ચૂંક સાથે ચીકણા ઝાડા કરાવતો એક વ્યાપક વ્યાધિ : મરડો
- વધુ પડતું અને વારંવાર પાણી પીવાથી, ગંદુ કે પ્રદૂષિત પાણી પીવાથી અને આગળનો આહાર હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં ઉપરા ઉપરી ખા...ખા... કરવાથી પણ મરડો થવાની શક્યતાને બળ મળે છે
મરડાના લક્ષણો
મરડાને આયુર્વેદની પરિભાષામાં 'પ્રવાહિકા' કહેવામાં આવે છે. 'પ્રવાહણ' એટલે આંકડી અથવા ચૂંક. આ રોગમાં મળપ્રવૃત્તિ પહેલાં પેટમાં સખત વાઢ આવતી હોય એવું લાગે છે. કફયુક્ત મળની વારંવાર પ્રવૃત્તિ થાય છે. આમ છતાં પેટ સાફ આવ્યું હોય એવું લાગતું નથી. મળ પ્રવૃત્તિ વખતે વ્યક્તિએ જોર કરી કરાંજવું પડે છે. અને એકી સાથે, સરળતાથી 'હાશ...' થાય એ રીતે ઝાડો થતો નથી. થોડી થોડી વારે ચીકણો, કફ કે 'આમ' સાથેનો ઝાડો થતો રહે છે અને તેથી વ્યક્તિ થાકી જાય છે. મરડાની તીવ્ર અવસ્થામાં વ્યક્તિ જાજરૂ જઇને હજુ તો હાથ ધોતી હોય ત્યાં ફરીથી વીંટ આવવાની શરૂ થાય છે અને દોડીને ફરી પાછું સંડાસમાં પહોંચી જવું પડે છે. થોડીવાર બેસી રહેવા છતાં નહીં જેવો જળસ (ચીકાશ) યુક્ત ઝાડો માંડ થાય છે. કોઈવાર ચીકાશની સાથે થોડું લોહી પડતું હોય એવું પણ લાગે છે. પગની એડીઓમાં ગોટલા ચડે છે અને ક્યારેક તો જીવ ચાલ્યો જતો હોય એવી હાલત થાય છે. ખાવાનું ભાવતું નથી. જઠરાગ્નિ એકદમ મંદ પડી જાય છે અને જીભ પર સફેદ છારી બાઝેલી હોય છે.
મરડો થાય છે કેવી રીતે અને કયા કારણે ?
કારણની શોધ કરીએ તો મોટેભાગે પાચનતંત્રની નબળાઈ અને અહિતાશન મુખ્ય હોય છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવો, ભૂખ કરતાં વધારે અને સ્વાદવશ થઇને લેવાતો મિથ્યા આહાર મરડા માટે નિમંત્રક બને છે. ખૂબ ભારે, અતિસ્નિગ્ધ અને વધુ પ્રમાણમાં લેવાયેલો આહાર જલદીથી પચતો નથી અને આંતરડાને ખરાબ કરે છે. વારંવાર આ રીતનો આહાર લેવાયા કરે તો આમ તથા કફની ઉત્પત્તિ વધે છે અને આ કફ આંતરડાની અંદરની દિવાલ પર ચોંટતો જાય છે. ધીમે ધીમે તે વાયુના માર્ગને અવરોધે છે. આ રીતે પ્રકુપિત થયેલો વાયુ આંતરડાની દિવાલમાં ચોંટેલા કફને મળની સાથે બળપૂર્વક બહાર કાઢે છે અને તેથી ચુંકાઈને મળપ્રવૃત્તિ થાય છે.
વધુ પડતું અને વારંવાર પાણી પીવાથી, ગંદુ કે પ્રદૂષિત પાણી પીવાથી અને આગળનો આહાર હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં ઉપરા ઉપરી ખા...ખા... કરવાથી પણ મરડો થવાની શક્યતાને બળ મળે છે. વિરુધ્ધ આહાર, કાચેકાચો (અપકવ) આહાર, વિષમ ભોજન અને દૂષિત મધ્યપાન પણ મરડાના કારણ તરીકે ગણાવેલ છે. ભય, ઉદ્વેગ, ચિંતા, શોક જેવા માનસિક કારણોથી પણ આ વ્યાધિ થાય અથવા તો વધે છે.
તદ્વિદોએ અતિસાર (ઝાડા) તથા મરડાના જે કારણો ગણાવ્યા છે તેમાં એક ધ્યાન આપવા જેવું કારણ છે - સુકલકડી શરીર ધરાવતા પશુનું માંસ અથવા તો સૂકાયેલું - વાસી માંસ. માંસાહાર કરતા લોકો ભાગ્યે જ એ જાણતા હોય છે કે પોતાને જે પશુનું માંસ વેચવા કે પીરસવામાં આવે છે તેને કોઈ રોગ હતો કે કેમ ? જેમ માણસોને તેમ પશુઓને પણ ક્ષય, આંતરડાના દરદો કે કેન્સર જેવા રોગો પણ થઇ શકે છે. બગડેલું વાસી માંસ, પાચનતંત્રને બગાડી ખાનાર વ્યક્તિના શરીરમાં મરડાના બીજ (જીવાણુ) ને રોપી શકે છે.
ગરમ પ્રદેશમાં કે વધુ પડતી ગરમી પડતી હોય તેવા રાજ્યોમાં આ રોગ વિશેષ થાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં કે જ્યાં જાજરૂની વ્યવસ્થા નથી, ત્યાં લોકો ખુલ્લામાં મળ પ્રવૃત્તિ કરે છે. જેને મરડો થયો છે તેવા લોકો પણ ખૂલ્લામાં જાજરૂ જાય છે અને થોડી વારમાં જ તેના પર માખીઓ બણબણે છે. આમ ત્યાંથી ઉડેલી માખી ઘરમાં ખુલ્લી પડેલી રસોઈ પર કે બજારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો પર બેસે છે અને એમ મરડાનો ચેપ ફેલાતો રહે છે. એક અભ્યાસ અનુસાર આરોગ વીસથી ચાલીસ વર્ષની વયના લોકોમાં વધુ જોવા મળે છે. સ્ત્રીઓ તથા બાળકોમાં આનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
- વત્સલ વસાણી