપેક્ષા હોય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલને એક શાનદાર મેચ તરીકે જોવામાં આવી રહી હતી.'
તેણે કહ્યું કે, 'ભારતની બેટિંગની લગભગ 10 ઓવર બાદ જે થયું, મને યાદ છે કે મેં કોમેન્ટ્રી બોક્સમાં સુનીલ ગાવસ્કર તરફ ફરીને પૂછ્યું હતું કે જે બહાદુરી, હિંમત, નિડર રમવાની સ્ટાઈલ જેની સાથે ભારતે તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટૂર્નામેન્ટ રમી હતી, તે ક્યાં જતું રહ્યું?'
ફિન્ચે ટીમની ગતિશીલતામાં નવા દ્રષ્ટિકોણના મહત્ત્વ પર પણ ભાર મૂકતા કહ્યું કે, 'પરિવર્તન હંમેશા ખરાબ વસ્તુ નથી હોતું. કેટલીકવાર માત્ર એક નવો અવાજ, પછી ભલે તે કેપ્ટન હોય કે કોચ, બાકી ગ્રુપ માટે ખરેખર ફાયદાકારક બની શકે છે.'
હાર માટે માનસિક દબાણ જવાબદાર: હરભજન સિંહ
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ફાઈનલમાં હાર માટે ટીમની મનોદશા પર પડતા માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું. તેણે કહ્યું કે, 'મને લાગે છે કે તે મોટી ફાઈનલ રમવાનું દબાણ હતું. જીતની અપેક્ષાએ ટીમનું ફોકસ બદલી નાખ્યું. તેનાથી તેનું ધ્યાન ભટકાઈ ગયું, અને તેથી જ અમે તે મેચમાં પાછળ રહી ગયા.'
વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલ
10 નવેમ્બર, 2022ના રોજ એડિલેડમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ હારીને બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવ્યા હતા.
તેના જવાબમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા, જ્યારે એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા.








