ઋષિ પંચમી અને... .
- ક્ષણ-ક્ષણાર્ધ- પ્રવીણ દરજી
- ઋષિપંચમી - સામા પાંચમ - આવે છે ત્યારે મનોમન એક જુદા પ્રકારનો આનંદ એથી થાય છે કે અરે, મારે પણ આવી સામૂહિક ઋષિ-કૃષિ પ્રાર્થનામાં સક્રિયતા દાખવવાની છે
ઘ ણું બધું અનાયાસે ઝમતું ઝમતું મનમાં આવીને હવે જુદી રીતે સ્થિર થાય છે. ક્યારેક સામાન્ય કે નાની અમથી વાતનો તાર પણ ક્યાંક એવી રીતે જોડાઈને ખુશ કરી મૂકે છે કે આખો દિવસ આનંદભરપૂર બની રહે. શું છે આ ભારત, તેનાં વિધિવિધાનો, તેના ઉત્સવો તેની રહેણી કરણી, તેના અર્થો-આ કે આવું વિચારું છું ત્યારે મન પવનપાવડી બની જાય છે. કેવા કેવા અર્થબોધ લઇને આ સઘળું આપણી સામે આવી રહે છે ! કલા, વિજ્ઞાાન, સંતુષ્ટિ, સહિષ્ણુતા, સભ્યતા, પ્રેમ એવું બધું ઘણુંય આ દેશની માટીમાં મૂળિયાં નાખીને બેઠું છે.
અહીં, આ ભૂમિમાં માણસ એ રીતે ભાગ્યે જ એકાકી લાગશે. તેના તાર ક્યાંકને ક્યાંક મહત્ તત્ત્વ સાથે, કૃષિ કે ઋષિ પરંપરાઓ સાથે જોડાયેલા લાગવાના. આ દેશના ભૂતકાળમાં ભલે હું ન રાચું પણ કશી અતિશયોક્તિ વિના કહી શકું કે આ દેશના અતીતમાં વર્તમાન અને અનાગતના નકશાઓ પણ તેની રેખાઓ છૂપાવીને પડેલા છે. ત્યાં માતબર સ્ત્રોતો છે, ત્યાં માતબર બૌદ્ધિક સમૃધ્ધિ છે, ત્યાં શ્રધ્ધાની ખનિકા છે, ત્યાં આદર્શના ઉત્તુંગ શૃંગો પણ છે. માત્ર એ જોવા અનુભવવા સૂક્ષ્મ ચેતના જોઇએ. સંસ્કૃતિનું ઢોલ પીટયા વિના પણ કહી શકાય કે અહીં અનેક સંસ્કૃતિઓનો આશ્ચર્યજનક ગુમ્ફ છે. ખંડ રૂપે નહીં અખંડ રૂપે અહીં માનવ-વસ્તુ-પદાર્થને જોવાયાં છે.
એટલે જ નાના નાના ઉત્સવો, નાના નાના તહેવારો આ કે તે દિવસ અથવા તેની ઉજવણી એવું તેવું આવે છે ત્યારે મન વળી વળીને દેશની ભૂમિનાં એવાં ભીતરી રહસ્યો તરફ દોડી જાય છે. નાગપંચમીની જેમ જ ઋષિપંચમીનો મને જરા જુદી રીતે લગાવ રહ્યો છે. તેમાં અલબત્ત, થોડું અંગત પણ ભળ્યું છે. ઋષિપંચમીના દિવસે આ સુંદર ધરાનો મારી પંચેન્દ્રિયોએ પ્રથમવાર અનુભવ કરેલો એ મારા માટે બળવાન કહી શકાય તેવો સંદર્ભ તો છે પણ તેનાથી ય વધુ મને આકર્ષે છે ઋષિ અને કૃષિનો સંદર્ભ પણ. આપણે એ દિવસે માત્ર ઋષિઓનું સ્મરણ જ નથી કરતા, તેમને નિયંત્રણ જ નથી માત્ર આપતા - ઋષિ અને મનુષ્યના સંબંધની એક સ્પૃહણીય ભૂમિકા પણ રહી છે.
વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ વ્રત કરે, પૂજાવિધિ કરે એ માટે બ્રાહ્મણપુરાણમાં ઘણીવાતો થઇ છે. પણ ત્યાં એવું તો નથી કે આ વ્રતમાં પુરુષો સામેલ ન થઇ શકે. પુરુષોે પણ આ વ્રતની સમજ કેળવવા જેવી છે. કારણ કે ત્યાં પ્રબુધ્ધ એવા સપ્તઋષિઓ કશ્યપ, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, વસિષ્ઠ અને જમદગ્નિનું તર્પણ છે, પૂજન છે. ત્યાં ધર્મગુરુઓ અને પવિત્ર પુરુષોનું પણ સ્મરણ કરાય છે.
