Get The App

શુભ કલાના જાતક ચિત્ર-કાવ્ય .

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
શુભ કલાના જાતક ચિત્ર-કાવ્ય                                            . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

વિવિધ રસક્ષેત્રોના પ્રગતિશીલ-પ્રયોગશીલ પ્રવાસી 

આમ તો વૈશ્વિક પણ હાલ અમદાવાદ સ્થિત કલાકાર-ચિત્રકાર શુજાત મિર્ઝાને કઈ ચિત્રકળામાં રસ છે એવું વિચારીએ તો અલબત્ત, આધુનિક કળા જ નજરે તરવરે પરંતુ આ કલાકાર નોખી માટીનો છે. મૂળે તો એમને આપણી પારંપરિક કળા ખૂબ ગમે છે. લઘુચિત્રોના તેઓ દીવાના છે અને તેમની એ દીવાનગી એમને એ ચિત્રોમાં ડૂબી જવા અને ઓળઘોળ જઈ જવા પ્રેરે છે. એ એમાં ખૂંપી પણ જાય છે. પણ જ્યારે એમાંથી તેઓ બહાર નીકળે છે ત્યારે એમના હાથમાં સમુદ્રમંથનમાંથી નીકળેલા પેલા અમૃતકુંભ જેવી કળાનો પિંડ દેખાય. અહો આશ્ચર્યમ્ ! આ શું ? આપણે તો એમના અમૂર્ત 'એબ્સ્ટ્રેક્ટ' ચિત્રો લઈને બેઠાં છીએ... તો પછી... આ કયા પ્રકારનું સંયોજન ? 

આપણી સાંસ્કૃતિક ધરોહર ગણાતાં આપણા વારસાગત ચિત્રોમાંથી પ્રેરણા લઈ કલામાત્ર સાથે સંપર્કમાં રહી, સંબંધ.... મૌલિક કૃતિરૂપે ત્યારે જરૂરી ફેરફાર, ઉમેરણ સહ તેઓ કલાના મૂળ અંગોને વળગીને સ્વયમ્ સ્ફૂર્ત બહાર પડે છે. પોતાની ઇચ્છિત પ્રિય મુદ્રા-મોનોગ્રામ-લોગોને ચિત્રમાં ઉચિત સ્થાને ગોઠવે ત્યારે એ એટલો સ્થિર થઈ ચૂક્યો હોય કે કલાકારનું નામ લખવાની પણ જરૂર નહિ. જેમકે એસ.એચ.રઝાના ચિત્રોમાંનું બિંદુ કે વરિષ્ઠ કલાકાર અમિત અંબાલાલનું પ્રિય પાત્ર વાંદરો.. કે પછી ગુરુવર્ય નટુ પરીખના લેન્ડસ્કેપમાં દરિયો ! આ જ રીતે શુજાતભાઈ મોર્ડન આર્ટના શિક્ષકો પાસેથી અનુભવનું ભાથું લઈને એક્રેલિક રંગોમાં આળોટવાનું શીખ્યા. આ આધુનિક ચિત્રો અમૂર્ત હોવા છતાં સંકેત અને પ્રતીકોના અનુરૂપ નિરૂપણને કારણે મૂર્તિમંત બને છે.

આકાર પ્રકાર, રેખા, લકીર, લીટી, પંક્તિ મોડર્ન આર્ટના પ્રાણ !

