રાષ્ટ્ર - રાષ્ટ્રનિર્માણ અને... .
- ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
- 'માણસ'નું કોઈ પણ વિભાજિત સ્વરૂપ આપણા ઋષિઓને માન્ય નહોતું. જન્મભૂમિને તેથી જ કદાચ આપણે સ્વર્ગથી ય અધિકી લેખી છે
'રા ષ્ટ્ર', 'રાષ્ટ્રનિર્માણ', 'યુવાન' - આ કે આવી સંજ્ઞાાઓ વિશે આપણે સૌએ સમયે સમયે સાચી દિશામાં વિચારતા રહેવું જોઈએ. આવી સંજ્ઞાાઓનો ઈતિહાસ જોતાં ક્યારેક તેમાં દિશાચૂક થઈ છે, ક્યારેય એવી સંજ્ઞાાઓના મનઘડંત અર્થઘટનો અને સમીકરણો પણ રચાયાં છે. ક્યારેક શાસનધૂર્ત હોય તો એવી સંજ્ઞાાઓ વડે રાષ્ટ્રને અવળે પાટે ચઢાવ્યાની હકીકતો પણ પ્રાપ્ત થઈ છે. ક્યારેક એવાં શાસનોએ ઉત્સાહને ઉન્માદમાં પલટી નાખીને સત્તાનાં ધાર્યાં સોગઠાં ગોઠવવામાં પોતાની રીતની સફળતા પણ મેળવી છે. ક્યારેક એનાથી ઊલટું, શાસન અને પ્રજા બંનેએ એક થઈને રાષ્ટ્રની ગરિમાને વધુ ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય પણ કર્યું છે. એવે વખતે પ્રજા ઉચિત, કલ્યાણકારી, પ્રજાભિમુખ શાસનને સમર્પિત રહેતી જોવા મળી છે તો શાસનના કેન્દ્રમાં ત્યારે માત્ર મનુષ્ય અને તેનો સર્વાંગીણ વિકાસ રહ્યો હોય તેવાં દ્રષ્ટાંતો પ્રાપ્ત થયાં છે.
આવાં કારણોસર જ, 'રાષ્ટ્ર' - 'રાષ્ટ્રનિર્માણ' જેવી સંજ્ઞાાઓનો પ્રયોગ કરતાં કે કોઈ કરતું હોય ત્યારે સાવધાની દાખવવાની રહે છે. 'રાષ્ટ્ર' શું છે ? તેનો હેતુ શું છે ? તે વડે આપણે કઈ દિશા ભણી જવા ઈચ્છીએ છીએ ? પ્રજા-શાસન-બંનેનો તે વિશેનો સાચો ખ્યાલ શો છે ? - આ સર્વ પણ ધ્યાનમાં લેવું પડે. રાષ્ટ્ર એ અમુક ક્ષેત્રફળવાળી ભૂમિ નથી, અમુક સીમાબદ્ધ જમીન નથી, રાષ્ટ્રમાં- એ પ્રદેશમાં નદી, પહાડો, સમુદ્રો, અરણ્યો, ખનીજ કે તેવી બીજી સંપત્તિ જરૂર હોય છે, તેની મહત્તા પણ છે, પણ એથી એ જ રાષ્ટ્ર એવું અંતિમ વિધાન પણ ન થઈ શકે. રાષ્ટ્ર એટલે આ કે તે શાસન-શાસક અથવા અમુકતમુક વિચારધારા-એ પણ સાચા 'રાષ્ટ્ર' માટેની સાચી સમજ નથી. સાચું રાષ્ટ્ર તો તમે અને હું છીએ, એ ભૂમિભાગમાં નિવસતા કરોડો કરોડો યુવાનો છે, આધેડ કે વૃદ્ધ સ્ત્રી-પુરુષો છે, તેમનાં નિષ્ઠાભર્યાં કાર્યો છે, તેમની ઉમદા જીવનપદ્ધતિ છે, તેમનાં જીવનની પ્રેમભરી ધબક છે, તેમની ભાવનાઓ છે, તેમનાં સંવેદનો છે, તેમની ધરોહર છે, તેમની સંસ્કારી વાણી છે, તેમની જ્ઞાાન માટેની તૃષા છે, તેમની કલા અને તેમણે રચેલાં ગ્રંથો છે. તેમની સભર માનવતા છે, તેમની ઊર્ધ્વ જીવનની કામના અને આધ્યાત્મિક્તાથી ભરી જીવનશૈલી છે, તેમની સમરસતા અને અહિંસક વૃત્તિ છે, પ્રકૃતિ સાથેનો તેમનો ઊંડેરો સંબંધ છે, તેમની આંતરચેતનાનું તેજ છે, સૃષ્ટિના મનુષ્યમાત્ર માટેની અનુકંપા અને કરૂણતા છે, નિર્ભયતા અને નીડરતા છે, પૂર્વગ્રહ રહિત મુક્ત મસ્તિષ્ક છે. આ કે આવું બીજુંત્રીજું ઘણું 'રાષ્ટ્ર'ની ઓળખ બને છે. આવા રાષ્ટ્રના શાસને પણ આ પ્રકારની રાષ્ટ્રની પહેચાન બની રહે તે માટે સકારાત્મક વલણો દાખવવાં પડે છે. રાષ્ટ્રની છબી કંડારવામાં સૌપ્રથમ શાસને મનુષ્યને સ્વતંત્ર રૂપે વિકસવા દેવો પડે છે. નિયમન ખરું પણ તેને ગુલામ બનાવી રહે તેવું નહીં, નિયંત્રણ ખરું પણ તેની સાચી દિશાની વૃત્તિ-પ્રવૃત્તિઓને રુંધી નાખે તેવું ન હોય. બાહ્ય વિકાસ રાષ્ટ્રનો ગમે તેટલો હોય પણ માનવીના આંતરવિકાસની ત્યાં પૂરેપૂરી માવજત થવી જોઈએ. માનવનું માનવ રૂપે સન્માન થવું જોઈએ, તેની ગરિમા જળવાવવી જોઈએ. 