શ્રી માળીનું વિશ્વવિજયી ચિત્ર ઉપવન
- રસવલ્લરી - સુધા ભટ્ટ
સરળ હૃદયી શ્રીમાળી બન્યા કળાવનમાળી
અમદાવાદની સી.એન. ફાઈન આર્ટ્સમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી પાર ઉતરેલા વિજય ભૂદરભાઈ શ્રીમાળીના પરિવારમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પકળા પ્રત્યેના પ્રેમનું ભર્યું ભર્યું વાતાવરણ. મોટી બહેન-શિલ્પકાર હંસાબહેન રાજપૂતની આંગળીએ વિજયભાઈએ કળાક્ષેત્રે પ્રદાર્પણ કર્યું. સમયાંતરે વાસ્તુશાસ્ત્રમાં પણ રસ-રૂચિને લઈને એમાં આવશ્યક ખેડાણ કર્યું. પરંતુ પેલો કલાકાર જીવ કદી જંપીને બેસે નહિ. તેથી ચિત્રકલાને વર્યા અને પછી યોગ્ય સમયે જીવનના સાત ઉપરાંતનાં અનેક પગલાંને કંકુવર્ણાં-શુકનિયાળ બનાવનાર કૈલાસને પણ વર્યા. કલાગુરુ નટુ પરીખ, ઉર્મિ પરીખ, નાગજીભાઈ, વિનોદ રાવલ, એન.કે.આર. યાદવ સાહેબથી પ્રભાવિત વિજયભાઈએ રેખાંકનો (સ્કેચિંગ)થી શુભારંભ કર્યો. અતિ સુંદર રસાત્મક સર્જનના પગલે વળી, સન્મુખ મોડેલ બેસાડી પોર્ટ્રેઈટસ (રૂપચિત્રો) કર્યાં. વાસ્તવવાદી ડ્રૉઈંગ-પેઈન્ટિંગના આ સ્વયંસ્ફૂર્ત કલાકારે ચિત્ર ક્ષેત્રે ઊંડાં ખેડાણ કરતાં કરતાં વૈવિધ્યપૂર્ણ રચનાઓ સર્જી. ભીંત ચિત્ર કળા, અડાલજની વાવ અને અન્ય હેરિટેજ-વારસાઈ સ્થાપત્યોનાં ચિત્રો તૈયાર કર્યાં. સ્થપતિની દ્રષ્ટિએ ઇમારતોનાં ડ્રૉઈંગમાં પણ નિપુણતા મેળવનાર આ કલાકર્મીએ મંદિરો, ગુફા, રણ, નિસર્ગ ચિત્ર (લેન્ડસ્કેપ) આદિમાં આગેકદમ તો કર્યાં જ, પણ સાથે સાથે વન્યજીવનનો આનંદ મેળવવા એમણે વર્ષો સુધી અનેક પ્રાણીઓ-પક્ષીઓનાં નિરીક્ષણ કરી અદ્ભુત ચિત્રો તૈયાર કર્યાં. ઝીણવટભરી વિગતો સૂઝબૂઝે આ ડાબોડી કલાકાર અજબ-ગજબનાં લસરકાના માલિક બન્યા. માનવ ચહેરામાં તેમનો બાળકો અને વૃદ્ધો પરત્વેનો પક્ષપાત પ્રતિબિંબિત થાય. એકવાર 'લાઈવ ડેમો' આપનાર આ કલાકારના આત્માના અપરંપાર ચાહક કલા મિત્રો !
