માથાના દુખાવાના 11 પ્રકાર, તેના કારણો અને લક્ષણો
- આરોગ્ય ગીતા - વત્સલ વસાણી
- પિત્તના કારણે માથું દુખતું હોય તો એ ખાટા અને તીખા પદાર્થોથી વધે છે. બામ લગાવવાથી સહેજે ય સારું લાગતું નથી
ખા સ કરીને રાત્રિના સમયે માથું દુખતું હોય અથવા તો રાત વધે તેમ દુખાવો વધતો હોય તો એ વાયુનો છે તેમ જાણવું. વાયુથી થતા માથાના દુખાવામાં માથા પર રૂમાલ કે કપડું સખત રીતે બાંધવાનું મન થાય છે અથવા તો માથું દાબવાથી વ્યક્તિને સારું લાગે છે. કપાળ પર સૂંઠનો લેપ કરવાથી અને સ્નિગ્ધ તથા ગરમ ઉપચારથી રોગનું શમન થાય છે. વાયુના કારણે થતા શિર:શૂલમાં દુખાવો સતત હોય છે.
લમણામાં અને ભુ્રકુટિના મધ્યભાગમાં પણ સખત દુખાવો થાય છે. ડોકની પાછળનો ભાગ પણ પકડાઈ જાય છે અને માથા પર હથોડા પડતા હોય એવી વેદના થાય છે. લમણાની શિરાઓ ફરકે છે. આખું માથું જાણે કે ઘૂમતું હોય એવું લાગે છે અને બન્ને આંખ બહાર નહીં નીકળી જાય ને ? એવી અનુભૂતિ થાય છે. ઘણીવાર આ કારણે કાનમાં પણ દુખાવો થાય છે.
પિત્તના કારણે માથું દુખતું હોય તો એ ખાટા અને તીખા પદાર્થોથી વધે છે. બામ લગાવવાથી સહેજે ય સારું લાગતું નથી. દુખાવા સાથે થોડી બળતરા પણ હોય છે. વ્યક્તિને ચક્કર આવે છે, તરસ લાગે છે અને પરસેવો પણ થાય છે. માથા પર ધગધગતા અંગારા મૂક્યા હોય એમ દરદીનું માથું તપી જાય છે.
આંખ તથા નાકમાંથી ધૂમાડા નીકળતા હોય તેવું લાગે છે. ઠંડુ દૂધ, આઈસક્રીમ, ઠંડી ખીર, જલેબી, માલપૂઆ જેવી ઠંડી અને ગળી વસ્તુ ખાવાથી આરામનો અનુભવ થાય છે. ઠંડો સ્પર્શ પણ ગમે છે. એરકંડિશન્ડમાં રહેવાથી સારું લાગે છે. બપોરે દુખાવો વધે છે અને રાત્રિના ઠંડા પહોરમાં દુખાવાનું શમન થાય છે. આંખ પર પ્રકાશ આવે કે કોઈ અવાજ કરે તો ગમતું નથી. આંખ પર રૂમાલ ઢાંકીને પડયા રહેવાનું મન થાય છે.
કફથી થતો માથાનો દુખાવો મોટાભાગે સવારના સમયે ચાલુ થાય છે. દુખાવો ભલે ધીમો હોય પણ લાંબા સમય સુધી રહે છે. માથામાં જડતા તથા સુપ્તિ (બૂઠાપણાનો) અનુભવ થાય છે. ઘેન અને આળસ અનુભવાય છે. ક્યાંય ગમતું નથી અને માથું જાણે કે જકડાઈ ગયું હોય એવું લાગે છે. કપાળ પર સ્પર્શ કરવાથી એ ભાગ ઠંડો હોય છે અને કેટલાક કેસમાં આંખની નીચે તથા મોં પર સોજા પણ આવે છે.
માથામાં પાક થઈને જીવાત પડી હોય તેવી વ્યક્તિનો દુખાવો અસહ્ય હોય છે અને માથામાં કશુંક કપાતું કે વીંધાતું હોય તેવું લાગે છે. નાકમાંથી અને મોંમાંથી અતિશય દુર્ગંધ આવે છે.
'સૂર્યાવર્ત' નામના માથામાં દુખાવામાં સૂર્યોદય થતા ધીમે ધીમે દુખાવો શરૂ થાય છે. બપોરે ચરમસીમા પર હોય છે અને સૂર્યાસ્ત થતા ધીમે ધીમે દુખાવો શમે છે.
'અર્ધાવવેદક' એટલે કે આધાશીશીમાં પ્રકુપિત થયેલો એકલો વાયુ અથવા તો કફની સાથે ભળેલો વાયુ બળવાન બની માથાના ડાબા અથવા તો જમણા એમ એક ભાગને પકડી લઈ મન્યા નામની નાડી, ડોકની નાડી, ભ્રમર, કોઈ એક તરફનો કાન, કપાળનો ભાગ તથા લમણાનો ભાગ પકડી સખત દુખાવો કરે છે. શાસ્ત્રમાં આવી વેદનાને માથા પર શસ્ત્રથી પ્રહાર થતો હોય અને જેવી વેદના થાય તેવી વેદના સાથે સરખાવી છે.
માથાના દુખાવા માટે આયુર્વેદમાં ખૂબ જ વિસ્તારથી સમજણ અને સારવાર આપેલી છે જે આપણે હવે પછી જોઈશું.