Get The App

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...

Updated: Aug 3rd, 2021

GS TEAM


Google News
Google News
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ... 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન

- સંસારમાં આપણે પાપ ઓછા નથી કરતા. પહેલાના સમયમાં જંગલમાં જઇને તપ થતા હતા. ખરેખર તો હવે આ સંસારના તાપ જ એટલા બધા છે કે તેમાં જીવવું એ તપ કરવા સમાન જ છે

ખંડિત સ્વપ્નના અવશેષ

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો,

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું

અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું

અહીંથી હું ભવ તરી શકું - અહીંથી ડૂબી શકું

અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ.

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી  ઉમંગ ઊડતા અવસરમાં જઇ વસું

કે કાળમીંઢ વેદનાના દરમાં જઇ વસું

અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઇ વસું

અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

-કિસન સોસા.

દરેક માણસના જીવનમાં કોઇને કોઇ વાર મોટો નિર્ણય કરવાની ક્ષણ આવી જ હોય છે. દરેક વખતે મોટો નિર્ણય મોટો લાભ આપનારો હોય એવું નથી હોતું. મોટાભાગે તો જીંદગીની અંદર જ્યારે પસંદગી કરવાની આવે છે ત્યારે જો ઉત્તમ હોય તો તો પસંદગીનો પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ જ્યારે બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે ત્યારે બેમાંથી ઓછું ખરાબ કયું છે એની પસંદગી કરવાની હોય છે. જીવનના કોઇ આવા વળાંકનો આપણે સૌએ સામનો કર્યો હોય છે. આમ તો આ નઝમ આવા વળાંક ઉપર ઊભેલા માણસની નઝમ છે. કવિ કિસન સોસાએ આ નઝમને શિર્ષક આપ્યું છે ''ખંડિત સ્વપ્નના અવશેષ''.

જીવનમાં સ્વપ્નાઓ તૂટી ગયા હોય, બધું જ વેરણછેરણ થઇ ગયું હોય, પાછા વળી જવું કે આગળ જવું એ નિર્ણય થઇ શકતો ના હોય ત્યારે મન ઘણું અવઢવમાં હોય છે. નવેસરથી જીંદગીની શરૂઆત કરવી કે જે કંઇ બધું બગડી ગયું છે એને સુધારીને ફરી ઊભું કરવું ? આ ક્ષણે શેખાદમ આબુવાલાના ઉર્દૂ કવિતાનો એક શિર્ષક યાદ આવે છે. જીવનમાં વર્ષો સુધી જર્મની રહ્યા પછી તેઓ ભારત આવ્યા. કાયમ માટે જર્મની છોડી દીધું હતું. કાયમ માટે ભારતમાં પોતાના વતનમાં ફરી સ્થિર થવાનું હતું. હું મારા ગુરૂ ગની દહીંવાલા સાથે તેમને ઘેર મળવા ગયો. વાતચીત દરમ્યાન તેમણે એટલી સુંદર શૈલીમાં કાવ્યાત્મક રીતે પોતાની ઉદાસીનું વર્ણન કર્યું હતું કે, આપણાથી વાહ પણ બોલાઈ જાય અને આહ પણ થઇ જાય. ''ગની, મેં અપને ખ્વાબ કો દફના કે અભી આયા હૂં''. કોઇક બાળક અવસાન પામે અને તમે તેને તમારા હાથે ઊંચકીને દફનાવીને આવો. કેવો કારમો આઘાત ?

કિસન સોસાની ખંડિત સ્વપ્નના અવશેષ નઝમ ફરી ફરી વાંચવા જેવી છે. તમે કલ્પના કરો કે કોઇ એવા સ્થળ પાસે ઊભા છો, જીવનના એવા સમયમાં ઊભા છો, જીવનના એવ વળાંક ઉપર આવીને ઊભા છો જ્યાંથી તમારે કોઇ નિર્ણય કરવો જ પડે. તમારા પગ નીચેથી બે બાજુ રસ્તો ફંટાતો હોય. એકબાજુથી રણ તરફ જવાતું હોય અને બીજી તરફથી નદી તરફ જવાતું હોય. મન તરત જ બોલી ઉઠે કે નદી તરફ જ જવાયને. પણ એ તરફ આકરી શરતો હોય તો ?અને રણ તરફ કોઇ ગમતા સગપણ હોય તો ? તમે તમને જ પૂછતા હોય છો કે હું અહીંથી સ્વપ્નાઓની દુનિયા તરફ જઇ શકું છું. અહીંથી હું અંધકારની ખીણ તરફ જઇ શકું એમ છું. અહીંથી હું આખી જીંદગી બદલાઈ જાય, ભવ તરી જાય એ તરફ જવાય છે અને આ તરફ હું જઉં તો ડૂબી શકું એમ છું. અહીંથી એક ક્ષણમાં વાત પૂરી થઇ શકે એમ છે, અહીંથી સદીઓ તરફ જવાય એમ છે. કઇ તરફ જઉં?

