Get The App

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

કુંભ મેળો: ધ ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ

Updated: Jan 8th, 2019

GS TEAM


Google News
Google News
ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ 1 - image


વિશ્વના સૌથી મોટા ધામક મહોત્સવ તરીકે ઓળખાતા કુંભ મેળામાં કોને રસ ના પડે! આ મહોત્સવ ભારતીયો માટે જ નહીં, દુનિયાના અનેક મહાન પ્રવાસીઓ, લેખકો, કવિઓ અને કલાકારો માટે અચરજનો વિષય રહ્યો છે. કુંભ મેળા એક એકથી ચડિયાતા પુસ્તકો લખાયા છે તેમજ ફિલ્મો અને ડોક્યુમેન્ટરી પણ બની ચૂકી છે. 

ફિલ્મમેકર દિલિપ રોયે ૧૯૮૨માં કુંભ મેળા પર આધારિત 'અમૃતા કુંભેર સંધાને' નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. એ પછી આધુનિક યુગમાં પણ કુંભ મેળો વિશ્વભરના ફિલ્મકારોને આકર્ષતો રહ્યો છે. ૨૦૦૧માં ગ્રેહામ ડે નામના ફિલ્મમેકરે 'કુંભ મેલા: ધ ગ્રેટેસ્ટ શા ઓન અર્થ' નામે ડોક્યુમેન્ટરી બનાવી હતી, જ્યારે મોરિઝિયો બેનાઝો અને નિક ડે નામના ફિલ્મમેકરોએ ૨૦૦૪માં 'કુંભ મેલા: સોન્ગ્સ ઓફ ધ રિવર' નામની ફિલ્મ બનાવી હતી. આટલાથી સંતોષ ન થતાં એ જ વર્ષે નિક ડેએ ૨૦૦૧માં લીધેલા કુંભ મેળાના ફૂટેજમાંથી 'શોર્ટ કટ ટુ નિર્વાણા: કુંભ મેલા' નામની ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી, જેના નિર્માતા મોરિઝિયો બેનાઝો હતા.

નદીમ ઉદ્દીને ૨૦૦૮માં 'ઈન્વોકેશન: કુંભ મેલા' નામની ફિલ્મ બનાવી હતી. બીબીસીએ ૨૮મી એપ્રિલ, ૨૦૧૦ના રોજ કુંભ મેળા વિશે એક વીડિયો રિપોર્ટ પ્રસારિત કર્યો હતો, અને, તેનું પણ શીર્ષક 'કુંભ મેલા, ગ્રેટેસ્ટ શા ઓન અર્થ' રખાયું હતું. જોનાસ શ્યૂ અને ફિલિપ આઈ તો કુંભ પર 'ઈન્વોકેશન, કુંભ મેલા' (૨૦૦૮), 'કુંભ મેલા: વૉકિંગ વિથ ધ નાગાસ' (૨૦૧૧) અને 'અમૃત નેક્ટર ઓફ ઈમમોર્ટાલિટી' (૨૦૧૨) નામે ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. સીબીસી ન્યૂઝે એપ્રિલ ૨૦૧૦માં 'ધ લાર્જેસ્ટ પિલગ્રિમેજ ઓન અર્થ', ૨૦૧૩માં નેશનલ જિયોગ્રાફિકે 'ઈનસાઈડ ધ મહાકુંભ' અને યુક્રેન સરકારે એક ધાર્મિક પ્રોજેક્ટ હેઠળ 'કુંભ મેલા ૨૦૧૩: લિવિંગ વિથ ધ મહાત્યાગી' નામની શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. 

કુંભ મેળો દુનિયાને આકર્ષતો રહે છે તેનું એક કારણ તેનું જડબેસલાક મેનેજમેન્ટ છે. વિશ્વ પ્રતિતિ હાવર્ડ યુનિવસટી કુંભ મેળાના મેનેજમેન્ટ વિશે પેપર્સ રજૂ કરી ચૂકી છે. ભારતીય સંસ્કૃતિ અને કુંભ મેળા જેવા જાહેર ઉત્સવો વિશે સાંભળીને પશ્ચિમી દેશોમાં મોટા ભાગના લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે.

