પીણીની જેમ કાંઈ વાણી ના ઢોળીએ....
- શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- ખૂબ ઓછા શબ્દોમાં સાચી વાત પોતાના અનુભવની વાત પ્રગટ કરતાં આવડે ત્યારે શબ્દ શક્તિનું મૂલ્ય સમજાય છે
પાણીની જેમ કાંઈ વાણી ના ઢોળીએ વાણીને સાચવીને રાખીએ,
શબ્દો છે જાતની જબરી પરખ એને અખાની આંખોથી ચાખીએ.
શબ્દોને ઝાડ જેમ મૂળિયાં ફૂટે
ને શબ્દોને ફૂટે છે પાન
મૂળના મુકામ બધા શબ્દોમાં બેઠા
ને શબ્દો છે પૂરવાનાં ગાન.
શબ્દો તો તળિયાનો તાગ મારા ભાઈ શબ્દોને હૈયામાં રાખીએ.
શબ્દો છે ઝરણાં ને તરણાં છે શબ્દો
શબ્દો છે જીવતરનાં મૂળ
શબ્દોમાં રાગદ્વેષ પ્રસરતા જાય
ને શબ્દો છે માયાવી કુળ.
શબ્દોની નાભિમાં આંખો છે ભાઈ અજવાળાં રેઢાં ના નાખીએ.
- ભગીરથ બ્રહ્મભટ્ટ
જો આપણે કશું પણ જીવનમાં સતત વેડફી નાંખતા હોઈએ તો તે પાણી અને વાણી છે. પાણી અને વાણીનો દુરઉપયોગ જો અટકી જાય તો પણ પ્રત્યેક વ્યક્તિનું જીવન સમાજ અને જગતનું સ્તર આખું બદલાઈ જાય. હજુ ગઈકાલનો જ તાજો દાખલો કહું તો એક ઝુંપડપટ્ટી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને જોયું કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નળ ખુલ્લો હતો, ડોલ ભરાઈને છલકાઈ ગઈ હતી અને છલકાતું પાણી ગટરમાં જઈ રહ્યું હતું. ત્યાંથી થોઠેક આગળ એક બંગલા પાસે પાણીની મોટી પાઈપથી ઝાડ ઉપર પાણી છાંટવાનું અને દિવાલો ધોવાનું કામ ચાલતું હતું. આવું રોજ સતત આપણી આજુબાજુ બધે જ બનતું હોય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે મોબાઈલ આવ્યા પછી તો બધા જ ફોન ઉપર બોલ્યા જ કરે છે. કારણ વગર અસંખ્ય ફોન કર્યા જ કરે છે. પાનનના ગલ્લાથી લઈને ઓફિસોમાં કે કોઈ પણ સ્થળે બધા જ સતત કામ વગરની, કારણ વગરની વાતો કર્યા કરે છે અભિપ્રાયો આપ્યા કરે છે. બોલ્યા કરે છે. મૌન થવાનું જાણે શીખ્યા જ નથી. મૌન પાળનારા પણ જુદા-જુદા ઈશારાઓ કરીને કે પછી જુદા-જુદા અવાજો કરીને મનમાં બોલ્યા જ કરતા ોય છે. કોઈ સાંભળનાર ના હોય તો મનોમન બોલીએ છીએ પણ સતત બોલ્યા જ કરીએ છીએ. હવાના પ્રદૂષણ માટે આપણામાં સભાનતા થોડીક આવી છે. પણ અવાજના પ્રદૂષણની આપણને કોઈ કલ્પના નથી, ફીકર નથી, પરવા પણ નથી.
