જીવનનું અજવાળું કેટકેટલા અર્થોમાં
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- દીવાની જ્યોતની એક વિશિષ્ટ ખૂશ્બુ હોય છે. એક વિશિષ્ટ સુગંધ હોય છે. દીવાની એ જ્યોતને કારણે પણ નિષેધાત્મક (શીયચૌપી) વિચારો અને અશુભ તત્વો પણ દૂર રહે છે.
નિર્મળ જ્યોતમાં....
મન સ્વયમ્ પ્રગટી રહ્યું મિસ્કીન ઝળહળ જ્યોતમાં,
ને સમેટાઈ ગયું બ્રહ્માંડ કેવળ જ્યોતમાં
રૂબરૂ બેઠી હતી મિસ્કીન જગદંબા સ્વયમ્,
તાપ જીવતરના થયા વરદાન, શીતળ જ્યોતમાં.
મંત્ર-પૂજા-પાઠ-વિધિ ક્યાં કશાની પણ જરૂર,
સામટી સૌ જાતરા દેખાય પળપળ જ્યોતમાં.
તેં રચેલું, તું જ ખેલે ને હસે બાળક સમી,
આજ મેં જોયા પ્રગટતા સર્વ અંજળ જ્યોતમાં.
ક્યાં દિલ ઉછળીને મિસ્કીન બ્હાર આવી જાય ના,
દીકરીનું તેજ જોયુ આજ, નિર્મળ જ્યોતમાં.
- રાજેશ વ્યાસ મિસ્કીન
દિ વાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. પણ બહુ મોડી-મોડી ખબર પડીતી કે દિવાળી અમાસની રાત્રે આવે છે. બાળપણમાં અમાસ એટલે અંધારું એટલું જ જાણતો હતો. શાળાના શિક્ષકે કહ્યું અમાસના અંધારાને પ્રકાશના પર્વમાં ફેરવવાની દ્રષ્ટિ આપણા તહેવારો પાસેથી મળી છે અને ત્યારથી દિવાળી ગમતી. ઘેર-ઘેર કોડિયા મૂક દરેક ઘર ઝગમગતા હોય, રોશનીઓ થઈ હોય હવે તો સુંવાળીએ ક્યાંક, ક્યારેક જોવા મળે તો ઠીક છે બાકી એ દિવસોમાં તો
આજ દિવાળી કાલ દિવાળી
ગામના છોકરા ખાય સુંવાળી.
આવી પંક્તિઓ બોલવાની મજા આવતી હતી. રાત્રે શેરીમાં કે ક્યાંક બહાર ફરવા નીકળ્યા હોઈએ તો મોડી રાત સુધી ઝળહળતા કોડિયા આંખોને ખેંચતા. એ અજવાળુ જોવું ગમતું.
આજે આ લખી રહ્યો છું ત્યારે જ્યોત કેટકેટલી રીતે સ્મરણોમાં પ્રગટી રહી છે એ અનુભવું છું. પૂજાની ઓરડીમાં દીવો પ્રગટે અને ઘીના દીવાનું એ સૌમ્ય શીતળ અજવાળું આંખોને અને હ્ય્દયને ઠારતું હતું અને એ અજવાળામાં ભગવાનના દર્શન કરવાની એક જુદી જ નિરાંત મળતી હતી. અને પછી જ્યારે જાણ્યું કે સાઉથના મંદિરોમાં ગર્ભગૃહમાં આંખોને આંજી દે એવી રોશનીઓ નથી હોતી. આંખોને ઠારે એવું અજવાળુ હોય છે. ત્યારે એ રહસ્ય વધારે સમજાયું કે જ્યોતના અજવાળામાં જ પ્રભુના દર્શન શા માટે ? આપણી ભીતર પણ અજવાળુ છે. આપણી ભીતર પણ તેજ રહેલું છે. એને પ્રાણતત્વ કહીએ, ચેતના કહીએ, પંચમહાભૂતોનું તેજ તત્વ કહીએ પણ છે તો એ જ્યોત જ. એટલે તો ગુરૂને પ્રાર્થના કરીએ છીએ
જ્યોત સે જ્યોત જગાઓ
સદ્દગુરૂ જ્યોત સે જ્યોત જગાઓ.