તમે જ્યાં ઊભા હોવ ત્યાંથી જીંદગીના ઉમંગો ભરેલા અવસર તરફ જઇને રહી શકતા હોય અને તમે જ્યાં ઊભા હોય ત્યાંથી જો બીજી તરફ જાવ તો કાળ મીંઢ વેદનામાં જઇને વસવું પડે. અહીંથી જ તમે કબર તરફ જઇ શકો છો અને અહીંથી જ તમે પાછા ઘરમાં જઇને વસી શકો એમ છો. અહીંથી હમણાં, આ ક્ષણમાં જઇ શકો છો. હમણાં તરફ જવાય છે. અહીંથી ક્યારેક કદી તરફ જવાય છે. ખરેખર તો આ અવસ્થા મહાભિનિષ્ક્રમણની છે. આપણા પ્રત્યેકના જીવનની અંદર કઇ તરફ યાત્રા કરવી એવા નિર્ણયની ક્ષણ આવતી જ હોય છે.

સંસારમાં આપણે પાપ ઓછા નથી કરતા. પહેલાના સમયમાં જંગલમાં જઇને તપ થતા હતા. ખરેખર તો હવે આ સંસારના તાપ જ એટલા બધા છે કે તેમાં જીવવું એ તપ કરવા સમાન જ છે. પ્રત્યેક ક્ષણે આપણે એવા જ સ્થળે ઊભા હોઈએ છીએ, એવી જ પળોમાં જીવતા હોઈએ છીએ, એવા જ સંજોગોમાં મુકાયા હોઈએ છીએ કે આપણે અનુભવીએ છીએ કે અહીંથી રણ તરફ જવાય છે. અહીંથી નદી તરફ જવાય છે. કઈ તરફ જવું ? દરેક પસંદગીના જેમ લાભ હોય છે એમ ગેરલાભ પણ હોય છે. તમે જ્યારે કોઈ વસ્તુને પસંદ કરો છો ત્યારે તેના ગુણ અને દોષ, જમા અને ઉધાર બંને પાસાને એક સાથે જ સ્વીકાર્યા હોય છે. આપણે એવા વળાંક ઉપર છીએ કે જ્યાંથી બેઉ બાજુ જવાની શક્યતાઓ રહેલી છે.

કિસન સોસા આપણી ગુજરાતી ભાષાના ખુબ કિંમતી સર્જક છે. જીવનને એટલું નજીકથી તેમણે કવિતામાં કંડાર્યું છે કે દરેકને એ કવિતા સ્પર્શી જાય.

કાચનું વાસણ એ જાણે એટલો બધો જાણીતો રૂઢિ પ્રયોગ થઇ ગયો છે કે જીવન, હૃદય, સંબંધ, બધું જ કાચના વાસણ સાથે સરખાવી શકાય. આ હૃદય ધબકી કહ્યું છે પણ ક્યારે અટકી જશે એ કહેવાય નહીં. અમે બાળપણમાં કાચનું વાસણ હાથમાં લઇએ ત્યારે વડીલો અચૂક કહેતા કે સાચવીને પકડજે. તૂટી ના જાય. ખરેખર કાચનું વાસણ ક્યારે હાથમાંથી પડી જાય, ક્યારે તૂટી જાય એ નક્કી નથી હોતું. સતત એક ડર હોય છે કે એની ખૂબ કાળજી રાખીએ. સતત એક બીક હોય છે કે, એ તૂટી તો નહીં જાય ને ? કેવા-કેવા વિરોધાભાસો વચ્ચે જીવવાનું છે તે વિશેની એક સુંદર ગઝલ જોઇએ.

કાચના વાસણની સાથે

કાચના વાસણની સાથે જીવવાનું,

ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું.

પ્યાસની પલટણની સાથે જીવવાનું,

આ સમંદર, રણની સાથે જીવવાનું.

ચાલવાનું ઠેસ ઠોકરથી બચીને,

આંધળી અડચણની સાથે જીવવાનું.

ને ટપકવાનું નહિ એકેય ટીપે,

છાતીએ ઝારણની સાથે જીવવાનું.

માખીઓ ઊડાવવા મથ્યા જ કરવું,

પ્રશ્નની બણબણની સાથે જીવવાનું.

પારખું કરવું ન પાસેના કળણનું,

છળ ભર્યા સગપણની સાથે જીવવાનું.

એક પણ કારણ જીવાડે નહિં અહીં, ને,

કેટલા કારણની સાથે જીવવાનું.

સંગ પણ એવો ફળ્યો છે ખોળિયાને,

ખેસ ને ખાંપણની સાથે જીવવાનું.

Tags :