Get The App

જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે, નમાજે...

Updated: Jan 23rd, 2024

GS TEAM

Google News
Google News
જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે, નમાજે... 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- દુનિયા તો જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે ત્યારે જ્યારે જ્યારે તકાજો ઉભો થાય છે ત્યારે ત્યારે તરત બદલાઈ જાય છે. તમે હજુ કેમ ગાફિલના ગાફિલ રહ્યા?

જુદી જિંદગી છે મિજાજે મિજાજે,

જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમદંર થયું એટલે શું ?

જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ અંતરથી વહેતા,

છે સૂરો જુદેશ રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,

છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,

છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,

જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ 'ગાફિલ' હજીયે છો ગાફિલ ?

જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.

- મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ'

ગુ જરાતી ગઝલ પરંપરામાં મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ'એ બહુ અગત્યનો મણકો છે. ઘણાં ઓછાને એ વાતની છે. ભજનિકોની વાણીમાં એમના શબ્દોમાં એક જબરજસ્ત કામણ હોય છે. મનુભાઈ ગાફિલ તેના સીધા વારસદાર હતા. ગઝલમાં તેમણે આ ગૂઢ વાતો બહુ રમતા-રમતા કરી દીધી છે.

સમજવી છે સહેલી સાવ તંબૂરતાની સીમા,

પરંતુ સાવ સમજણ પાર છે ઝંકારની સીમા.

જુદી જિંદગી છે મિજાજે મિજાજે.. આ ગઝલ મનુભાઈની શ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. પણ આ ગઝલ વિશે થોડીક વાતો જાણીએ ત્યારે આ ગઝલ અને આ ગઝલકારને જોવાની આપણી દૃષ્ટિ કદાચ બદલાઈ જાય. આ તેમની અંતિમ ગઝલ છે. હા, અમદાવાદમાં તા.૮-૪-૧૯૭૨ના રોજ શનિવારે રાત્રે મુશાયરો યોજાયો હતો. મનુભાઈ ત્રિવેદી તેમાં ભાગ લેવાના નહોતા. પણ સૌના આગ્રહથી તે ઉભા થયા અને આ ગઝલ રજૂ કરી. મૃત્યુ પહેલા દસેક મિનિટે રજૂ કરેલી આ ગઝલને પુષ્કળ દાદ મળેલી. પણ દાદ આપનારાઓને ક્યાં ખબર હતી કે આ ગઝલ અને તાલીઓનો અવાજ હવામાં ગૂંજતો હશે ત્યાં તો આ શાયરનો જનાજો નીકળશે.

પ્રત્યેક મિજાજે મિજાજે આપણી જિંદગી અલગ અલગ હોય છે. પ્રત્યેક મૂડ વખતે આપણે એક અલગ જીંદગી જીવતા હોઈએ છીએ. અરે આપણી પ્રત્યેક નમાઝે નમાઝે બંદગી પણ જુદી હોય છે. ભિન્નતામાં એકતાની વાત એકતામાં અનેકતાની વાત, એક ઉપાસકની નજરે, એક સાધકની નજરે કેવી રીતે પ્રગટે છે તે આ ગઝલ દ્વારા સમજાય છે. ભલેને દરિયો એક રહ્યો પ્રત્યેગ જહાજે જહાજે, પ્રત્યેક હોડીમાં મુસાફરો જુદા-જુદા હોય છે. જુદી-જુદી દિશામાં જુદા-જુદા ગામે જુદા-જુદા કારણસર નીકળ્યા હોય છે.

એક જ હૃદયમાંથી એક જ સંગીતકાર પોતાના વાજિંત્ર દ્વારા સૂર રેલાવતો હોય છે તો પણ દરેક વખતે એ સૂર જુદા હોય છે. અરે એક જ રાગ એક જ સંગીતકાર એક જવાદ્ય હોય છતાં પ્રત્યેક રિયાઝ વખતે સૂર જુદા-જુદા પ્રગટતા હોય છે. એક જ શબ્દના જુદા-જુદા કેટલાય અર્થ થતા હોય છે. કોણ બોલે છે, કેવા ટોનમાં બોલે છે, ક્યારે બોલે છે એ પ્રમાણે જ પ્રત્યેક શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. પ્રત્યેક જીવન પ્રત્યેક શરીરના જુદા છે અને જનાજે જનાજે મૃત્યુ ય જુદા હોય છે. કોઈકવાર સ્મશાને ઉભા રહીએ અને આસપાસ બળતી ચિતાઓ જોઈને જો કોઈને પૂછીએ કે કોનું મૃત્યુ કઈ રીતે થયું હતું ? તો જેટલા મૃત્યુ થયા હોય એટલા કારણ જાણવા મળે.