તેમને નવાઈ લાગે છે કે, એક સપાટ મેદાન અચાનક એક શહેરમાં કેવી રીતે પરિવતત થઈ જાય છે? હા, શહેર. કારણ કે અહીં લોકો છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, પોલીસ અને ફાયર સ્ટેશનો છે, ખોરાક-પાણી વિતરણ અને સેનિટેશન સિસ્ટમ છે, હોસ્પિટલ અને રસીકરણ કેન્દ્રો છે, ઈલેક્ટ્રિસિટી ગ્રીડ છે, લોકોા મનોરંજનની સુવિધા છે તેમજ આખેઆખું બજાર પણ છે.

કદાચ એટલે જ આવા મહાકાય કુંભ મેળાના આયોજન વિશે સંશોધન કરવાની હાવર્ડ યુનિવસટીના કોઈ એકાદા વિભાગે હિંમત નહોતી કરી, પરંતુ એ કામમાં હાવર્ડ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, સ્કૂલ ઓફ ડિઝાઈન, હાવર્ડ બિઝનેસ સ્કૂલ, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, હાવર્ડ મેડિકલ સ્કૂલ, હાવર્ડ ડિવિનિટી સ્કૂલ અને હાવર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટયૂટ પણ જોડાયા હતા. આ તમામ વિભાગો કુંભ મેળા વિશે પોતપોતાના ક્ષેત્રમાં સંશોધન કર્યું હતું. હાવર્ડની ટીમ એ પ્રશ્નનો જવાબ શોધી રહી છે કે, આખરે પૃથ્વી પર આટલા વિશાળ પ્રસંગનું આયોજન શક્ય કેવી રીતે બને છે?

કુંભ મેળાના ધામક અને સાંસ્કૃતિ માહાત્મ્ય વિશે તો આપણે ઘણું જાણીએ છીએ કારણ કે, તેના વિશે ઘણું બધુ લખાય છે, વંચાય છે. જોકે, વિશ્વના સૌથી મોટા ધામક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કેવી રીતે થાય છે તેના વિશે આપણે ખાસ કંઈ નથી જાણતા.

આ વર્ષનો કુંભ મેળો ૧૫મી જાન્યુઆરીથી ચોથી માર્ચ એમ સતત ૪૮ દિવસ ચાલવાનો છે. આ દરમિયાન મકરસંક્રાંતિ, પોષ પૂણમા, મૌની અમાસ, વસંત પંચમી, માઘી પૂણમા અને મહાશિવરાત્રિ જેવી તિથિઓના રોજ સ્નાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એ દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની કુંભમાં ઊમટે છે.

આ વર્ષે મકરસંક્રાંતિના રોજ એક કરોડ, દસ લાખ અને પોષ પૂણમાએ ૫૫ લાખ શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન કરે એવી શક્યતા છે. છે, જ્યારે મૌની અમાસે ત્રણ  કરોડ, પાંચ લાખ, વસંત પંચમીએ એક કરોડ, ૯૩ લાખ, માઘી પૂણમાએ અનુક્રમે એક કરોડ, ૬૫ લાખ અને મહાશિવરાત્રીએ ૫૫ લાખ ભક્તો આવશે એવો અંદાજ છે. (આ અંદાજિત આંકડામાં વધારો થઈ શકે છે, પરંતુ અંદાજ કરતા ઓછા માણસો ક્યારેય આવતા નથી.)

વાહન વ્યવહાર અને પોલીસ સુરક્ષા 
કુંભમાં નદીની સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ અવિરત વહ્યા કરે છે. એ પ્રવાહમાં કોઈ ખલેલ ન પહોંચે એ માટે રાજ્ય પરિવહન અને રેલવે તંત્રને પણ જવાબદારી સોંપાય છે. આ વર્ષે અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓની સેવામાં પાંચ બસ સ્ટેશનો પરથી ૯૦૦ જેટલી બસ દોડાવાશે. આ ઉપરાંત કુલ ૩,૬૦૮ સ્પેશિયલ બસો પણ મૂકાશે, જ્યારે સાત રેલવે સ્ટેશન પરથી કુલ ૭૫૦ ટ્રેન તો ફક્ત કુંભ મેળામાં લોકોના પ્રવાહને પહોંચી વળવા માટે જ દોડાવાશે. 

એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં લોકો આવે એટલે પોલીસ સુરક્ષા પણ રાખવી પડે. કુંભ મેળાનું આશરે બે હજાર હેક્ટર વિસ્તારમાં જડબેસલાક આયોજન કરાય છે. આટલા મોટા વિસ્તારમાં સહેલાઈથી આયોજન કરી શકાય એ માટે કુલ ૧૪ વિભાગમાં વહેંચી દેવાય છે. 

આ સમગ્ર વિસ્તારમાં ૯૯ પાકગ હોય છે. ઉત્તરપ્રદેશ સરકારે કુંભની સુરક્ષા માટે ૧૩ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરશે, જેમને ૩૦ પોલીસ સ્ટેશનમાંથી માર્ગદર્શન અપાય છે. આ ઉપરાંત ૪૦ પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબુલરી અને ૪૦ પેરા મિલિટરી પર્સોનલ યુનિટ પણ ફરજ બજાવશે.

પોલીસની મદદ માટે મહત્ત્વના ૮૫ સ્થળે સીસીટીવી કેમેરા મૂકાશે, જ્યારે ૩૦ ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ ખડેપગે હાજર રહેશે. ડૂબતા લોકોને બચાવવા માટે વિવિધ ઘાટ પર પણ તરવૈયા હાજર રહેશે. આ ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વાડ, બોમ્બ ડિસ્પોસલ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વાડની ટીમ પણ ૨૪ કલાક સતર્ક રહે છે.

સુરક્ષિત માર્ગો અને પુલોનું બાંધકામ
કુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી કોઈ સ્થળે ટ્રાફિક જામને લઈને અવ્યવસ્થા કે દુર્ઘટના ના સર્જાય એ હેતુથી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હંગામી ધોરણે રસ્તાઓ બનાવી આપે છે.

આ ઉપરાંત કુંભમાં નદીમાં સ્નાન કરવા માટે જતા શ્રદ્ધાળુઓ માટે પુલ બાંધવાની જવાબદારી પણ આ વિભાગના શિરે હોય છે. આ વર્ષે પીડબલ્યુડીએ કુંભના સ્થળને જોડતા ૧૫૬.૨૦ કિલોમીટર લાંબા રસ્તા બનાવ્યા છે, જ્યારે નદીમાં કુલ ૧૮ સ્થળે પહોળા અને મજબૂત પુલ બાંધવામાં આવ્યા છે.

પાણી અને વીજળીનું વિતરણ
કુંભમાં શ્રદ્ધાળુઓના પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરવાનું કામ જળનિગમને સોંપાય છે. આ વર્ષે પણ જળનિગમે પીવાના પાણીની આશરે ૮૦ હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન બનાવી દીધી છે. 

પીવાના પાણી સિવાયની પાઈપલાઈન પણ ૫૫૦ કિલોમીટર લાંબી છે. આટલી લાંબી પાઈપલાઈનો માટે ૨૦ હજાર સ્થળે પાણીના જોડાણો કરાય છે. આ ઉપરાંત ૪૦ ટયૂબ વેલ સ્ટેશન અને પાંચ વિશાળ ઓવર હેડ ટાંકીનું પણ કુંભ મેળા પરિસરમાં નિર્માણ કરાય છે.

કુંભમાં વીજ વિતરણ પણ ખૂબ જ પેચીદો પ્રશ્ન હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન એ કામગીરી બખૂબી પાર પાડે છે. આ વર્ષે કુંભમાં વીજ વિતરણ માટે આશરે ૮૦૦ કિલોમીટર લાંબા વીજવાયરો દ્વારા વીજ વિતરણ કરાશે. આ માટે કુલ ૨૨ હજાર સ્થળે સ્ટ્રીટ લાઈટ પોઈન્ટ મૂકાયા છે. આમ સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રકારના કુલ ૭૩ સબ-સ્ટેશનોની મદદથી ખૂણે ખૂણામાં વીજ વિતરણ કરાય છે.