અંગ્રેજી ભાષાના નિષ્ઠાવાન કવિ એવા શુજાતભાઈ ચિત્રક્ષેત્રે અનેક માધ્યમ, સંદેશા, દ્રશ્યો, સાહિત્યના મિશ્ર પ્રયોગો કરી ડિઝાઈનમાં બહુદિશ કાર્ય માટે હસ્તકલાનો ઉપયોગ પણ કરી જાણે છે. કલાના ચાહક, સંગ્રાહક, સંયોજક, આ કલાકારની કૃતિઓ દેશ-વિદેશ પ્રદર્શનોમાં ઝળકી છે. જીવન અને કલા બન્ને યાત્રામાં તેમને ક્રાંતિ અને વિસ્તાર ખપે છે. કલાકારના અસ્ફૂટ વિચારો તેમનાં પાત્રો પણ મૂક રહીને ચિત્રાભિવ્યક્તિ દ્વારા રજુ કરે છે એ વિચારશીલ સર્જકનું જમા પાસું છે અને ભાવક એને સમજવાની કોશિશ કરે ત્યારે એક કલાવર્તુળ પૂર્ણ થતું ભાસે છે. સ્ત્રીના આત્માના સાદને સાર્થ કરીને તેની શાશ્વત-જોખમી અને દીર્ઘ જીવનયાત્રાનાં દ્રશ્યો અને પડાવોનું ચૈત્રિક અનુસંધાન જ્યારે પ્રસ્તુત કલાકાર સાધે છે ત્યારે સ્ત્રી અને તેના વિશ્વની મંગળયાત્રાનું પેનોરેમિક (બહોળું) ચિત્ર સર્જાય છે. સ્ત્રીની આંતરદ્રષ્ટિ, બહિદ્રષ્ટિ અને દિવ્યતાનો અંદાજ એમનાં ચિત્રોમાં રસળે છે ત્યારે પુરુષના નિરીક્ષણ અને દ્રષ્ટિને બદલવાનો સમય પાકી ગયો છે એ સંદેશો બળવત્તર બને છે. સહાનુભૂતિ નહિં, સમાનુભૂતિ એના અસ્તિત્ત્વના પડેપડમાં પ્રતિબિંબિત થાય. કેસરી, કાળા, પીળા રંગોવાળા એક ચિત્રમાં સ્ત્રીની વિચારશીલતા સાથે પક્ષીનું ઉડ્ડયન પ્રતીકાત્મક છે. બંધ આંખે ઉડતી એ વામા થોડામાં ઘણું કહી જાય છે. અન્ય ચિત્રમાં છૂટાંછવાયાં પાત્રોમાં સ્ત્રીનો અંગૂલિનિર્દેશ કરતો હાથ, એક આંખ, એક પક્ષી અને પુરુષના ઉધામા જરૂર કોઈનું ધ્યાન દોરે છે. આછા રંગો, વધુ ઘટ્ટ મનોમંથન સ્ત્રી-પુરુષના મિશ્ર ચિત્રમાં અનુભવાય છે. એક શ્વેત શ્યામ લસરકાઓવાળા ચિત્રમાં ગરૂડ જેવા પક્ષીના પ્રતીકથી શાંતિ-સુલેહની વાત રજુ કરી શુજાતભાઈએ એમાં ગુલાબનું પ્રતીક પણ મુક્યું છે એ વિશ્વશાંતિનો સંકેત લાગે.

'સમયની વાત કરું છું અને એને તાણાવાણાથી વણું છું...' કવિ શુજાત મિર્ઝા

માનવાકૃતિઓ ઉપરાંત આ કવિદિલ કલાકાર 'પેચવર્ક' થિયરી સાથે માનવજાતને પોતાને સાચવી લઈને જીવવાનું ઇજન આપે છે. સંઘર્ષ પશ્ચાત્ સામાન્ય જીવનધારામાં જોડવાનો સંદેશો તેઓ અતિવાસ્તવવાદ શૈલીમાં આપે છે. કલામાં બુટ્ટાઓ અને પ્રતીકાત્મક ભાતીગળ ઉદાહરણો તેઓ સમાજમાંથી જ વીણી લે છે. જાતકકથાઓ, લોકકથાઓ, પંચતંત્ર, સમાજના પ્રિય પાત્રોમાંથી પસંદ કરી તેમને પોતાના પ્રિય પેસ્ટલ રંગો વડે દેહ આપે છે. જૈવિક રંગો અને નિશાન તીવ્ર નહિ પરંતુ આછું તાકીને જાણે કે છૂપા સંદેશાઓ આપે છે. કેટલાંક ચિત્રો તો માત્ર પેન અને સ્યાહીની કમાલ જતાવે છે. જીવનનાં ભેદભરમને જાણવા મથતા આ કલાકાર પડેપડને ઉકેલવા પ્રયત્નશીલ રહી કંઈક કરવાની તમન્ના સાથે વણછીપી તરસને શમાવવા આ યાત્રાને આગેકૂચ કરે છે. 'આ ચિત્રો કંઈક કહે છે' ચિત્રમાં એક દીવા-બત્તી સ્તંભ છે જે અંધારામાં ફેંકે છે. આમ તો એવો કોઈ દિવસ પાછો નથી આવતો જેને આપણે હંમેશ શોધીએ છીએ પરંતુ આ ચિત્ર મુજબ તો છેલ્લાં કિરણો આપણી દ્રષ્ટિના ખૂણેખૂણાને ચૂસી લે એવાં હોય છે તેથી ચિત્રમાં તીક્ષ્ણતાનો ભાવ આવે છે. સયમની ધાર વિશાળ બની જાય અને દ્રષ્ટિનું છેલ્લું ટીપું દિવસને સંકોરી લે... ધીમે ધીમે પડદો પડે. વૈવિધ્યપૂર્ણ આકારોનું અંકન કરતા શુજાતભાઈને કુદરત પણ એટલી જ વ્હાલી. તસવીર જેવા લાગતા કેટલાક ચિત્રોમાંનું એક સૂર્યાસ્તનું ચિત્ર દાદ માંગી લે એવું છે. ધેરા શ્યામ, કેસરી, પીળા, ગ્રે રંગના આડા લસરકાઓની વચ્ચે ક્ષિતિજે સૂર્ય અતિ તેજસ્વી ભાસે છે જેની આભા પ્રભાવી છે. રંગોનો મેળ બેજોડ છે જેની છાયા કલાકારની ક્ષમતા ઉજાગર કરે છે. હો જાય એક કવિતા ?!