કવિ ભગીરથ બ્રહ્મભટ્ટનું 'શબ્દગીત' મૂળ આ જ વાત કરે છે. પાણીની જેમ આપણે વાણીને ગમે ત્યાં ઢોળવી ના જોઈએ. વાણીને સાચવીને રાખવી જોઈએ. કેટલી મોટી વાત છે ? પાણી અને વાણીનો પ્રાસ માત્ર બેસાડવા ખાતર બેસાડયો નથી. પાણી જીવન આપે છે. પાણી પીધા પછી તૃપ્ત થવાય છે. શીતળતાનો અનુભવ થાય છે. આપણી વાણી પણ અન્યને શીતળતા આપે, ટાઢકનો અનુભવ કરાવે એવી હોવી જરૂરી છે. પાણી અને વાણી બંને જીવન છે. વાણી વગરનું જીવન કલ્પી જુઓ. અચાનક બોલવાનું બંધ થઈ જાય તો ? અવાજ નીકળતાો બંધ થઈ જાય તો ? ત્યારે શબ્દે શબ્દ અને અક્ષરે અક્ષરની કિંત સમજાય છે. કવિતાની બીજી પંક્તિમાં પણ એવી જ એક ઊંચી અને ઊંડી વાત પ્રગટ થાય છે. શબ્દો તો જાતની પરખ છે. ફરી ફરીને હંમેશા હું એક વાત બધાને કહું છું કે આપણા શબ્દો આપણા મનના જન્માક્ષર છે. તમે જે બોલો છો તેમાં તમારી જાત પરાઈ જતી હોય છે. તમારો શબ્દ તમારા મનને પ્રગટ કરતો હોય છે, તમે ગમે તેટલી કાળજી રાખીને ગમે તેટલી સુંદર ભાષામાં વાતચીત કરવાની કલા સિધ્ધ કરી હોવા છતાં એ શબ્દો પાછળ તમારું મન પ્રગટ થતું હોય છે અને એટલે જ કવિ કહે છે ભક્ત કવિ અખો શબ્દની કિંમત જાણતો હતો. એ જ રીતે અખાની દ્રષ્ટિથી આ શબ્દોને ચાખતા અને શબ્દોના અર્થને ઓળખતા આપણે શીખવું જોઈએ. અખાનો શબ્દ સત્યનો શબ્દ છે. અનુભૂતિનો શબ્દ છે અને સાઘવ ધરાવતો શબ્દ છે. ખૂબ ઓછા શબ્દોમાં સાચી વાત પોતાના અનુભવની વાત પ્રગટ કરતાં આવડે ત્યારે શબ્દ શક્તિનું મૂલ્ય સમજાય છે. આપણા શબ્દોમાં શક્તિ છે. શબ્દની તો ત્રિવિધ શક્તિ કહી છે. અભિધા, વ્યંજના, લક્ષણા...
અહીં એક હળવી વાત યાદ આવે છે. અમારા સાહેબ કોલેજમાં ભાષા-વિજ્ઞાાન ભણાવતા હતા અને તેમણે શબ્દમાં શક્તિ રહેલી છે તેની વાત કરી. એક તોફાની છોકરાએ કહ્યું, 'સાહેબ શબ્દમાં શક્તિ છે એની સાબિતી આપો. ''એ કઈ રીતે ખબર પડે કે શબ્દમાં શક્તિ છે ? સાહેબે કહ્યું, ''રોડ ઉપર જઈને કોઈને બે ગાળ દે. તને તરત શબ્દની શક્તિનો પરિચય થઈ જશે.'' શબ્દની શક્તિએ તો મહાભારતો સર્જ્યા છે અને આપણે આ શબ્દને કેટલા વેડફી રહ્યા છીએ એનો ખ્યાલ જ નથી. લાભશંકર ઠાકરની ભાષામાં કહીએ તો ચારે બાજુ માત્ર અને માત્ર ટોળા, અવાજ અને ઘોંઘાટ
જો તમે એમ માનતા હો કે આ શબ્દો નિર્જીવ છે તો ના એવું નથી. શબ્દોને મૂળ ફૂટતા હોય છે. વાતમાંથી ફણગા ફૂટતા હોય છે. શબ્દ ક્યાંથી પ્રગટે છે એ જો જોવા જઈએ તો શબ્દ ત જ્યાંથી સૂર્ય ઊગે છે, જ્યાંથી અજવાળું પ્રગટે છે એ દિશા સાથે આપણને જોડી આપે છે. શબ્દો તો મનના ઊંડાણને પ્રગટ કરનારા છે. શબ્દોને હૈયામાં રાખવા જોઈએ. આપણે હૃદયથી બોલવાનું પણ ભૂલી ગયા છીએ. આ ક્ષણે યાદ આવી રહ્યાં છે ''તું'', ''તમે'', અને ''આપ'' ના સંબંધનો આપ હોઠથી બોલાય છે. તમે જીભથી બોલાય છે. અને તું છેક ઊંડાણથી હૃદયથી બોલાય છે. આપણા બધા સંબંધો ''આપ''ના થઈ ગયા છે. ઔપચારિક થઈ ગયા છે.
