Get The App

વર્તુળનાં વમળ .

Updated: Jan 21st, 2025

GS TEAM


Google News
Google News
વર્તુળનાં વમળ                                . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- વર્તુળેય આખરે પોલું ઢોલ છે... વાગે છે ત્યારે નથી વાગતું અને ક્યારેક નથી વાગતું ત્યારે વાગતું હોય તો ય સંભળાતું નથી !

અ રે, ભાઈ ! આ વર્તુળ તો ખરું પછવાડે પડયું છે ! બાળપણથી તે આજ સુધી કેડો મૂકતું જ નથી. ત્યારે શાળામાં ભાષા ભણવાની વાત આવે એટલે ઉત્તેજિત થઈ ઊઠતા. પણ જ્યાં ગણિત આવ્યું, ભૂમિતિ આવી એટલે આજની મોબાઈલની પરિભાષામાં કરું તો સાવ cool થઈ જતા. ભણાવનાર ભણાવે, સાંભળનાર ઈચ્છે એટલું સાંભળે બાકી બીજા કાન વડે ફોરવર્ડ થઈ જતું. 

પણ આજે ? આ 'વર્તુળ' બરાબરનું જામ્યું છે. જામ્યું શું છે, ખાસ્સો તેનો વરઘોડો જ રંગેચંગે, બૅન્ડવાજાં-ઢોલ-પિપૂડી સાથે નીકળ્યો છે. જ્યાં જુઓ ત્યાં વર્તુળની જ આણ, વર્તુળની જ હાક, એ જ હાકેમ... બસ, વર્તુળમાં આવી જાવ, વર્તુળનો ભાગ બની જાવ, ગોળ ગોળ ઘૂમ્યા કરો, ના કોર કે ના કિનારો, ના અંત કે ના આરંભ. અને છતાં 'વર્તુળ'માં આવી ગયેલ દરેક જણ પોતાને સુરક્ષિત લેખે, પોતે જ વર્તુળ હોય તેમ થોડીઘણી બડાશ પણ હાંકી લે. જે લોકો વર્તુળમાં સામેલ થઈ ગયા છે તેઓને વર્તુળ જ ઘરબાર, વર્તુળ જ ધર્મ અને ધામ, વર્તુળ જ ધારી અને ધાલ, અરે વર્તુળ જ વિષ્ણુ અને વિશ્વ લાગે છે. બાપડા, એમનો ય શો વાંક છે એમાં ? આ વર્તુળનો વેશ જ એવો વિદૂષકિયો છે કે ભલભલા તેમાં હરખપદુડા થઈ ધામા નાખી દે, અઠે દ્વારકાનું ગાણું અને ગુંજન પછી દિનરાત કરતા રહે, કદાચ મહાસુખ પણ ત્યાં તેવાને દેખાતું હોય. અમને તો આજે ચારે બાજુ આવાં વર્તુળો જ વર્તુળો, કરતૂતો જ કરતૂતો અમારી જીર્ણ આંખને જણાઈ રહ્યાં છે. કદાચ વર્તુળમાં જ વિજય છે, વર્તુળ છે તો વાત છે, વર્તુળ છે તો વિહાર છે, વર્તુળ છે તો વીંજણો છે, વર્તુળ છે તો વટ છે ને વર્તુળ છે તો જ વિસાત છે. અમે જે વર્તુળની વાતથી શાળામાં મુશ્કેલી અનુભવતા હતા, એજ વર્તુળનો ભારે મહિમા થતો જોઈને અમારી ત્યારની અને આજની પણ, ટૂંકી દ્રષ્ટિ અને બુદ્ધિ માટે ઈશ્વરનો વાંક કાઢીએ છીએ. ભલાદમી ! સમજો, વર્તુળમાં પ્રવેશી જાવ એટલે બધી માથાફોડ પૂરી થઈ જાય. વર્તુળ જ તમને સાચવે, સાચ અને કાચ કે સાચ અને જૂઠનો ભેદ પણ એ જ નક્કી કરે. તમે જે એકલદોકલ ક્યારેય કરી શકવાના નહોતા તે અહીં વર્તુળમાં બધું થતું જોઈ શકશો. તમારે માત્ર વર્તુળાધીન થવાનું, તમારે આત્મા પણ વર્તુળને હવાલે કરી દેવાનો. વર્તુળ જ તમારો દેવ અને પ્રેય ! તમારે નચિંત થઈ જવાનું. વર્તુળમાં તમે નાચી શકો, નચવી શકો, કૂદી શકો, કૂદાવી શકો. વર્તુળ જ તમારો રાત અને દિવસનો સમય નક્કી કરે, વર્તુળ જ તમારું સંવિધાન, વર્તુળ જ તમારી સૃષ્ટિ અને તૃષ્ટિ. 'વર્તુળ'નો રૂઆબ જોયોને જનાબ ! વર્તુળમાં તેથી જીવો, વર્તુળમાં તેથી જાતને ઢાળો. વર્તુળ જ અસ્તિ, અસ્તિત્વ અને હસ્તી, એવા સમીકરણ ગાઈ-ગરજીને પ્રચાર કરો.