સુદર ચહેરા ઉપરનો ઘૂંઘટ ઢળી જાય ત્યારે એ ઘૂંઘટને હાથેથી ઊંચકવામાં આવે ત્યારે.. ટૂંકમાં દરેક વખતે એનો એ પ્રેમ જુદી- જુદી રીતે પ્રગટ થયા કરતો હોય છે.

ગઝલના અંતિમ શેરમાં ગાફિલે પોતે પોતાને જ પૂછ્યું છે કે તમે ગાફિલ હજુ કેમ ગાફિલ છો ? દુનિયા તો જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે ત્યારે જ્યારે જ્યારે તકાજો ઉભો થાય છે ત્યારે ત્યારે તરત બદલાઈ જાય છે. તમે હજુ કેમ ગાફિલના ગાફિલ રહ્યા ?

ગાફિલનો એક પ્રસંદ યાદ આવે છે. ગાફિલનો ગઝલ સંગ્રહ 'બંદગી' તેમની હયાતીમાં જ પ્રગટ થવાનો હતો. પ્રેસમાં મોકલવા માટેની કોપી ૧૩૫ ગઝલોની તેમણે ટાઈપ કરાવીને રાખી હતી. પરંતુ એ પહેલા તો તેમણે વિદાય લઇ લીધી. મકરંદ દવે અને અમૃત ઘાયલે ભેગા મળીને ૬૧ ગઝલો અને થોડાક મુકતકો પસંદ કરીને સંગ્રહ પ્રગટ કર્યો છે. પણ સંગ્રહના છૂપાયેલા ફર્મા હાથમાં આવ્યા ત્યારે પુસ્તકમાં પાના નંબર નહોતા. અરે પુસ્તકનું નામ પણ પુસ્તકના પાના પર છપાયું નહોતું. આમ જોવા જઇએ તો મોટી ઉણપ રહી ગઈ કહેવાય. પણ મકરંદ દવેએ સરસ વાત કરી છે કે જો મનુભાઈ હોત તો મજાક કરત કે, 'ગારિલ'ની 'બંદગીમા' વળી ગણતરી નહીં, સાચી ગાફિલી ગણાય. ઘાયલે તેમના વિશે લખેલી ગઝલનો શેર યાદ આવે છે.

જતાં પહેલાં જીવનભરના હિસાબો ચૂકતા કીધા,

હતા ગાફિલ છતાં કેવા હિસાબી યાદ આવે છે.

મનુભાઈ ત્રિવેદીની ગઝલમાં ત્રણ સૂર મુખ્ય સંભળાય છે. ઇશ્વર પ્રત્યેનું સમર્પણ, સર્વનો સ્વીકાર અને એક પરમ સંતોષ. તેમની ગઝલોમાં ક્યાંય કડવાશ, કચાશ કે કઠોરતા જોવા નથી મળતી. હકીકતમાં તો એ નરી કડવાશો, કઠોરતા અને પ્રપંચ જ્યાં ઉભરાય છે તેવા ન્યાયલયમાં જીવનભર ન્યાયાધીશ તરીકે રહ્યા. તેમની એક ખૂબ ગમતી ગઝલ અહીં જોઇએ.

તરંગોનો તો દરિયો છે, ભલા આરાએ ક્યાં જાવું ?

વિચારો કાજ છે દુનિયા, આ દિલ મારાએ ક્યાં જાવું ?

જીવનનો સાથ સ્વીકારું કે પાલવ મોતનો પકડું ?

નથી સમજાતું એના એક અણસારાએ ક્યાં જાવું ?

નથી પડતું લગારે એન જેનાં દ્વાર વિણ દિલને,

દિયે છે એ જ જાકારો, એ જાકારાએ ક્યાં જાવું ?

રુદનનું એ જ છે કારણ કે બે આંખો સ્વપ્ન લાખો,

ને હર સ્વપ્ને ફૂટે રસધાર, એ ધારાએ ક્યાં જાવું ?

મના રડવાની કરતાં પહેલાં સમજાવે મને કોઈ,

કોઈની યાદમાં તડપેલ અંગારાએ ક્યાં જાવું ?

ન ફાવ્યું તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે,

ખરી શકતા નથી કંટક, એ દુખિયારાએ ક્યાં જાવું ?

મળી રહે છે સહારો દેહને કબ્રે-સ્મશાને, પણ

કરીને ઠામ થાવા જીવ-વણઝારાએ ક્યાં જાવું ?

મરણનો સાથ પણ મળતો નથી એને અરે કિસ્મત !

મરણ વાંકે જીવનનો ડોળ કરનારાએ ક્યાં જાવું ?

Tags :