ભાષા ખળખળતા ઝરણાં જેવી છે. એ નિત્ય તાજી રહે છે. શબ્દ સાથે જીવનના મૂળ જોડાયેલા છે. પણ જાણે આ બધું જ ભૂલાઈ ગયું છે. આપણી પાસે એટલો ટાઈમ જ ક્યાં છે કે શબ્દોની આ રામાયણમાં પડીએ. આપણા શબ્દોમાં માત્ર આપણો રાગ અને દ્વેષ જ પ્રગટતા હોય છે. આ શબ્દોએ જ ચારેબાજુ માયાવી નગરી ઉભી કરી છે. આપણે કોઈના ને કોઈના શબ્દોથી ભરમાઈને આપણા જીવનને માયાવી બનાવી નાંખ્યું છે. આપણું મન પણ આપણા હાથમાં
નથી રહ્યું. ટી.વી. ઉપર જાહેરાતો દ્વારા શબ્દોનો મારો ચાલે છે. આપણી પસંદગી ગમા-અણગમા જેવું કશું રહેતું નથી. વારંવાર સાંભળેલા શબ્દોને આધારે, જાહેરખબરની ભાષાને આધારે બજારમાં ખરીદી કરીએ છીએ. શબ્દોની માયાજાળ આપણને એટલા પ્રભાવિત રાખે છે કે આપણે શબ્દ તો અજવાળું છે, શબ્દ તો સત્યનું દર્શન કરાવે છે એ વાત ભૂલી ગયા છીએ.
શબ્દ વિશે લખાયેલું આ ભગીરથભાઈનું કાવ્ય તેમના 'લયલબ્ધિ' કાવ્ય - સંગ્રહમાંથી લીધું છે. અહીં આ વાતનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરું કે સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઅ જ્યારે તેમના પ્રિય પ્રોફેસર કવિ હોય ત્યારે તેમના વિદાય સમારંભમાં કાવ્યનું સંપાદન કરીને પ્રગટ કરે છે. કોઈ પણ વિદાય સાવ સહજ નથી હોતી. ભીતરથી કંઈક વિખરાતું અનુભવાય ત્યારે જ કાયમી સંભારણું બાંધવાની અનુભૂતિ થાય છે. આવા સંભારણા રૂપે આ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો છે. ૧૯૮૫ પછી ભગીરથભાઈના કાવ્યો સંગ્રહરૂપે નહોતા મળ્યા. આમ આ સંગ્રહ પ્રાપ્ત થયો તેનો આનંદ. ઉર્મિ, કલ્પના અને વિચારના સુભગ સમન્વય સમા તેમના સર્જનો માણવા જેવા હોય છે. તેમની કવિતાઓમાં અભાવની વાતો નથી. ગીત તેમનું પ્રિય સ્વરૂપ છે. એટલે તો એ ગીતના સ્વરૂપ ઉપર પી.એચ.ડી. થયેલા છે. તેમનું એક બીજું સુંદર ગીત જોઈએ. ગમે તેટલો સુંદર કાગળ આપણા હાથમાં આપવામાં આવે, આપણે ગમે તેટલા શબ્દોના સ્વામી હોઈએ એકાદ ટહૂકો જો એમાં ચીતરવાનો હોય તો કેટલો અઘરો થઈ જાય? જમના નદીના પાણી ઉપર મોજાંઓ કંઈક લખતા હોય એવી ભાષાનું ગીત માણીએ.
લ્યો કાગળ આપું કોરો
લ્યો કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો
નજર નામની સેંથી પૂરો
મૌં મઢેલા હીરા
પાંપણ ઉપર મેવાડી મન
આંસુઓમાં મીરાં
ઝંખનજળની ધારે બેસી ઝબક જીવતર બોળો.
સાતે રંગો સૂરજકેરા
પળપળ ઢોળે છોળ આછા આછા અજવાળાનો
અંધારા પર ઢોળ!
જમના જેવા કાગળિયા પર મોજાં દોરે છોરો
લ્યો કાગળ આપું કોરો.