બ્રાહ્મણ પુરાણ તો દેવી અરુન્ધતીની સ્થાપનાનો પણ આગ્રહ રાખે છે. આ છે મનુષ્ય અને ઋષિ વચ્ચેના આદ્ય સંબંધનું પર્વ. ત્યાં સત્નો મહિમા છે, ત્યાં પવિત્રતાનું અર્ચન છે. માનવવજાત વતી સ્ત્રીઓ તેનું પ્રતિનિધિત્વ કરી ધન-ધાન્ય, સમૃધ્ધિ, સંતાનપ્રાપ્તિ અને વધુ તો સુખશાંતિની કામના કરે છે. કશુંક અઘટિત થયું હોય ત્યાં ત્યાં ક્ષમાયાચના પણ થાય છે. એક રીતે આ પૂજન સૃષ્ટિના સંવાદ માટેની પ્રાર્થના છે. વ્રતના અંતે માત્ર બ્રાહ્મણોને નહીં, પંડિતોને ત્યાં ભોજન કરાવાય છે. ઋષિઓ તુષ્ટ રહે તો લોકતુષ્ટ રહે, ઋષિઓનો કૃપાપ્રસાદ હોય તો મનુષ્યજાત પણ પારાવાર શાંતિનો અનુભવ કરી રહે. આપણી ભૂમિ એમ સર્વના કલ્યાણની, સર્વના ઉત્કર્ષની કામના આવાં વ્રતોમાં પણ કરતી રહી છે.
આવા સુદિનો માણસની ચેતનાને ઢંઢોળે છે, એના મૂળતત્ત્વો સાથેના સંબંધનું પુનઃસ્મરણ કરાવે છે, એ સંબંધોને તાજા કરી આપી તેની સાથેના તેના અનુસંધાન માટે સક્રિય કરી રહે છે. રામ-કૃષ્ણ-લવ-કુશ એવા કેટલાયના ઘડતરમાં આવા ઋષિઓનો હિસ્સો રહ્યા છે. એ ઋષિઓ આપણું જ આદ્યકુળ છે. નારી સાથે નર પણ આ વ્રતમાં તેથી સામેલ થવો જોઇએ. માનવ ભીતરથી શુભ ઇચ્છે છે, તેના અવતરણ માટે તે કામના કરે છે - આ વાત આવા નાના પણ પાયાના ધાર્મિક ઉત્સવો - વિધિઓમાંથી પામી શકાય છે.
આપણે જોયું તેમ કૃષિજગતનો એક સંદર્ભ પણ અહીં છે આ દિવસે હળને રજા, બળદને રજા, ખેડૂત ખુદને રજા. અને વ્યાપક રૂપે જોઇએ તો ધરતીને પણ આ દિવસે ખેડમાંથી મુક્તિ મળે છે. આ દિવસે 'અણોજો'ની ભાવના સંપૂર્ણ રીતે ચરિતાર્થ થાય છે. વાઢવા-કાપવાનું કામ પણ ખેતરમાં થતું નથી. દૂધ-દહીં-ઘી વેચવાનું પણ બંધ. આખું ય કૃષિજગત, તેની સાથે જોડાયેલું વ્યવહારજગત, એ રીતે પેલી શાંતિપ્રાર્થનાનો જ એક ભાગ બની રહે છે.
હા, અનાજ ખાવું હોય તો જમીનમાં સ્વયં, શેઢા પર ઊગેલું ધાન ઉપયોગમાં લો, સામા જેવું ધાન્ય ખાવ, વાડે ઊગેલી વાલોળની સૂકવેલી દાળનું શાક બનાવો. માલેતુજાર ઘરની સ્ત્રી ભલે હોય પણ તે દિવસે તો સામાના લોટને રોટલો અને વાલોળની દાળ એ જ તેનો ખોરાક. આ પણ તરતમતાના ભેદને દૂર કરનારી વસ્તુ છે. તુચ્છ ગણાતાં ધાન્ય આરોગ્ય માટે મહત્ત્વનાં છે તેનો ય તેમાં સંબંધ છે તો ભૂમિ- ધરતી પ્રત્યેના સન્માનની વાત પણ તેમાં સૂચવાય છે.
ઋષિપંચમી - સામા પાંચમ - આવે છે ત્યારે મનોમન એક જુદા પ્રકારનો આનંદ એથી થાય છે કે અરે, મારે પણ આવી સામૂહિક ઋષિ-કૃષિ પ્રાર્થનામાં સક્રિયતા દાખવવાની છે. બા પાસે ત્યારે દોડી દોડીને સામાનો રોટલો અને વાલની દાળ ખાધા કરી હતી તેનું હજી તીવ્ર સ્મરણ છે. આજે ય જીભ તે ખાવા ક્યારેક સળવળી રહે છે - જીભની સાથે ચેતના પણ સળવળી રહે છે. કેવાં કેવાં સૂત્રોથી બધું જોડાયું છે !