જેઠ જ્યેષ્ઠ છે ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જેઠની ખરી મજા જ અમને એ લાગે છે કે વૈશાખમાં તમે જે પવનની લહેરખીઓનો યથેચ્છ લાભ લીધો છે એ પવનને જેઠ કેદ કરી લે છે
અ મે, અર્થાત્ સ્વયં હું આજે, સવારથી જ ખુશમિજાજમાં છીએ. સંભવ છે કે તમે તે વિશે કંઇક પૂછો તે પહેલાં જ હું ફોડ પાડી દઉં. અમે, વહેલી સવારે કેલેન્ડર પાસે ગયા, રોજની જેમ, કેલેન્ડર એટલે દેશી ભાષામાં દટ્ટો, સુધરેલી ભાષામાં તારીખિયું વગેરે વગેરે. વાત તો એક જ, નામ ભલે જૂજવાં હોય. અમે ઉલ્લાસભેર પાન ફાડયું, અને નજર સામે વૈશાખના છેલ્લા દિવસરૂપ અમાસ આવી અમે બે રીતે પ્રસન્ન થઇ ગયા. અરે, અંધારું તો અમને ભાવતું - ફાવતું છે. આજે રાત્રિ અંધકારમય હશે. ઘન-ઘટ્ટ અંધકાર ભરી. સર્વત્ર અંધકાર. અંધકાર આપણા વિરલ યુગનું સત્ય છે, ના સત્ય માત્ર નહીં મિથ પણ છે. તમને, મને, ત્યાં, ખૂણે ખાંચરે, લંડન, દિલ્હી, વોશિંગ્ટન, ન્યૂયોર્ક અરે, તમને જે શહેર યાદ આવે તેને યાદ કરો. વેસ્ટ ઈન્ડિઝ જેવા ટાપુઓનો સમૂહ સ્મરણમાં આવે તો તે પણ બધે જ મિત્ર, અંધકારનાં ઓવારણાં લેવાય છે. પ્રકાશને ઊભી પૂંછડીએ ભગાડી મૂકવાના, સંનિષ્ઠ પ્રયાસો થાય છે. જરૂર પડે તે માટે સમિતિઓ રચવી પડે તો તે પણ રચાય છે...
પણ અરે, ભઇલા ! હું તો ફંટાઇ ગયો જરા. માફ કરજો. આને પણ મિત્ર અંધકાર પ્રતિનું અમારું સંમોહન જ લેખશો. અંધકાર બે હજાર એકવીસમાં કોને ન ગમે ? હવે તો સદીઓ સુધી તેને આપણે કદાચ લંબાવીશું. પણ જવા દો. વાત તો આ અમારા ઉત્સાહમાં વધારો કરે તેવી દટ્ટામાં બનેલી બીજી મહત્ત્વની ઘટના આવતીકાલથી જેઠ મહાશય પધારનાર છે તે છે. અમે અમારા મુગ્ધકાળમાં જેઠ વિશે લખ્યું છે. ત્યારે કેટલીક અણસમજ હતી એટલે તે વિશે સંભવ છે કે કંઇક આડું-અવળું લખ્યું પણ હોય. પણ જનાબ ! ગઈગુજરી ભૂલી જાવ. આજનું આ છેલ્લું વર્જન જ સાચું લેખશો.
મિત્ર, અમે પેલા ભર્યા ભર્યા, દડયા આવતા અંધકારની જેમ જ જેઠનો પણ ભારે ઉત્સાહથી સત્કાર કરીએ છીએ. કારણ કે જેઠ છે, તો આપણે જ્યેષ્ઠ છીએ. આ સત્ય અમે ઘણા વર્ષો પછી હમણાં તારવી શક્યા છીએ. જેઠની પ્રતિભાનો એકદમ ખ્યાલ આવે તેમ નથી. તે અક્કડ છે. ક્યારેક મારા હાથનો અંગૂઠો વળ્યા વિના સીધો ને સીધો રહી અક્કડ મિજાજ દાખવે છે તેવો. પણ અનુશાસન, સુશાસનની તમે ખેવના રાખતા હો તો પછી અક્કડ રહેવું જ પડે. જરા સમજો, એ અસહ્ય તપે છે તો પછી પછી, તમને અકળાવી, અકળાવી, પરેશાન પરેશાન કરી મૂકીને, વરસાદ રૂપે તમને, મને સૌને અચ્છે દિનનો અનુભવ કરાવે છે. ક્યારેક તેમ ન થાય તો પણ જેઠ જેઠ છે. એ જ એક જ્યેષ્ઠ, એ જ એક શ્રેષ્ઠ, એ જ એક સર્વ શ્રેષ્ઠ. વાત સાચી છે કે તમે જેઠમાં પરસેવે રેબઝેબ થઇ જાવ છો, કશામાં તમારું ચિત્ત ચોંટતું નથી, વ્યાકુળ થઇ જાવ છો. તમે કંઇક તેના ભયથી માર્યા માર્યા ફરતા પણ લાગ્યા કરો છો. ત્રાહિમામ્ કહેવાય ખરો ? એમાંય આ જેઠનો સૂર્ય તો પાછો ઈન્દ્ર નામનો સૂર્ય ! જેઠની ખરી મજા જ અમને એ લાગે છે કે વૈશાખમાં તમે જે પવનની લહેરખીઓનો યથેચ્છ લાભ લીધો છે એ પવનને જેઠ કેદ કરી લે છે. એમ કરીને જેઠ તમારા સુખને છીનવી લેતો લાગે, ક્યારેક તમારા જીવનને તે પડીકે બાંધી દેતો લાગે, તમે તેની વિરુધ્ધમાં કથા-વાર્તા કહેવાનું શરૂ કરો.