મેરા અંતર તિમિર મિટાઓ,
સદ્દગુરૂ જ્યોત સે જ્યોત જગાઓ
સંત જ્ઞાાનેશ્વરનું ગીત આ ક્ષણે યાદ આવી રહ્યું છે.
જ્યોત સે જ્યોત જગાતે ચલો,
પ્રેમકી ગંગા બહાતે ચલો
પછી તો ગામડામાં જવાનું થાય ત્યારે તાટ ઉપર જ્યોતના દર્શન કર્યાનું પણ યાદ છે. એક સમયે અવધૂતી યોગી પાસે જઈને બેસવાનું થતું હતું ત્યારે વ્હેલી સવારે એક દીવો પ્રગટાવી અને તેઓ કહેતા કે બસ આ જ્યોતનું ધ્યાન ધરવાનું છે.
આ સમગ્ર પૃથ્વીની રચના કઈ રીતે થઈ હશે ? આ બ્રહ્માંડો કઈ રીતે સર્જાયા હશે એવા પ્રશ્નોના જવાબમાં સંતો અને સદ્દગુરૂઓ પાસેથી જાણવા મળ્યુ કે ઁ નિસ્પંદ હતો એ પછી સસ્પંદ થયો, પછી પંચમહાભૂત પ્રગટયા, સત્વ-રજસ અને તમસ પ્રગટયા. આ પંચમહાભૂતમાંનું એક તત્વ આ તેજ. આ તેજ ઝળહળ જ્યોતની સાક્ષીએ જ આવા અનેક બ્રહ્માંડો અસ્તિત્વમાં આવ્યા.
મને લાગે છે કે દરેક ધર્મમાં મંત્ર અને ઈશ્વરના નામ જુદા જુદા છે પરંતુ દરેક ધર્મમાં જ્યોતનું સ્થાન છે. દીવાની જ્યોતની એક વિશિષ્ટ ખૂશ્બુ હોય છે. એક વિશિષ્ટ સુગંધ હોય છે. દીવાની એ જ્યોતને કારણે પણ નિષેધાત્મક (શીયચૌપી) વિચારો અને અશુભ તત્વો પણ દૂર રહે છે. જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે એ ઘરનું વાતાવરણ, એ ઘરના સ્પંદનો હ્ય્દયને સ્પર્શી જતા હોય છે. પોઝીટીવી પ્રગટાવતા હોય છે. મનને ખોટી દીશામાંથી પાછું વાળતા હોય છે. અજવાળાની એક વિશેષતા છે. એ ક્યારેય કોઈની ઉપર કોઈ બળજબરી નથી કરતું. આપણે દ્ધાર ખોલીએ, આંખ ખોલીએ, હ્ય્દય ખોલીએ તો સહજ ભાવે અજવાળું ભીતર પ્રવેશતું હોય છે. બારણે આવીને ઊભેલું અજવાળું ઓરડામાં દીવાની જ્યોતમાં પ્રગટેલું અજવાળું તમને બૂમ મારીને તો ઉઠાડતું નથી જ. દરવાજા ઉપર ટકોરા ય મારતું નથી કે ડોરબેલે વગાડતું નથી. તમારી પ્રતિક્ષામાં તમારી પાસે ઊભું હોય છે. અજવાળાનો આ ગુણ પ્રત્યેક ઉપાસકે જાણવા જેવો છે.