માનવ ચહેરાના વણકહ્યા ભાવો બન્યા બોલકા
પોતાની પ્રકૃતિ સાથે પ્રાણ જોડાય ત્યારે પર્યાવરણીય પ્રકૃતિ સાથે એકરૂપતા સધાય એ ન્યાયે વિજય શ્રીમાળીએ ભવસભર કલાને અંકે કરી. કેનવાસ પર એક્રેલિક, ઑઈલ, વૉટર, ચારકોલ, પેન્સિલ વગેરેની છાયામાં આનંદપૂર્વક ખૂંપેલા રહ્યા. દરેક માધ્યમને માણ્યું. ડિજિટલ વિશ્વમાં પણ ડોકિયું કર્યું. પેન્સિલ વડે કરાયેલાં ચિત્રો તેમની ઓળખ બન્યાં. યથાર્થ દર્શનના આ બહુઆયામી કલાકર્મીએ સરળ શૈલી અપનાવી રસિકોને કૃતિના હાર્દ સુધી પહોંચતા કર્યાં. તેમની કળા સંદેશાત્મક હતી કારણ કે એમને કુદરત સાથે નિસ્બત હતી. શાસ્ત્રીય મૂલ્યાંકનવાળા તેમનાં ચિત્રો નયનરમ્ય અને સંવેદનશીલ ભાવકના હૃદય-મન સુધી પહોંચ્યાં. અનેક એકલ એ સમૂહ ચિત્ર પ્રદર્શનો ઉપરાંત સાબરમતી આશ્રમ ખાતે, સરદાર પટેલના સ્મારકમાં, બાલાસિનોર ડાયનોસોર પાર્કમાં, મુંબઈ ખાતે રિઝર્વ બેન્કના બાવીસ અધિકારીઓનાં ચિત્રો અને અન્ય અનેક સ્થળોએ એમનાં કાયમી ચિત્રો છે. અનેક એવોર્ડઝ અને પ્રસ્તુત ક્ષેત્રે કાયમી સભાસદપદ એમને પ્રાપ્ત થયાં છે. એમના ચિત્ર પ્રદેશમાં પ્રવેશવાનું કોને ન ગમે ? 'કચ્છના વયોવૃદ્ધ' ચિત્રને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. શ્વેત શ્યામ લકીરોના દરબારમાંથી વડીલશ્રી એમની અનુભવી અને પારખુ નજરે નાક પર ચશ્મા ચડાવી કાંઈક ઝીણું કાંતતા લાગે. મુખ, હાથ અને કપડાના સળો-કરચલી ગણીને ઉંમર માપીએ તો જમાનાના ખાધેલ એ મુરબ્બી પાસેથી થોડું તો જાણવાનું મન થાય જ ! એક અન્ય કેનવાસ પર ઘોડાની તીવ્રગતિ દર્શાવાઈ છે. માથાના વાળ અને પૂંછડીના વાળ પરથી લાગે કે પવનની દિશા એ તરફ જ હશે. ઘોડો વિચારશીલ પ્રાણી છે એ ભાવ આ પીળા-કથ્થાઈ તૈલ રંગચિત્રમાં સ્ફૂટ થાય છે. અડાલજની વાવનું એરિયલ દ્રશ્ય તો કમાલનું હોં !
સૌને ગમતી 'ગિલ્લુ' ખિસકોલીની રૂંવાટીને અડવાનું અને તેની મગફળીને ફોલીને આપવાનું મન થાય પાછું !
સ્વયમ્ સંપૂર્ણ ચીવટયુક્ત વાસ્તવદર્શન ચિત્રો
જ્યારે જ્યારે વિજયભાઈએ વન્યપ્રાણીઓનાં સ્કેચ કર્યાં છે ત્યારે ત્યારે તેમણે સાધના-આરાધનાના સ્તરની કલા પૂજા કરી છે. પ્રત્યક્ષ દર્શન કરીને, અનેક તસવીરો ખેંચીને પ્રકૃતિનાં એ લાડકવાયાંને જાણે કે પિતા તુલ્ય પ્રેમ કર્યો છે. વ્હાલસોયાં રાની પશુઓના વિકરાળ સ્વરૂપમાંથી પણ કરૂણતા લાવવાનો તેમનો પ્રયાસ કાબિલે દાદ છે. તેમની છટા, ચાલ, દ્રષ્ટિ પરાણે વહાલાં લાગે એવાં હોય ! મોરપીંછ ધારક મયુરની ચાલ, તેના પીંછાનાં ચાંદલાનાં રંગ, તેની કલગીનો રૂઆબ તેઓ શ્વેત મોરમાં પણ લાવી શક્યા છે. એ શ્વેત મોરનાં રૂંવે રૂંવેથી પ્રકાશના કિરણના મેઘધનુષી રંગો જેવા રંગો જાણે કે નીતરે છે અને ભાવકના હૈયાને ભાવથી ભીંજવે છે. જ્યારે જ્યારે વિજયભાઈએ માનવ ચહેરાનાં નિરૂપણ કેનવાસ કે કાગળ પર કર્યા છે ત્યારે ત્યારે પાત્રના વાળ, આંખ, નાક, કપાળ, ભવાં, હોઠ આદિમાં સજીવતાનાં કોક અંશ ઉમેર્યાં છે જેથી એ પાત્રો વાચાળ બને છે. એમના ભાવ પ્રગટ થાય છે. અરે ! સ્ત્રી પાત્રોની નજાકતતા, મુખભાવ, શરમાળપણું, મિજાજ, અંશતઃ લાજ કાઢેલી સાડી અને હા ! આભૂષણોની ઝીણવટભરી ગૂંથણી-નાજુકાઈ સ્થિર ચિત્રમાં પણ લાસ્ય લાવે છે - રૂપચિત્રમાં આમ તો ગતિ ન હોય પણ શ્રીમાળીનાં નારી પાત્રો ભારે પ્રવૃત્ત લાગે અને આંખો નજરૂંના બાણ વાગ્યાં હોય તે જાણે ! આવી કલાત્મક અભિવ્યક્તિના સ્વામી મુક્ત કલાકાર બની જીવ્યા અને જીવનથી મુક્ત થઈ ગયા.
