વારસાઈ રૂપચિત્રોનો ઠાઠ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- માનવીના મનમાં રહેલી ભાવનાની અભિવ્યક્તિ
આપણા જીવનમાં કુદરતની કેટલી બધી મહેર છે ! ન માત્ર એણે આપણને જીવન આપ્યું પણ સાથે સાથે જીવનને આનંદમય, મંગલમય, શ્રેયકર, કલાત્મક કઇ રીતે બનાવવું તે પણ શીખવ્યું. અને માનવી ! દરેક ક્ષણે જીવનમાં નાવીન્ય કેવી રીતે લાવવું એની ફિરાકમાં જ રહે છે. નવું નવું શીખવાની તમન્ના, ઉપલબ્ધ સામગ્રી, બગલા જેવી તકસાધુ વૃત્તિ, પોતાના કાર્યક્ષેત્રે શિખરે બિરાજવાનાં સ્વપ્ન તેને ક્યાં ને ક્યાં લઇ જાય છે ! વળી, 'આપણને તો ભાઈ સંતોષ છે હોં' કહેતો માનવી વિરોધાભાસી વાક્ય પણ ઉચરે 'જુઓ, સંતોષ લઇને બેસી જઇએ ને તો પ્રગતિ અટકી જાય' એમ કહી ભાવિ પર નજર રાખી, ક્યાંથી લોભાન્વિત થવાશે એની શોધમાં એ મશગૂલ થઇ જાય અને પાછા હવે તો ગુગલદાદાનાં આશિષ લઇ ખેડાણ પણ કરવા માંડે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ટાંચા સાધનો અને કર્મમાર્ગ ઉબડખાબડ હોવા છતાં એણે તો પ્રગતિના માર્ગે આગે કદમ કર્યાં જ છે. તો, જે કંઇ જીવનના વિવિધ તબક્કે અને જુદા જુદા ક્ષેત્રે, પ્રત્યેક યુગમાં અનુભવાયું તે સઘળું કલાક્ષેત્ર માટે પણ ખરું પડયું. માનવીના અસ્તિત્વના ઉષઃકાળે ચિત્રકળા જન્મી. સમય અનુસાર ભીંત, છત, છો, પથ્થર, માટી, ગુફા, વૃક્ષ, કાગળ, કાપડ, કેનવાસ, કાચ, સિન્થેટીક માધ્યમ, ધાતુ આદિએ માનવીને જન્મોજન્મનો સાથ આપ્યો. સાચે જ, આ વરિષ્ઠ કળા-ચિત્રકળાએ એવું કાઠું કાઢ્યું કે રાજ્ય, પ્રાંત, પ્રદેશની તાસિર મુજબ એ ખીલી. મેદાન તો તેણે ત્યારે માર્યું જ્યારે 'પોટ્રેઇટ' એટલે કે 'રૂપચિત્ર'નો આવિષ્કાર થયો.
જેમાં રૂપ સ્વરૂપ ખીલે; નિખરી ઊઠે તે રૂપચિત્ર -પોટ્રેઇટ
ચોથી સદીમાં માણસ કેવો દેખાતો હશે એની ગડમથલમાં એક આદર્શ પ્રતીક તરીકે પોટ્રેઇટ કળાનો ઉદય થયો. રોમ, ગ્રીસ, ઇજિપ્ત જેવી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી ધરતીમાં ઘરની નીચે મૃત વ્યક્તિની ખોપરીને પ્લાસ્ટર લગાડીને દાટવામાં આવતી અને તેના આધારે માનવીના રૂપ-સ્વરૂપની કલ્પના કરી તને નૂતન આકાર આપવામાં આવતો. કલાનો ઇતિહાસ કહે છે કે રૂપચિત્રનાં ઉદાહરણોનો ઉદ્ભવ ત્યારથી થયો. એમાં જિંદગીની ક્ષણભંગુરતાનું આલેખન થતું. સમય જતાં રાજાઓને અમર થવાના અભરખા જાગ્યા અને તેમણે કલાકારોને રોકી પોર્ટેઇટસ કરાવ્યા.