હા, પણ 'વર્તુળ' આકારે ગોળ દેખાય છે, બીજાનું ત્યાં કશું માહાત્મ્ય દેખીતી રીતે નહીં જ હોય, પણ અમારી શાળાના શિક્ષકે ત્યારે અમારામાં ભય ઉત્પન્ન કરીને કહેલું કે વર્તુળ માત્ર 'વર્તુળ' નથી. એ તમારો દ્રષ્ટિભ્રમ છે. એમણે ઠોકપૂર્વક કહેલું કે વર્તુળમાં ત્રિજ્યા છે, વ્યાસ છે, ત્યાં પરિઘ વ. પણ છે. અમે, આ બધું સાંભળીને ત્યારે જ અર્ધમૂર્ચ્છિત અવસ્થામાં આવી ગયેલા અને સાવ સાદા જણાતા 'વર્તુળ'માં આ બધું તો કશે દેખાતું જ નથી તો પછી વર્ગમાં ગુરૂજી કંઈ ગપ્પે તો નથી ચઢ્યા ને ? એવો પ્રશ્ન પણ મનોમન થતો હતો. સાચું તો એ કે અમને ત્યારે અને આજેય આ 'વર્તુળ'માં કશી ગતાગમ જ પડતી નથી ત્યાં વળી ત્રિજ્યા ફ્રિજ્યા શું અને વ્યાસ-બ્યાસ પણ શું ને પરિઘફરિઘ પણ શું ! તો વાત હવે કંઈક સમજાય છે. વર્તુળ ખરું પણ રૂઆબ ધરાવનાર કેન્દ્ર તો ખરું જ, એનું જ આધિપત્ય અને તેની વાણ અને સાચી આણ ! તો પછી અમારી ધૂંધળી દ્રષ્ટિ કેમ એ બધું ત્યારે જોઈ શકી નહીં ? પેલા ગુરૂજી સાચ્ચા હતા, સો ટકા સાચ્ચા ! વર્તુળ ભલે પોતાની રીતે સ્વયંપર્યાપ્ત જણાય પણ ત્યાં કેન્દ્રભૂત સત્તા તો 'કેન્દ્ર'ની જ છે. એ જ વર્તુળ રચે છે. એ જ નાચ-ગાનનો દોરી સંચાર કરે છે. ક્યારેક એ વાત ત્રિજ્યા સુધી પણ પહોંચતી હોય, વ્યાસ-પરિઘ પણ તેનાથી અજ્ઞાાત હોય ! કેન્દ્ર જ બધું એની એડી નીચે રાખે. એ જ શબ્દ, એ જ અવાજ ! આજે અમને હવે લાગે છે કે સાચ્ચે જ અમે 'વર્તુળ'થી અળગા રહીને બેવકૂફ ભલે કહેવાઈ એ પણ વર્તુળેય આખરે પોલું ઢોલ છે... વાગે છે ત્યારે નથી વાગતું અને ક્યારેક નથી વાગતું ત્યારે વાગતું હોય તો ય સંભળાતું નથી ! એ સઘળો પ્રતાપ પેલા બહુ વેશધારી કેન્દ્રનો છે.

પણ 'વર્તુળ'ને આળ ચઢાવી શકાય તેમ નથી, કે તેનો વાંક પણ કાઢી શકાય એમ નથી. એ બધી માયા રચનાનું તત્વ તો કેન્દ્ર છે. વિચારકો-કવિઓ આ વાત પામી ગયા છે. તેમણે તેથી જુઓ ત્રિજ્યા-વ્યાસ-પરિઘ જેવી સંજ્ઞાાઓને જ બાજુ પર હડસેલી મૂકી. તેમણે માત્ર 'વર્તુળ'ને જ નિહાળ્યું. જે અમારી ટૂંકી બુદ્ધિને પણ ગમતી વાત છે. હા, વર્તુળને જુઓ. રૂમી જેવો કવિ કહે છે, ગયેલાનું દુ:ખ મનમાં ન રાખો, વર્તુળ ફરતું ફરતું વળી કશુંક કોઈક ક્ષણે નવું આપી જશે. ભાગ્યને ઉપર-નીચે ચડતું-ઊતરતું બતાવનાર સંસ્કૃત કવિએ પણ ચક્ર-વર્તુળ દ્વારા એવી જ વાત કરી છે. ચિંતકો પણ તેથી કહેવાના જિંદગી જ વર્તુળ જેવી છે, નથી આરંભ કે નથી અંત એ જ શાશ્વત છે. વર્તુળની, સાચા વર્તુળની, ખરી એ જ મજા છે કે ત્યાં કોઈ કાયમી કશું ચિહ્નિત કરી જતું નથી, ચક્રાકારમાં બધું બદલાતું હોય છે. વર્તુળમાં કશે કશું બંધાતું જ નથી. તે નિત્યનું સાતત્ય દાખવે છે. જીવન પણ જન્મ અને મૃત્યુનું એવું જ એક સૂચક વર્તુળ છે.

'વર્તુળ'માં બાંધવા ઈચ્છનાર અને બંધાવવા ઈચ્છનારનું 'વર્તુળ' ભિન્ન છે. ગુરૂજીનો ત્રિજ્યા, વ્યાસ, પરિઘનો મહિમા - સંકુલ મહિમા - હવે કંઈક સમજાયો. નર્યું, સહજ વર્તુળ તો અબાધિત છે, ભિન્ન છે વર્તુળને છેદયા-ભેદયા વિના પણ વર્તુળની બહાર તે લઈ જાય. પરિધિ વિનાની પરિધિ ત્યાં છે. આવું નિત્યનું ગતિમય 'વર્તુળ' જીવન પ્રત્યે, એકાગ્ર કરી એકતા અને આનંત્યનો પાઠ પણ રચી રહે. અન્યનું વર્તુળ નહીં, આપણું જ એક અદ્રષ્ટ 'વર્તુળ' સર્જીશું ? જે બાંધે નહીં, બંધાય પણ નહીં...!

Tags :