મનુ પરીખનો મનોરમ્ય ચિત્રમુકામ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- ચિત્રકલાને પાણિયારે પાણી પીધાનું યાદ...
આધુનિક ચિત્રાંકનોને વરેલા મનુભાઈને સમૃધ્ધ રાજપૂત ચિત્ર શૈલીએ સંમોહિત કરેલા. અત્યંત સર્જનાત્મક દ્રષ્ટિકોણને કારણે પ્રસ્તુત કલાકારે કુદરતનાં તત્ત્વોને આધારિત ભારતીય સ્થાપત્યોને પ્રેમ કરેલો. કિલ્લા, મહેલો અને સ્મારકોમાં એમને રસરૂચિ હોવાના કારણે એમાં ખેડાણ કર્યું. પશ્ચાદ્ભૂમાં રાજસ્થાની લઘુચિત્રોની છાયાની માયા એમને વળગેલી. મજબૂત આવડતસભર માવજતને કારણે એમનાં ચિત્રો એટલાં પ્રભાવી બનતાં કે ભાવકો વિચારતાં કે ચિત્રના વિષયને વખાણીએ કે પછી એમની અભિવ્યક્તિને ? એમનાં ચિત્રોમાં તેજસ્વી-ઘાટા પીળા, કેસરી અને લાલ રંગની પૂરણી અને પૂર્તિ તેઓ કરતા. ચિત્રમાં વોશ સામાન્ય રીતે આછા રંગનો હોય પણ મનુભાઈ તો વૈભવી લાલ ઘાટા રંગનો વોશ મારી એમાં મ્હાલતા. અરે ! વનરાજી, નિવાસસ્થાનો, તંબુ, પર્વત અને ટેકરીઓને પણ તેઓ ચાહતા એટલે મનોમન એ સ્થળોએ આટાપાટા રમી આવતા. પરિવારના કલાપ્રવાહમાં જોડાયેલા આ કલાકારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ગુરુવર્ય એન.એસ.બેન્દ્રે અને કલાપ્રતિમા કે.જી. સુબ્રમણ્યમ પાસેથી પ્રેરણાનાં પીયુષ પીધેલા. પોતાને સહજપ્રાપ્ય કળાને એમણે વહેંચવાનો નિર્ણય કરી ગમતાંનો ગુલાલ કર્યો અને અનેક શિષ્યોને એમણે સિધ્ધિનાં શિખરો સૂર કરવા માટે સજ્જ કર્યા. રાહ ભૂલેલાં વિદ્યાર્થીઓને તેમણે પાછાં યોગ્ય માર્ગે વાળ્યાં. કલારસિકોના મત મુજબ એમના કેનવોસ પર રસળેલા તૈલ ચિત્રો શુધ્ધ, મધુર અને સાંગીતિક ગુણવત્તા ધરાવતા. પરિવારની કલારસ ધારાએ મનુભાઈના સંતાનો અને એમનાંય સંતાનોના પગ પખાળ્યા છે ત્યારે એટલું કહી શકાય કે ઘરમાં કલાગુરૂ કુળ હતું અને એના અધિષ્ઠાત્રી વિદ્યાબહેન મનુભાઈ પરીખે સ્વયંભૂ કળાજ્ઞાનની ગંગોત્રી વહાવી હતી.