મધ્યયુગ આવતાં જ આ કળા વિકસી. તેને કબર સ્થાપત્યમાં સ્થાન મળ્યું. ચમકતાં ચિત્રો બનવા લાગ્યાં. સાથે સાથે જડતર, જરી, તૈલરંગો અને અન્ય સુશોભન પણ એમાં સામેલ થયાં. પેરૂ દેશના 'મોકે કલ્ચર' અંતર્ગત શરીરશાસ્ત્રના નિયમ મુજબ ચોક્કસ માપનાં પોટ્રેઇટ થતાં. એની ઓળખ સ્પષ્ટ રીતે થતી. તેમાં નામ કે પ્રતીક કોઇનીય ગરજ રહેતી નહિ. રૂપચિત્રની વ્યાખ્યા ઉદાર છે. ચિત્ર, તસવીર, શિલ્પ કે અન્ય કલાત્મક પ્રતિનિધિ કળાનો એમાં સમાવેશ થાય. આ કળામાં આદમકદ, અર્ધ શરીર, બસ્ટ (માથાથી છાતી સુધી) કોઈપણ ચિત્રણ હોઈ શકે. હા, પૂર્ણ શરીરવાળું પોટ્રેઇટ હોય તો એની પ્રતિભા, મૂડ, મુદ્રા અને અભિવ્યક્તિ સરસ રીતે સચવાઈ જાય. તસવીરના આધારે પોટ્રેઇટમાં વિશાળ શક્યતાઓ ઉભરી આવી. સાહિત્યમાં એને 'પાત્રાલેખન' કહેવાય. એમાં હકીકત અને કલ્પનાનો 'કોમ્બો' હોય.
કલા એટલે રંગ આકર્ષણમાંથી ઉદ્ભવેલું નવલું નજરાણું
વરિષ્ઠ કલાકાર નટુભાઈ પર ઉત્તમ યુરોપિયન શૈલીની અસર હતી તેથી તેમનાં રૂપચિત્રોમાં પાત્રની લાક્ષણિકતા ભીતરથી પ્રગટતી. એ સર્જન ભાવકની સંવેદનાને જગવતું. એવું જ એક અસલ પોટ્રેઇટ છે લોહપુરુષ 'સરદાર' વલ્લભભાઈ પટેલનું તેમના કપાળ પર ઉપસેલી રેખાઓ ભારોભાર ચિંતિત આંખો તેમની દેશ પ્રત્યેની ચિંતાનો અહેસાસ કરાવે છે. રજવાડાનાં વિલિનીકરણ અને હૈદ્રાબાદનું હૈયાધારણ એમની પ્રતિભામાં ડોકાય. ગુજરાત કૉલેજમાં કવિ ન્હાનાલાલના રૂપચિત્રમાંથી ડોલન શૈલીનાં અવતરણ થતાં લાગે. છંદનાં બંધનને ફગાવનારા કવિ લયબધ્ધ ઉર્મિગીતો પ્રસવે તેનો સંતોષ એમના ચહેરા પર છલકાય. દાંડીના દરિયાકિનારે ધીરગંભીર ગાંધી બાપુ ઊંડા ચિંતનમાં સરી ગયેલા દેખાય. સાબરમતી આશ્રમમાં વિદ્યમાન આ રૂપચિત્રમાંથી ચપટી મીઠાની ખારી સુગંધનો દરિયો ઉમટે જેમાં બાપુની આંખના અશ્રુની ખારાશ ભળી ગઈ હતી. દરિયાના ચિત્રના સ્પેશ્યાલિસ્ટ નટુભાઈએ આ ચિત્રમાં પણ એમની ખાસિયત સમાન વાદળી જળ, રતુમડું આકાશ, આછી ઘેરી કથ્થઇ રેતી સૌને રમતાં કરી એક સંપૂર્ણ કલાત્મક વિશ્વ ઊભું કરી દીધું છે. 'સર્વ ધર્મ સમભાવ' વાળા બાપુના રૂપચિત્રમાં તેઓ સન્મુખ થયા છે. દુબળી પાતળી દેહયષ્ટિ ચહેરા પર ચિંતાનાં વમળો સર્જે છે. પશ્ચાદભૂમાં ધાર્મિક સ્થાનોની શ્રેણી નિરૂપી કલાકારે મૂક સંદેશો જાણે કે કોતર્યો છે કેનવાસ પર. નટુભાઈનો પ્રિય લવંડર કલર આ ચિત્રમાં રાજ કરે છે. ઓઇલ કલર કેવી આભા-પ્રભા પ્રગટાવી શકે છે તેનો આ બોલતો પુરાવો છે. બાકી, પોટ્રેઇટનું આકાશ તો અસીમ છે.