કોઇક કોઇક જેઠ જેવી જ્યેષ્ઠ વસ્તુને ટાય્રની લેખે અર્થાત્ પ્રજાને પીડીને રહેનાર કહે, તેના કારોબારને જુલમી લેખે. તેની સામે પડી, પડનારને તે યથાસમયે શિક્ષા પણ કરે, હા જેઠ ન જ નમે, જેઠ જ્યેષ્ઠ છે. તે આપણા સૌને માથે છે. સમજો - તે વેઠ નથી. એની વિરુધ્ધ એક પણ હરફ બોલવો એ કોઇ ડાહ્યા માણસને લગીરે શોભે નહીં. તે પ્રજાને પીડે, કદાપિ જુલમીગાર લાગે પણ તેની પાછળે ય તેનું કોઇક દૈવી કારણ હશે.
તમે એવાં કારણો-બારણોમાં પડયા વિના જેઠની લાક્ષણિકતાઓ નિહાળો, તે જે રીતે તપી રહ્યો છે, કામ કરી રહ્યો છે - આરામ વિના ચોવીસે કલાક તમારા માટે શ્વાસ ભરે છે, રાતોના રાતો ઉજાગરા કરે છે તેની તમે સહૃદયતાથી નોંધ લો. જેઠ વિશે નાસમજો એલફેલ શબ્દો ઉચ્ચારે છે ત્યારે અમારું મૃદુ-હૃદય એના ધબકાર ચૂકી જાય છે. અમારી તેને જે સમર્પિતતા રહી છે તે થોડી ઝંખવાય છે. અમે જેઠને ચાહવાની અમારી જિદ્દ ક્યારેય છોડવાના નથી. તમે અમોને - અમને જેઠના અંધ ભક્તો કહેશો તો અમે
સ્મિતભર્યા ચહેરે તે ય સ્વીકારી લઇશું...
તમે વાત વાતમાં જેઠની પાછળ પડયા કરો છો તે કેટલે અંશે વાજબી છે ? તમે એવા છો પણ કેટલા ? તમારું કહો સાંભળશે પણ કોણ ? જેઠને માટે તમે તતૂડી છો, તતૂડી. એટલે જ તમે જ્યારે જેઠ જેવા ફળદ્રૂપ, તદ્રૂપ, સરૂપ માસને ટાયરન્ટ કહો છો, તેના પર કાવ્યો - લેખોનો મારો ચલાવો છો, જેઠને ઉપાલંભવાની એકેય ક્ષણને જતી નથી કરતા, આપખુદ, જુલમગાર, રાજા-શેઠ જેવાં આકરાં વેણ ઉચ્ચારો છો ત્યારે અમે તો તમારા ભણતર પર લાજી મરીએ છીએ. અરે, બીજા બધા માસ તો પ્રજા દેવો ગુણધર્મ દાખવે છે, પણ જેઠ તો રાજા છે રાજા.
પ્રજા મરે તો ભલે મરે પણ રાજા ન મરે - એ કહેવતને યાદ કરો. આપણા વડવાઓનું એ અનુભવકથન આજની પ્રજા ભૂલી ગઇ લાગે છે. અમે જેઠ માટે આ કે આવું નથી કશું જોઇ શકવાના કે નથી અમે સાંભળી શકવાના. અમે તો જેઠને જ જ્યેષ્ઠ લેખીએ છીએ, લેખીશું. વર્ષના આ આઠમા મહિનાને અમારી જેમ તમે પણ આવકારો. બોલો દેવકીનું આઠમું સંતાન કયું હતું ? બોલો, કોઇ પણ ગર્ભિણી એના આઠમા માસે કેટલી વ્યાકુળ હોય છે, સાથે કેટલી સ્વપ્નિલ પણ હોય છે. અને એ આઠ માસ પછી જે ફળ આપે છે તે કંઇ તમારાથી અજાણ્યું નથી. આપણાં શાસ્ત્રો આઠના અંકને પવિત્ર લેખે છે. એટલે કહું છું જેઠ પર શ્રધ્ધા રાખો, જેઠને પ્રેમ કરો તે આપખુદ લાગે તો નજરઅંદાજ કરો, તે ક્યારેક પરપીડન કરનારો કે જુલમી જણાય તો તેને સકારાત્મક લો.
જેઠને દેવત્વના માસ તરીકેનો દરજ્જો આપો. તમારે જેઠની અકળામણને ભૂલતાં શીખવું પડશે. તમારે જેઠનાં દૂરગામી પરિણામોની સોનેરી કલ્પના કરીને જીવનને અત્યારે ભરી દેવાનું છે. જેઠના ઉમળકાભર્યા અમારા સત્કારનો મર્મ મિત્ર, જાણો. જેઠ જ જ્યેષ્ઠ છે મિત્ર ! જે તમને પણ જ્યેષ્ઠ બનાવનાર છે. ધીરજ ધરો !