પુત્રવધૂઓ શારદા-બન્ને વિદ્યા કલાકુટુંબની ધૂરા
કલા સેવા માર્ગે વળેલા મનુભાઈ પરીખ સમાજ સેવાનોય ભેખ ધારણ કરતા અને 'આસ્તિકતા'ના સંસ્કારને ય ઉજાળતા. ત્રણે બંધુઓના પરિવારો કલાથી લીંપાયેલા અને એ કલાજ્યોતથી તેઓ 'ઉજળા' બન્યા છે એ ન્યાયે એમાં ઉમેરીએ કે મનુભાઈએ તો ખૂબ બધાં પ્રદર્શનોની ભરમાર કરવાને બદલે અસંખ્ય શિષ્યોને ઘડવામાં વધુ રસ લીધો અને એમાં જ ઝળહળી ઉઠયા. નવી પેઢીમાં વિશ્વાસ મૂકી તેને ઓપ આપી એમાં ઓતપ્રોત થઈને રહ્યા, પરંતુ હા, એમણે જેટલું કલાકર્મ વિશ્વને ચરણે ધર્યું એનાથી રસિક વર્ગ ધરાયો. સીમિત પ્રદર્શનોએ એમને જશ અપાવ્યો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેમને પારિતોષિકો અને એવોડ્ઝથી નવાજ્યા. સિરમોર સમો રાષ્ટ્રપતિ એવોર્ડ તેમને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અર્પણ કર્યો. ''ગૌરવ'' પૂર્ણ ક્ષણોથી તેમનાં અનેક સન્માન થયાં અને એમનાં નોંધપાત્ર કલાકર્મો એર ઈન્ડિયા- મુંબઈ ઉપરાંત અનેક સ્થળોએ શોભાયમાન બન્યાં છે. ''ઉત્સુક કલાપ્રેમીઓ'' તરફથી દિલ્હી, મુંબઈ, કેનેડા, અમેરિકા, જર્મની, ઈન્ગ્લેન્ડના ભાવકોએ એમને વધાવ્યા છે. સૌથી વધુ તો ઘરઆંગણે જેમની યોગ્ય કદર થાય એ તો એક ઉત્સવ જ છે.
નવી પેઢી ટેકનોલોજીમાં લપેટી કલાયાત્રા કરે એનાથી રૂડું બીજું શું છે ? જે રંગ ત્રણે પરિવારોના ફરજંદોમાં પણ પ્રાણ પૂરે છે એ ઝળહળ રંગો આ કલાકારની તાકાત છે - સાહસ છે. તેઓ નવાં પ્રકાશનોને તલ્લીન થઈને, એનો અભ્યાસ કરી નવા પ્રયોગો કરતા. આ ઊંચા ગજાના કલાકારે કદી અન્ય ચિત્રની નકલ કરી નથી. અંદરનું કૌશલ્ય, નિખરે, મૌલિક કૃતિઓ થાય તો ભયો ભયો ! એમનાં ચિત્રો આઈકોનિક નોંધપાત્ર. ભૌમિતિક રેખાંકનોએ એની શીખે આવનારી પેઢીને પણ ઈનામો અપાવ્યાં એ નોંધનીય છે.
અર્થપૂર્ણ ચિત્રોમાં રમમાણ કલાકાર.
'મૉડર્ન આર્ટ'ના કલાકાર મનુભાઈનાં કેટલાંક ચિત્રોમાં ભ્રમણ કરીએ તો આપણો તો ભાઈ એ સુખદ કલાપ્રવાસ જ છે. પ્રતીકાત્મક રેખાંકનો માં તેઓ મેદાન મારી ગયા છે. એક ચિત્રમાં ઘેરા ભૂરા રંગની પ્રશ્ચાદ્ ભૂ. સાથે માટીનો આછો કથ્થઈ રંગ. જાણે કે બે 'પ્લોટ' વચ્ચે એક કલાત્મક માર્ગ. માથે મંડપમાં હોય એવી રચના. એક બાજુએ સફેદ, ઓછા ગ્રે વિભાગમાં શ્વેત ડુંગરા. ઉપર કુદરતી રીતે ડોલતા હવામાં ઝોલાં ખાતાં વિશિષ્ટ આકારનાં વૃક્ષો ! અન્ય એક ચિત્રમાં ગ્રે, સફેદ, લાલ પ્લેઈન રંગોની ગોઠવણને અંતે નાની ટેકરીઓ-અહો અશ્ચર્યમ્ ટેકરીઓ કાળી, લીલી અને સફેદમાં લાલ લકીરોવાળી ક્યાંક સૂર્યોદય થયો જ હોય એવું આકાશ અને વચ્ચોવચ્ચ જંગલનો આભાસ ! એક અદ્દભુત કલ્પનાયુક્ત ચિત્રમાં નાનીશી લાલ-લીલી જાજમ ઉપર છત્રી જેવી રચના જેમાં સફેદ, કેસરી, કાળો, વાદળી રંગનાં સંયોજન એની કિનારી તો જાણે કઠેડા જેવી વાળી છે અને ઉપર વાદળ હશે ? પારદર્શક પોતવાળું એક કૌતુક - જે ઉડતું ભાસે. હા, નીચે ઝીણાં ઝીણાં છોડવાય ખરાં હોં ! વાહ ! એક આછા રંગનું ઈનામપાત્ર ચિત્ર અને પ્રતીકાત્મક વસ્તુઓ-ઓબ્જેક્ટ. આધુનિક ચિત્રોના ચાહકો જરૂર પોતાની કલ્પનાશીલતાનો ઉપયોગ કરી એનું રસદર્શન કરે. આછા પીળા રંગના પોત પર પ્રિન્ટ કર્યું હોય એવી કલાત્મકતા સાથેનું પેઈન્ટિંગ. ક્ષિતિજે નાજુકડાં વૃક્ષો, વચ્ચે એક સાઈકલ સવાર. ઘરનું મુખ્ય બારણું તોરણસભર અને મકાનના બે ઓરડામાં મનુભાઈની સિગ્નેચર સમાન લાલ રંગ સાથેનો પડદો અને માનવાકૃતિ ! દીવાનખંડમાં ટેબલ, ખુરશી અને ફૂલદાનીનો વૈભવ. ચિત્રને પાઈપિંગ જેવી બાઉન્ડ્રી. વાહ મનુભાઈ ચિત્રોથી આપ જીવી ગયા. જીતી ગયા.
