Aakash Chopra: ભારતમાં ક્રિકેટ એ માત્ર રમત નથી પણ ધર્મ છે, અહીં લોકો તેની પૂજા કરે છે. આ જ કારણ છે કે, ભારતની ધરતી પર ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ જન્મે છે. ક્યારેક સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ જેવા દિગ્ગજોએ ભારતને વિશ્વમાં ઓળખ અપાવી તો ક્યારેક સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા. પરંતુ ક્યારેક દેશમાં આટલી પ્રતિભા હોવી ઘણા ખેલાડીઓ માટે અભિશાપ બની જાય છે કારણ કે, તેઓ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવી શકતા નથી. હવે પૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન એક્સપર્ટ આકાશ ચોપરાએ ત્રણ ખેલાડીઓના નામ જણાવ્યા છે, જે જો કોઈ વિદેશી ટીમમાં હોત તો ક્યારેય વનડે ટીમમાંથી ડ્રોપ ન થયા હોત. આ યાદીમાં એક ખેલાડીની એવરેજ તો 82.15ની છે.
આકાશ ચોપરાએ તેમની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે, 'જો આ ત્રણ ખેલાડીઓ બીજા કોઈ દેશમાં હોત, તો તેઓ તેમના દેશની વનડે ટીમનો પર્મનન્ટ હિસ્સો હોત.'
ઋતુરાજ ગાયકવાડ
આકાશ ચોપરાએ અહીં સૌથી પહેલા ઋતુરાજ ગાયકવાડનું નામ લીધું. ગાયકવાડે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના લિસ્ટ A રેકોર્ડ પર નજર કરીએ તો ઓછામાં ઓછા 5000 રન બનાવનારા બેટ્સમેનોમાં તેની એવરેજ સૌથી વધુ છે. ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં 58.83ની એવરેજથી 5,060 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 20 સદી પણ ફટકારી છે.
દેવદત્ત પડિક્કલ
તેણે બીજું નામ દેવદત્ત પડિક્કલનું લીધુ છે, જેની લિસ્ટ Aમાં એવરેજ ઋતુરાજ ગાયકવાડ કરતા પણ સારી છે. કર્ણાટકના દેવદત્ત પડિક્કલે લિસ્ટ A ક્રિકેટમાં 82.15ની એવરેજથી અત્યાર સુધીમાં 2711 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 13 સદી પણ છે, પરંતુ અફસોસ કે તેને હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક નથી મળી.
આકાશ ચોપરાએ કહ્યું કે, 'જોકે, ઋતુરાજ ગાયકવાડને તો ભઆરત માટે રમવાની તક પણ મળી, પરંતુ પડિક્કલનું નામ તો કન્વર્સેશનનો પણ હિસ્સો નથી.
રિંકુ સિંહ
આકાશ ચોપરાએ ત્રીજું અને છેલ્લું નામ રિંકુ સિંહનું લીધું. રિંકુ સિંહને તમામ T20નો બેસ્ટ ફિનિશર માને છે, પરંતુ તેણે વનડે ક્રિકેટમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. ગાયકવાડ અને પડિક્કલની જેમ તેના ખાતામાં વધુ સદી નથી, કારણ કે તે નીચેના ક્રમમાં બેટિંગ કરે છે, પરંતુ તેની લિસ્ટ Aમાં એવરેજ 53.44 છે.