દિવાળી નિમિત્તે કશુંક લખાઈ રહ્યું છે અને એ જ ક્ષણે મારી આંખ સામે એક ચમત્કાર બન્યો. ૫ મહિનાની પૌત્રી શ્રીમા ભગવાન પાસે પ્રગટેલા દીવાને જીવનમાં પહેલીવાર જોઈને પરમ આનંદ, આશ્ચર્ય અને કૂતૂહલમાં સરી પડી. ઉપાસનામાં ભીતરનું અજવાળુ દેખાય ત્યારે કેવો આનંદ પ્રગટે એ જાણે નજરો નજર જોયું. ઝળહળ જ્યોત રૂપે મન પ્રગટી રહ્યું છે. જે પિંડે તે બ્રહ્મમાંડે અને જે બ્રહ્માંડે તે પિંડે એ સિધ્ધાંત મુજબ મારે માટે તો સમગ્ર બ્રહ્માંડ કેવળ જ્યોતમાં સમાઈ ગયું. દીવાનું શીતળ અજવાળું જીવનના ત્રિવિધ તાપ આધિ-વ્યાધિ અને ઉપાધિ ત્રણેયને સમાવી દે છે. જાણે જ્યોત સ્વરૂપે એ જગત જનની જગદંબા જ બેઠી હોય એમ લાગે છે.
પ્રગટેલી જ્યોતમાં જાણે જીવનભરની યાત્રાઓ પૂરી થતી દેખાઈ. બહુ સ્પષ્ટ માનું છું કે મંત્ર-પૂજા-પાઠ કે કોઈ પણ વિધિઓ (રિચ્યુલસ) કશાની જરૂર રહેતી નથી જો આ જ્યોત સાથે જોડાઈ જવાય છે તો. પ્રગટેલી જ્યોતને જોતા-જોતા જ ખબર પડી કે આત્મા સો પરમાત્મા કહે છે તે આ જ જ્યોત છે. એક પ્રસંગ યાદ આવે છે. એક સદ્દગુરૂને એક શિષ્યએ પૂછ્યું, ''આત્મા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ?'' ગુરૂએ પ્રગટેલા દીવાને એક ક્ષણમાં બુઝાવી નાંખ્યો અને તરત પૂછ્યું કે આ જ્યોતનું અજવાળું ક્યાં ચાલ્યું ગયંન ? એ પરમ ચૈતન્યએ જ આ જગતને સર્જેલું છે. એ પરમ ચૈતન્યએ જ આપણા સૌમાં પ્રગટીને આ માયાનો ખેલ રચેલો છે અને એ જ્યોતના અજવાળામાં એ પરમ ચૈતન્ય જ બાળક બનીને આ બધું હસતા-હસતા નિહાળી રહ્યું છે. એ જ્યોત આ દેહમાંથી ચાલી જાય છે તો પછી આ શરીર લાશ કહેવાય છે. શરીરને કોડિયાની ઉપમા આપી છે. કોડિયા સોનાના, ચાંદીના માટીના, તાંબાના જાત-જાતના આકારના હોઈ શકે, કોઈ મોંઘા કોઈ સસ્તા હોઈ શકે પણ પ્રત્યેક કોડિયામાં પ્રગટેલી જ્યોત એકસરખી કિંમતી અને એક સરખું અજવાળું આપનારી હોય છે. એકબીજા કોડિયાનું અજવાળું એકબીજામાં ભળી જાય તો વધુ ઝળહળાટ થાય છે.
એક અજવાળાને બીજા અજવાળા સાતે કોઈ દુશ્મનાવટ નથી કોઈ વિરોધ નથી. પ્રત્યેક દેહમાં એ જ્યોત પ્રગટેલી છે.
મારી આંખ સામે ઘીનો દીવો પ્રગટેલો છે. એની જ્યોત સામે દીકરાની દીકરી બેઠેલી છે. જેની પાસે કોઈ ભાષા નથી એવું બાળક નિર્મળ જ્યોતમાં એવું તેજોમય દેખાય છે કે બે ઘડી તો લાગ્યું કે ક્યાંક આ હ્ય્દય હરખનું મારું ઉછળીને બહાર ના આવી જાય. જ્યોતના અજવાળે જે દેખાયું, જે ઝીલાયું એ આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ સાથે આ લેખ અને ગઝલ દ્વારા અર્પણ કરું !