લસરકો :

બહુ વિગતો નહિ છતાં સંપૂર્ણતાનો ભાસ. ભાવક કલાકાર બનીને ચિત્રપૂર્તિ કરે તે મોડર્ન આર્ટની દેન.

આકારો સાથે એકાકાર થવાની કળા તે ચિત્ર

આપણી 'આજ' દરરોજ ઉગે છે ને આથમે છે પણ માનવી ક્યારેય સંપૂર્ણપણે પોતાના વર્તમાનમાં જીવતો નથી. તેને ભૂતકાળમાં સરી જવું ગમે છે અને સોણલામાં સમાઈ જવાની તમન્ના રહે છે. માનવજીવનના દરેક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને ક્રમાનુસાર આવતા જ રહેશે એમ સમય કહે છે. કળાક્ષેત્રની જ માત્ર વાત કરીએ તો આદિકાળથી માનવીઓ જે ચિત્રકળા કરતા રહ્યા છે તેમાં કાળક્રમે અનેક પરિવર્તનો સતત આવ્યા છે. યુરોપમાંથી ઉદ્ભવેલી 'રેનેસાં-ક્રાંતિ'એ ચિત્રકળા ક્ષેત્રે અનેક આયામો ઉમેર્યાં. 'ક્લાસિકલ'-શાસ્ત્રીય આકૃતિ આધારિત ચિત્રો ક્યારેય 'આઉટ ઑફ ડેઈટ' થયાં નથી. તે હંમેશા 'ફિગરેટિવ' ના નામે હૃદયસ્થ રહ્યાં છે પણ જ્યારથી આધુનિકતાનો પવન ફૂંકાયો ત્યારથી 'મોર્ડન આર્ટ' યુરોપિયન કલાકારોની આંગળીએ વળગીને વિશ્વફલક પરના કેનવાસ ઉપર અવતર્યું અને તે વૈશ્વિક બની રહ્યું. આકૃતિના પ્રમાણમાપમાં વૈવિધ્ય, રંગછટાનું સ્વતંત્રપણે રસળવું અને પ્રતીકોનું બાહુલ્ય આધુનિક કળાની ઓળખ છે. ક્વચિત્ માત્ર શ્વેત શ્યામ અને કદીક બહુરંગી ચિત્રોએ એના કલાકારોને સ્વતંત્ર ઓળખ આપી છે. ભૌમિતિક આકારો, કલાકારનો પ્રિય 'લોગો', રંગ અને આકારના વૈવિધ્યપૂર્ણ લસરકા, ક્યારેક ખાસ પ્રાણી, પક્ષી કે દેવી-દેવતાનાં અંકન પણ જે-તે કલાકારની ઓળખ બની રહે છે. મુદ્દાની વાત તો આ ચિત્ર ક્ષેત્રે એ છે કે એમાં કલાકાર જેટલો સર્જનાત્મક હોય છે એટલો જ ભાવક કે રસિકજન પણ વિચારશીલ, કલ્પનાશીલ અને સર્જનાત્મક થાય તો કળા જરૂર ઊંચા આસને બિરાજે.

Tags :