'રાષ્ટ્ર'ની છબી તેથી વધુ ઉજ્જવલ બની રહે છે. લોક, લોક-શાહી, લોક-તંત્ર માત્ર શબ્દોમાં નહીં, શાસનનાં કાર્યોમાં પણ પ્રતીત થવી જોઈએ. ગરીબ અને તવંગર, વિદ્વાન અને સામાન્યજન- જાતિ-જાતિ વચ્ચે ભેદભાવ વિનાનું સમાન વલણ શાસક-શાસને દાખવવાનું હોય છે. શિક્ષણ-ન્યાયતંત્ર કે ધર્મ જેવાં વાનાંમાં એવા શાસનની સીધી કે આડકતરી કોઈ દખલગીરી ન હોય તો જ એવું શાસન સુયોજનાવાળું , સુદીપ્તિવાળું કે સુ-શાંતિવાળું બની રાષ્ટ્રની તેજસ્વી મુદ્રા ઊભી કરી શકે. જ્યાં પ્રજા સ્વામી અને શાસન સેવક રૂપે જોવાય. પ્રજાના મનની વાત જાણવા આતુર વિક્રમાદિત્ય જેવાના સમયમાં તો ઈતિહાસે એવું નોંધ્યું છે જ, પણ છેક નજીકના ભૂતકાળમાં ગાયકવાડી રાજય વિશેય હજી એવી સાચી વાતો વાતાવરણમાં ગૂંજી રહી છે. કહો કે રાષ્ટ્રનું આંતર-બાહ્ય માળખું - સર્વ રીતે મજબૂત હોય, પ્રજાની સુખાકારી જ નેમ હોય અને પ્રજા પણ એવા રાષ્ટ્ર માટે ગૌરવ અનુભવી તેને સમર્પિત હોય - એવી ક્ષણો કે એવો સમય 'રાષ્ટ્ર'નું સાચું પરિરૂપ રચી રહે છે. ભારતનું બંધારણ લગભગ એ દિશા પ્રતિ જ સંકેતો આપતું રહ્યું છે, આપણા વેદોપનિષદના ઋષિઓએ પણ એમના સમયમાં આવા વિધાયક સંકેતો પાર વિનાના સંપડાવી આપ્યા છે.
'રાષ્ટ્ર' સંજ્ઞાાનો આપણા દેશ સંદર્ભે વિચાર કરીએ છીએ, ત્યારે આપણા માટે અન્ય રાષ્ટ્રના નાગરિકો કરતાં વધુ ગર્વ લેવા જેવી ઘણી બાબતો છે. આપણે પ્રાચીનોમાં પ્રાચીન તો છીએ જ. એની ઉત્તમ વિરાસત છે, તેનો અનન્ય ધર્મતત્વવિચાર છે, ઉત્તમ મનુષ્ય-મનુષ્ય સંસ્કૃતિ માટેનું તેનું દ્યોતક વિમર્શન છે. સૃષ્ટિ આખીનો, મનુષ્ય સાથે પ્રકૃતિનો, રાષ્ટ્રનો તેમાં ઉમદા વિચાર થયો છે. આપણી વિચારણાના પિરામીડમાં શિવ અને સુંદર તેની બુનિયાદ છે તો પિરામીડની ટોચ પર સત્ય બેઠેલું છે. આપણે માત્ર આપણો જ નહીં, પશુ-પંખી-વનસ્પતિ સર્વનો વિચાર કર્યો છે. પ્રકૃતિનાં એકેએક સ્ત્રોતો વિશેની અહીં પાયાની સમજ રહી છે. પરિણામે આપણી 'રાષ્ટ્ર'ની સંકલ્પના સંકુચિત નથી, સીમાબદ્ધ નથી. જીવો ને જીવવા દોની વાત છે, કીડીને કણ અને હાથીને મણની વાત છે. ઈશ્વરથી ય 'મનુષ્ય'ને ઉપર સ્થાપ્યો છે. 'માણસ'નું કોઈ પણ વિભાજિત સ્વરૂપ આપણા ઋષિઓને માન્ય નહોતું. જન્મભૂમિને તેથી જ કદાચ આપણે સ્વર્ગથી ય અધિકી લેખી છે. આપણું રાષ્ટ્ર સૂત્રો પર નહીં સંવેદના પર ઊભું છે, દંભ-દર્પ કે અહંકાર પર નહીં, વિનય અને વિનમ્રતા પર ઊભું છે, ઉન્માદ પર નહીં, ઉમંગ પર સ્થિર થયેલું છે, 'હું' કે 'મેં' પર નહીં, 'અમે' કે 'આપણે' પર ટક્યું છે. આજે બદલાતા વિશ્વ વચ્ચે અને બદલાઈ રહેલા ભારત વચ્ચે પણ 'રાષ્ટ્ર' વિશે કશું મૂળગત જાણવું હોય તો વિશ્વના દાર્શનિકોની - વિચાર કોની દ્રષ્ટિ ભારત પર જ આવીને તેથી અટકે છે.