લસરકો ઃ
અર્થપૂર્ણ વિષય વૈવિધ્ય, સત્ય, શિસ્ત, કલાસ્વાતંત્ર્ય છતાં સહજ. ભારવિહીન કળાના હળવા કલાકારની આ છે વિજયપતાકા.
- પોતાના કાર્યક્ષેત્રને ઉજાળનારનું જીવ્યું સાર્થક
ઇશ્વરે આ સૃષ્ટિને ઘડીને હાથ ધોઈ નાખ્યાં હશે. 'જાતસ્ય હી ધુ્રવઃ મૃત્યુ' - જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત્ત છે એ સ્વીકારતી માનવજાત મૃત્યુને જીવનનો એક વળાંક - 'મોડ' માનીને ચાલે છે ત્યારે એ એટલું જાણે છે કે નશ્વર છે અને તે અધોગામી છે. પંચમહાભૂતમાં મળી જાય છે - ગમે તે પ્રક્રિયાથી ! જ્યારે દાર્શનિકો, વિચારકો, ગુરુઓ કહે છે તેમ આત્મા ઉર્ધ્વગામી છે. જે આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારતાં હોઈએ છીએ. લૌકિકમાંથી અલૌકિક વિશ્વમાં જતો રહેલો આત્મા 'મુક્ત' થયો એમ કહેવાય છે. પરંતુ એના પુનઃ બંધનથી આપણે અજાણ છીએ. કદાચ એ હકીકત જ માનવીને શાંતિથી જીવવા દે છે ! આપણી બહુરત્ના વસુંધરામાં એવાં અનેકાનેક જીવના સંપર્કમાં આપણે આવીએ છીએ જેમને મળીને આપણે કૃતાર્થ થઈ જઈએ છીએ. એ વિશિષ્ટ જીવ પણ પૃથ્વી પર ઇશ્વરેચ્છા મુજબ વિહરી અગોચરમાં ચાલ્યો જાય છે. આશ્વાસન આપવા-લેવામાં પાવરધા આપણે એટલા બધા તર્ક કરીએ છીએ કે એ સર્વગ્રાહ્ય થઈ જાય છે ! 'પ્રભુના દરબારમાં ખોટ પડી તેથી પ્રભુએ એમને બોલાવી લીધા.' 'હવે તો ઉપરવાળાના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરી ત્યાં પોતાનું કર્તવ્ય નિભાવશે.' ખેર ! આવી વિચારધારાને હકારાત્મક દ્રષ્ટિકોણથી અપનાવનારાં આપણે સૌ જનારને સો-સો સલામી આપીએ એમાં જ સહુનું કલ્યાણ છે. કલાક્ષેત્રે આ ધરાને ધમધમતી કરીને કારકિર્દીના મધ્યાહ્ને જેમણે નિવૃત્તિ લઈને બ્રહ્માંડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું એવા ચિત્રકારની કળાના અસબાબને ઓળખવાની કોશિશ કરીએ તો ય ઘણું !