લસરકો :
કળાની લઈ માટી, માંહી નયનરમ્ય રંગો ભેળવી,
તેને કેળવી, ખંતથી જે તૈયાર કર્યાં તે ચિત્રો
અને શિષ્યો-એક મેકના પર્યાય !
ચિત્રોત્સુક ઉત્સાહી બંધુ ત્રિપુટી
કલાજગતનો દરિયો ડહોળવા નીકળીએ તો એમાંથી બેશુમાર... અસંખ્ય કલારત્નો નીકળે. પ્રશ્ન એક જ છે. શું આપણે તેને ઓળખી શકીએ છીએ ? પામી શકીએ છીએ ? અન્ય રસિકો એ રત્નને માપી શકે, પામી શકે, જાણી શકે, નાણી શકે, માંણી શકે એ માટેના પ્રયત્નો કરી શકીએ છીએ ? તો હા અલબત - હા ! એને સારુ ઝીણાં સંશોધનો, અવલોકનો અને તારણોની તાતી જરૂર હોય છે. સુંદર મઝાનાં મોંઘેરા મોતી છીપમાં ગોપાયેલાં હોય છે તેને કેદમુક્ત તો કરવાં પડેને ! તો જ એ મોતીનો હાર કોઈ માનુનીના કંઠને કે પ્રભુની પ્રતિમાને બહુમાન અપાવી શકે. સમાજમાં આવાં કંઈક રત્નો પડયાં છે જે વિશ્વસમક્ષ આવવા અધીરાં છે. જો માનવીની વાત કરીએ તો સાવ નિસ્પૃહ, આત્મસંતોષી, સહજ-સરળ, દેખાડાથી દૂર રહેતા અનેક મહાન જીવો સાદાઈથી પોતાનું જીવન જીવતા હોય છે અને હા, જો દિવંગત વ્યક્તિને સ્મરીએ તો એની પણ સંખ્યા ઘણી મોટી છે. કલા વિશ્વ તરફ દ્રષ્ટિ કરતાં અનેક મૌકિતકો આ કક્ષામાં આવી શકે એમ છે જેમણે પોતાનું જીવન અન્યને સમર્પિત કરીને સંતોષનો ઓડકાર લીધો છે. એમાં હાલ હયાત કલાકારો તો છે જ. પરંતુ જેમને અલૌકિક વિશ્વમાં સ્થાન પ્રાપ્ત થયું છે, ઈશનો ખોળો સાંપડયો છે તેમણે કદી પ્રસિદ્ધિ કે પ્રશંસાની તમા કરી નથી. એવા અકિંચન પણ મનથી પરિતૃપ્ત એવા, ઓલિયા જેવા ચિત્રકલાકર્મી મનુભાઈ જેઠાલાલ પરીખને અહીં સંભારીએ. વરિષ્ઠ કલાગુરૂ નટુભાઈ પરીખ અને મસ્તીથી કલાને વરેલા જ્યંતભાઈ પરીખના તેઓ સૌથી નાના અનુજ હતા - જેમણે અચાનક નિર્ગમન કરવા ઊંચી ઉડાન ભરી.