લસરકો
કલાત્મક માધ્યમનાં માનવોને રજુ કરવાની કલાત્મક કલા એટલે પોટ્રેઇટ
ઘર આંગણાના પોટ્રેઇટ કલાકાર નટુભાઈ પરીખ
આધુનિક-અતિઆધુનિક યુગમાં રૂપચિત્રોનો વારસો જળવાઈ રહ્યો છે. ટેકનિકલ ક્રાંતિ આવ્યા છતાં મોડેલને બેસાડીને અથવા તસવીર આધારિત અતિ શાસ્ત્રીય ઢબે જૂનાં ને જાણીતાં માધ્યમોને લઇને કલાકારો ખૂબ નિષ્ઠાભાવે ધીરજ ધરીને પોટ્રેઇટસના વારસાને આગળ વધારી રહ્યા છે. ૧૬ માર્ચે-૨૦૨૪ના રોજ અનંતની યાત્રાએ ચાલી નીકળેલા કલાયાત્રી નટુભાઈ પરીખે કરેલા કેટલાંક રૂપચિત્રોને માણીએ. અમદાવાદના ટાગોર હોલમાં પ્રવેશ કરતાં જ સૂતરની આંટીને શિરપેચ તરીકે ધારણ કરીને ઉભા છે મહાકિવ રવીન્દ્રનાથ ટાગોર. કાચની ફ્રેમમહીંથી આરપાર બહાર નિરખતા કવિવરની ઝીણી આંખોમાંથી અનર્ગળ નીતરે છે વિશ્વપ્રેમ, સાહિત્ય અને કળાની સરવાણી. એ ચક્ષુ અને એ દ્રષ્ટિને આત્મસાત્ કરનારા નટુભાઈ પાસે ચક્ષુ અને દ્રષ્ટિ હતા. તેજસ્વી ચહેરાને ઓજસ્વી બનાવનારા રૂપેરી કેશ અને દાઢીના પ્રત્યેક મોવાળામાં સહજતા, સુંવાળપ એ ઠસ્સો અનુભવાય. લીલાશ પડતો પૂર્ણ કદનો ઝભ્ભો એ ગુરુવર્યનો ઉત્તમ લિબાસ છે જેના રંગમાં તેજ-છાયા સળે સળે દેખાય છે. કલાકારે તેમને જરૂર ચરણસ્પર્શ કર્યા હશે તેથી જ તો જમણા પંજાનું પગલું અને મોજડીમાં ડગલું ભર્યાનો ભાવ છે. તૈલરંગી આ રૂપચિત્ર કવિવર ટાગોરની પ્રતિભાને છતી કરી ભાવકને તેમનો પરિચય વિગતવાર કરાવે છે. કલાકારની પીંછીની કમાલ તો જુઓ- સ્હેજ ઝૂકેલા ઝળહળતા રવિની આભા અકબંધ છે. નોબેલ પારિતોષિક પામનારા ખરા નોબલ લાગે છે ! તૈલ રંગમાં પશ્ચાદ્ભૂ સાથે પાત્ર અને તેમના વસ્ત્રની રંગછાયા નિરૂપણમાં આ જલરંગમાં ઝબોળાતા કલાકારના લસરકા કવિ જેવા ગંભીર છતાં મન મૂકીને વરસ્યા છે.