પરમના રહસ્યોની ભીતર જતી ગઝલ .
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જે ભીતરનો પ્રવાસી છે તે એક પછી એક વિધિઓ કરતાં-કરતાં, એક પછી એક દરવાજોઓ ખોલતાં-ખોલતાં એ રહસ્યોને સમજવા મંડે છે અને ફરી આ જગત સાથે, આ સૃષ્ટિ સાથે સંવાદ સાધે છે
સાહિબ
ના કશું જોઈએ હવે સાહિબ,
ના તિલક કંકુ ટેરવે સાહિબ.
ઘટ ઘડયા એ જ ઠીક છે સાહિબ,
ચાકડા કોણ ફેરવે સાહિબ.
ના તો મંદિર કે મસ્જીદે ફેરા,
ના નથી જાવું માળવે સાહિબ.
એક તું બીજી બંદગી તારી,
વાત-વાતે હ્ય્દય હવે સાહિબ.
પીપળો પકડી ક્યારનો બેઠો,
પાંદડાં પળનાં ખેરવે સાહિબ.
બેઉ વચ્ચે કશોક પડદો છે -
જીવ એ વાતે રવરવે સાહિબ.
એક તલ જેવડી જગા પરથી,
વિશ્વ આખું યે ફાળવે સાહિબ.
હું જીવન જેમતેમ રાખું તો,
સળ બધા રોજ ગોઠવે સાહિબ.
મિત્ર જોશી ઊભા છે રંક થઈ,
જીભ ચોંટી છે તાળવે સાહિબ.
- મહેન્દ્ર જોશી.
બા ળપણમાં આ જગતને આપણે સૌએ જુદી જ આંખથી જોયું છે. ત્યારે આપણે પક્ષીઓ સાથે વાત કરતા હતા. વૃક્ષો-નદીઓ-ઝરણાં બધાની સાથે બધી જ ભાષામાં બોલી શકતા હતા. ભગવાનની સાથે પણ વાત કરતા હતા. જેમ-જેમ મોટા થતા ગયા તેમ-તેમ જાણે બધું છીનવાતું ગયું કાં તો પછી અદ્રશ્ય થતું ગયું કાં તો હાસ્યાસ્પદ લાગવા મંડયું. પછી આપણે મંદિરો બનાવ્યા અને એ મંદિરોમાં જઈને નિયમબધ્ધ પ્રાર્થનાઓ કરવા મંડયા. અને પછી તો યાંત્રિક બનતા ગયા. એવા બનતા ગયા કે બાળપણની એ બધી વાતો બાલિશ લાગવા મંડી. ધર્મોએ કહ્યું છે બાળક જેવા બની જવાનું છે. અને જે ભીતરનો પ્રવાસી છે તે એક પછી એક વિધિઓ કરતાં-કરતાં, એક પછી એક દરવાજોઓ ખોલતાં-ખોલતાં એ રહસ્યોને સમજવા મંડે છે અને ફરી આ જગત સાથે, આ સૃષ્ટિ સાથે સંવાદ સાધે છે. જે બાલિશ વર્તન લાગતું હતું એ ઉપાસનાના અંતે દ્રષ્ટિ બદલાતા બાળસહજ બની જાય છે.
કવિ મહેન્દ્ર જોશીના ગઝલ સંગ્રહ 'કોઈ જાગે છે' માંથી પસાર થઈ રહ્યો છું અને 'સાહિબ' રચના પાસે અટકી જઉં છું. બધી જ વિધિઓ એક હદ સુધી અત્યંત જરૂરી છે. પછી એ છોડવી નથી પડતી છુટી જાય છે. ત્યારે પેલા ઉપર બેઠેલા સાહિબને, ભીતર બેઠેલા સાહિબને, કણે-કણમાં રહેલા સાહિબને કશુંક કહેવાનું મન થાય છે. અમીર ખુસરોની પંક્તિઓ યાદ આવે છે.
છાપ-તિલક સબ છિન્હા રે
તો સે નયના મિલાય કે.
આ નજર મળવાની જ વાત છે. અને પહેલી પંક્તિમાં વાત આવે છે હવે કશું જ નથી જોઈતું. અરે તિલક કરવા માટે ટેરવે કંકુએ જોઈતું નથી. ઈશ્વરે આપણા સૌના જે ઘાટ ઘડેલા છે એ યથાયોગ્ય છે. રામકૃષ્ણ પરમહંસ હંમેશા કહેતા હતા કે એની ઈચ્છામાં મારી ઈચ્છા ભળી ગઈ છે. મહાવીર સ્વામીના અહિંસા શબ્દમાં પણ ખૂબ ઊંડે ઉતરતા ઓશોએ સર્વના સ્વીકારની વાત કરી છે. જે એણે આપણા ઘાટ જે ઘડયા છે એ ઠીક છે. અલગ-અલગ ઈચ્છાઓ કરીને નવા ઢંગધડા વગરના ઘાટ ઘડાવાની કોઈ ઈચ્છા નથી. આપણી ઈચ્છાઓ એવી ઢંગધડા વગરની હોય છે કે ઘડીકમાં શિખર ઉપર હોઈએ છીએ અને ઘડીકમાં તળેટીમાં. ઘડીકમાં પરણીએ છીએ અને ઘડીકમાં રાંડીએ છીએ. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. ઉપાસના તો અ-મના થવાની વાત છે. અને એટલે જ બહુ સુંદર વાત કરી છે. હવે મંદિરે કે મસ્જિદે કોઈ ફેરા નથી રહ્યા. હવે મન જ નથી રહ્યું તો શું માળવે જવું ? પ્રત્યેક શબ્દ તારો છે. શબ્દ બ્રહ્મ છે, એ ખ્યાલ આવી ગયા પછી તો એની પ્રાર્થનાના કે એની બંદગીના એક એક શબ્દે હ્ય્દય ભીનું થઈ જાય છે. હ્ય્દય દ્રવી ઊઠે છે.
