વર્ષાઋતુનું અમૃત ફળ જાંબુ
ચો માસામાં વિશેષ થનારા આ ફળને સંસ્કૃતમાં જમ્બુ તથા લેટીનમાં 'સિઝિગિયમ ક્યુમિનનિ' તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદનાં ચરક - સુશ્રુત-ભાવપ્રકાશમાં આનો ઉલ્લેખ જોવા મળે છે.
આનું મોટું ઝાડ થાય છે તેના ફળો ૧/૨ થી ૧ ૧/૨ ઈંચ લાંબા ગોળાકાર, ફળની અંદર ઠળીયો હોય છે. ચોમાસાની ઋતુમાં આના ફળો બજારમાં ખૂબ વેચાવા આવે છે. આની ત્રણ-ચાર જાતો થાય છે. સામાન્ય રીતે બે જાતો વધુ પ્રખ્યાત છે (૧) મોટા જાંબુ અને (૨) નાના જાંબુ. મોટા જાંબુને 'રાવણ' તરીકે ઓળખવામાં આવે છે.
જાંબુના ફળમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, તેમજ વિટામિન એ, બી, સી, ટેનીન, સ્ટાર્ચ, ગ્લાઈકોસાઈટ, ગૈલિક એસિડ, વિગેરે તત્ત્વો હોય છે. જે સ્વાદમાં ગળ્યા, ખાટા, અને તુરા હોય છે. તે ઠંડા અને પચી જતા તુરા કડવાસમાં રૂપાંતર થાય છે.
ઉપયોગ : (ઔષધ તરીકે)
પેશાબના રોગો જેવા કે મૂત્ર નળી કે બસ્તિ (બ્લેડર)માં સોજો આવી જવો. પેશાબ ઓછો આવવો, પેશાબમાં લોહી આવવું, માં ઉપયોગી છે.
લોહીનાં ઝાડા, મરડો, લોહીવા જેવા સ્ત્રીઓના રોગ તથા સફેદ પાણી પડવા (લ્યુકોરીયા)ના રોગોમાં ઉપયોગી છે.
ઘણીવાર પથરીનો જમાવ મૂત્રાશયમાં થઈ જાય. પેશાબમાં બળતરા થાય. પેશાબમાં લોહી આવે તેમાં આનો પ્રયોગ અક્સિર છે.મોઢાંના ખીલ તથા અળાઈવિકાર, ચામડીની બળતરામાં આના ઠળીયાને સુકવી પાઉડર કરી શંખ જીરૂ સાથે તેમજ ગુલાબ જળ સાથે લાગડવાથી ફાયદો થાય છે.
લીવર તથા બરોળનાં વિકારો, અપચો - ગેસ - ભૂખ ન લાગવી, પેટનાં રોગો, વિગેરેમાં જાંબુમાંથી બનાવેલ 'જામ્બવાસવ' સારૂં કામ આપે છે. આનાથી એનેમિય (પાંડુરોગ) કમળો, પેટનાં રોગો મટી શરીરમાં લાલાસ આવે છે.
ડાયાબિટીસ : મધુપ્રમેહ - લોહીમાં કે પેશાબમાં સુગર આવવી ના રોગમાં આના ઠળિયાનો ઉપયોગ અકસિર કામ આપે છે. આના ઠળિયાને સુકવીને હળદર અને મરી સાથે મેળવી ચૂર્ણ બનાવી ને ૧ થી ૨ ચમચી ૨ વાર લેવાથી ડાયાબિટીસ તથા ડાયાબિટીસના રોગથી થતાં ઉપદ્રવો (કોમ્પ્લીકેશન)માં ખૂબ જ ઉપયોગી નીવડેલ છે. સાથોસાથ ડાયાબિટીસની પરેજી પાળવી પણ જરૂરી છે. આનાથી લોહીમાં સુગરનું પ્રમાણ ઘટશે. ડાયાબિટીસમાં થતી બળતરા - ખાલી ચડવી - નબળાઈ લાગવી. (ડાયાબિટીસ ન્યુરોપથી)માં આનો ઉપયોગ સલાહ ભરેલો છે.
આ રીતે જાંબુ અનેક રોગોમાં સારૂ કામ આપે છે. વર્ષાઋતુમાં માનવ જાતના આરોગ્ય માટે આ મોટામાં મોટી કુદરતી ભેટ છે.
- ઉમાકાન્ત જે. જોષી