આરોગ્ય, સ્વચ્છતા અને ખાધાખોરાકી: કુંભમાં દરેક વિભાગે પોતપોતાનું કામ ઉત્તમ રીતે પાર પાડવાનું હોય છે. આરોગ્ય વિભાગને કુંભ મેળાની આરોગ્ય અને સ્વચ્છતા વિષયક કામગીરી સોંપાય છે. આરોગ્ય વિભાગ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની સેવા માટે ૧૪ એલોપેથિક, ૧૨ હોમિયોપેથિક અને ૧૨ આયુર્વેદિક હોસ્પિટલોનું નિર્માણ કરશે, જ્યાં કુલ ૪૦૦ પથારીની વ્યવસ્થા છે.

આ સિવાય ટોઈલેટ ઊભા કરવાની જવાબદારી પણ આરોગ્ય વિભાગની હોય છે. જે અંતર્ગત ૩૫ હજાર વ્યક્તિગત, ૭,૫૦૦ ટ્રેન્ચ પેટર્નવાળા, એક હજાર બિન-પરંપરાગત ટોઈલેટ તેમજ ૩૪૦ સુલભ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. કુંભમાં લાખોની સંખ્યામાં આવતા લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરવા માટે પણ ઝીણવટભર્યું આયોજન કરાય છે.

એ માટે ખાદ્ય અને પુરવઠા વિભાગ આશરે બે લાખ રેશન કાર્ડ ઈસ્યૂ કરશે, જે અંતર્ગત ૧૭,૦૦૦ મેટ્રિક ટન ઘઉં, દસેક હજાર મેટ્રિક ટન ચોખા, છ હજાર મેટ્રિક ટન ખાંડ અને ૧૪ હજાર કિલો તેલનું વિતરણ કરાશે. અનાજની વહેંચણી માટે સવા સો અને દૂધના વિતરણ માટે દોઢ સો કેન્દ્ર પણ કાર્યરત હશે. 

આટલું વાંચ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, દુનિયાની કઈ મેનેજમેન્ટ સ્કૂલને કુંભ મેળાના આયોજનમાં રસ ના પડે? 

કુંભ મેળો જોઈને પશ્ચિમી દેશોના લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. તેમને નવાઈ લાગે છે કે, એક સપાટ મેદાન અચાનક એક 'શહેર'માં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે?

કુંભ મેળામાં જળ પ્રદૂષણમાં પણ ઘટાડો
કુંભ મેળામાં એક જ સ્થળે લાખો લોકો સ્નાન કરતા હોવાથી મોટા પાયે જળ પ્રદૂષણ પણ થાય છે. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવતી નદીઓની હાલત ગટરથી પણ બદતર થઈ જાય છે. એકબાજુ ધામક-સાંસ્કૃતિક પરંપરા છે, તો બીજી બાજુ આરોગ્ય અને પર્યાવરણીય પ્રશ્નો મ્હોં ફાડીને ઊભા હોય છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી આ સ્થિતિમાં ફર્ક પડયો છે. 


ખુદ ગંગા શુદ્ધિકરણના સ્વપ્નદૃષ્ટા અને ક્રાંતિકારી વિચારો માટે જાણીતા ઋષિકેશના પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જાહેરમાં કહ્યું હતું કે, મકરસંક્રાંતિના શાહીસ્નાન પછી ગંગા પોલિથીનથી ઊભરાઈ જતી, પરંતુ આ વખતે સ્નાન કરીને પાછો ફર્યા ત્યારે જુદા જ દૃશ્યો દેખાયા હતા. હવે પોલિથીન કરતા માણસોના શરીર વધુ જોવા મળે છે. મને આશા છે કે, હવે સ્થિતિ સુધરશે. હું લોકોને વિનંતી કરું  છું કે, તમારા ઘર ઘર, મંદિરો, મસ્જિદો અને ગામડાં હરિયાળા રાખો. આ માટે મેં વિશ્વભરના અધ્યાત્મિક ગુરુઓને પણ 'ગ્રીન પ્લેજ' લેવડાવી હતી. 

Tags :