દેહરૂપી, શરીરરૂપી પીપળો પકડીને આપણે બેસી રહ્યા છીએ. અને એકએએક ક્ષણના અને એકેએએક શ્વાસના પાંદડા ખરી રહ્યા છે એનો ખ્યાલ જ નથી. છેક સુધી પહોંચ્યા પછી પણ છેક પ્હોંચાતું નથી. આ અહંકાર, આ મન, આ જીવદશાને કારણે એક પારદર્શક પડદો તો વચ્ચે રહી જાય તો છે જ. ઓ મારા સાહિબ ! આ એનું જ દુ:ખ છે. જીવ જે તરફડે છે, જે દુ:ખી છે એ પરમનું મિલન નથી થતું તેનું છે.
થોડા વખત પહેલા વોટ્સએપ પર કોઈ એક સુંદર ફિલ્મ મોકલી હતી. તેમાં કોઈ એક સુંદર છોકરી ઊભી છે, પછી ઘર છે, પછી આંગણું છે, પછી ગામ છે, પછી ગુજરાત છે, પછી ભારત છે, પછી એશિયા ખંડ છે, પછી વિશ્વ છે, પછી પૃથ્વી છે, પછી તો આવી અનેક પૃથ્વી છે એ વાત છે, પછી તો આવા અનેક બ્રહ્માંડો છે. હવે વિચારીએ કે આપણું સ્થાન ક્યાં ? જાણે એક નાનકડા તલ જેવી જગ્યા ઉપર એ પરમ ચૈતન્યએ આ સમગ્ર પૃથ્વી રચી આપી છે.
આપણે જે ભોજન લઈએ છીએ એ પચાવાનું ગજું પણ આપણું નથી. કોઈ પરમશક્તિ, કોઈ પરમ શિસ્ત, આ સકળ વિશ્વનું નિયમન કરે છે. આપણે વહેલા ઊઠવાનું ભૂલી જઈએ પણ સૂરજ ઉગવાનું ભૂલતો નથી. આપણે વેકેશન ઉપર જઈ શકીએ. કોઈ ઋતુઓ વેકેશન ઉપર જતી નથી. આપણે આપણા જીવનને જેમતેમ રાખીએ છીએ અને તેના સળ સાહિબ પોતાની રીતે ગોઠવે છે. આવા-આવા અનુભવોમાંથી જ્યારે જીવન પસાર થાય ત્યારે જે રંક હોવાનો ભાવ પ્રગટે છે, જે નમ્રતા પ્રગટે છે એ એક જુદા જ પ્રકારની હોય છે. બોલતા-બોલતા જીભ પણ થાકી જાય છે. કવિ ન્હાનાલાલની પંક્તિ સહજ યાદ આવી જાય છે. જીભ થાકીને વિરમે કે, વિરાટ વદી...
ગુજરાતી ગઝલ ક્ષેત્રે મહેન્દ્ર જોશી નોખો ચીલો ચાતરતા કવિ છે. ગઝલની પરંપરામાં કેટલાક સજ્જ સર્જકો ગઝલ સાથે નિષ્ઠાથી કામ પાર પાડી રહ્યા છે. મહેન્દ્ર જોશી તેમાંનું એક નામ છે. ઉપનિષદ કહે છે કે જે બધું જ સમજ્યો છે એવું કહે છે એ કશું જ જાણતો નથી. જે એમ કહે છે કે તેને થોડુંક સમજાય છે એ ઘણું જાણતો હોય છે. તે બે પાંખ આપી તેને લીધું હું આકાશ સર કરી શકું છું આવું થોડું-થોડું ઊંડાણથી સમજાવતી ગઝલ જોઈએ.
થોડુંક તો સમજાય છે
બે પાંખ દઈ નભ સર કર્યા થોડુંક તો સમજાય છે,
આ સ્વપ્નનને પગભર કર્યા થોડુંક તો સમજાય છે.
ભાંગી અને ભરભર કર્યા થોડુંક તો સમજાય છે,
તેં આંસુ દઈ સરભર કર્યા થોડુંક તો સમજાય છે.
હોશો-હવાસ કોના રહ્યાં કોના કદમ ડગમગ થયા,
કોણે શિખર પર ઘર કર્યા થોડુંક તો સમજાય છે.
વરદાન જેવા હાથને કાયમ અમે ઠેલ્યા કર્યા,
કંકર નર્યા ઈશ્વર કર્યા થોડુંક તો સમજાય છે.
કઠણાઈમાં મન કોઈ ના વાંચી શક્યા ના લેશ પણ,
બસ રેતમાં અક્ષર કર્યા થોડુંક તો સમજાય છે.
ઓ પાર કાજે જીવ તો વલખ્યા કરે પાછો વળે,
સોને મઢ્યાં પિંજર કર્યા થોડુંક તો સમજાય છે.
કોરા કપાળે તિલક કરી નીકળી પડયા,
ધામે ધૂમે અવસર કર્યા થોડુંક તો સમજાય છે.