Get The App

અંગત સંબંધોને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' ગણી લેવો મોટી ભૂલ

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
અંગત સંબંધોને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' ગણી લેવો મોટી ભૂલ 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- રગડા ઝગડા અને છૂટા પડવાની ધમકી અને છુટા પડયા  પછી બાઉન્સ બેક થતા પ્રેમ સાથે બન્ને વચ્ચે 'કમબખ્ત ઈશ્ક' ઠોકરો ખાતો આગળ વધે છે. અંગત સંબધોમાં સહુ કોઈને સૌથી વધારે ફરિયાદ હોય છે

હ રિણી અને યશ વચ્ચે કોરોનાનાં લોકડાઉન કાળમાં ઇન્સ્ટાગ્રામથી પરિચય થાય છે. સોશિયલ આઈસોલેશનનાં એ સમયમાં બંનેને એકબીજાનો સથવારો મળી જાય છે અને ઇન્સ્ટાગ્રામ ચેટથીજ એકબીજાની ખૂબજ નજીક પહોંચી જાય છે. સંજોગવસાત ઇન્સ્ટા પર મળતા બંને પ્રેમી પંખીડા એકજ શહેરમાં રહેતા હોય છે એટલે લોકડાઉન ખૂલતાં જ બંને પ્રેમી પંખીડાની અંગત મુલાકાતો હોટલનાં રૂમ સુધી પહોંચે છે. સંબંધો એટલા ઘનિષ્ટ બની જાય છે કે એકબીજા વગર રહેવું અશક્ય બની જાય છે. આ સંબંધો ત્રણ વર્ષ સુધી પાંગરતા રહે છે. 

પરંતુ હરિણી આ સંબંધમાં કૌટુંબિક અને સામાજિક કારણોસર આગળ વધી શકે તેમ નથી મૂળ અવરોધ તો એ હતો કે હરિણી પરિણીત હતી. તે યશ સાથે પોતાની મર્યાદામાં રહી ને સંબંધો રાખવા અનેક વિનંતી કરે છે. યશ અનેકવાર માની જાય છે એટલે તે યશ ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ તે  ધીરેધીરે એકબીજાથી દૂર થતા જવાની સલાહ આપે છે. યશ દરેક વખતે કહે છે કે 'જો તું મારી નહીં થાય તો હું તને કોઈની બનવા નહીં દઉં.' સંબંધોની અનિશ્ચિતતા વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા શરુ થાય છે જે અંતે બ્રેકઅપમાં પરિણમે છે. છ મહિના સુધી બંને વચ્ચે કોઈ જ સંપર્ક થતો નથી પણ છેતરાયાની, દગાખોરીની આગ યશનાં મનમાં દિનપ્રતિદિન વધારેને વધારે ભડકતી જાય છે. 

છ મહિના બાદ યશ હરિણીને આખરી મિલન માટે મળવા સમજાવી દે છે અને હોટલનાં બંધ રૂમમાં અત્યંત આત્મીયપળો માણી લીધા પછી હળવાશ અનુભવી આંખોમીચીને પડેલી હરિણી પર યશ ચક્કુંથી ગરદન, પીઠ અને પેટમાં હુમલો કરે છે. હરિણીનું પ્રાણપંખીડુ ત્યાં જ ઉડી જાય છે. ગભરાયેલો યશ પોતાની જાત પર ચક્કુંનાં ઘા કરી કંઈક જુદી જ  ઘટના ઘડી પોતાની જાતને પોલીસને સમર્પિત કરે છે  અને બંને વચ્ચે ઝપા ઝપીની  વાતોથી થીયરી રજુ કરે છે . જોકે બેંગલોરની પોલીસ યશને તેના કર્યાની સજા આપીને જ જંપે છે. આજે યશ એવુ દ્રઢ પણે માને છે કે  'તેને ભલે સજા થઇ પરંતુ એને છેતરનાર હરિણીને તો તેણે સજા-એ-મૌત ફટકારી જ દીધી છે.' આ કિસ્સો મારી કેઈસ ફાઈલનો નથી. હવે મારી કેઈસ ફાઈલમાંથી એક સત્ય કિસ્સો રજુ કરુ છું. 

પ્રીતિ અને અલય વચ્ચે જ્યારે મિત્રતા શરુ થાય છે ત્યારે પ્રીતિ એના પ્રેમભગ્ન દિલની બધી જ વાતો અલયને કરે છે. અલય એને સાંત્વના અને હુંફ આપે છે. બન્ને વચ્ચે પ્રગાઢ મૈત્રી અને પછી પ્રેમસંબંધ પાંગરે છે.  બંને પરિણીત છે પણ લોકોની અને સમાજની આંખોમાં ધૂળ નાખી નિયમિત સમયાંતરે અંગત પળો માણતા રહે છે. રગડા ઝગડા અને છૂટા પડવાની ધમકી અને છુટા પડયા  પછી બાઉન્સ બેક થતા પ્રેમ સાથે બન્ને વચ્ચે 'કમબખ્ત ઈશ્ક' ઠોકરો ખાતો આગળ વધે છે. અલય પ્રીતિને ગમે તેટલી હદે અપશબ્દો બોલી વારંવાર સંબંધોનો અંત આણવાની ધમકી ગુસ્સો કરી આપતો રહે છે અને પ્રીતિ દરેક વખતે ઝૂકતી રહે છે ગમે તેટલી  કાકલુદી કરીને સંબધો જાળવી રાખે છે. સાથે સાથે પ્રીતિ પણ અન્ય પુરુષો સાથે છુપા સંબંધો રાખવાની આદી છે.

કોઈ કારણવશ અલય ૬ મહિના માટે વિદેશ જાય છે અને પાછા આવીને એને એવી ગંધ આવે છે કે પ્રીતિ અને  એના નવા બોસ વચ્ચે ભરપુર પ્રમાણમાં ઇલુ-ઇલુ થઇ રહ્યું છે. પ્રીતિ સાથે આ વાત પર અંતિમ કક્ષાનો ઝગડો થાય છે અને અગાઉ બન્યા મુજબ પ્રીતિ પોતે અલયને વફાદાર હોવાના પુરાવા પણ આપતી રહે છે અને માફી પણ માંગતી રહે છે.

એક દિવસ તીવ્ર બોલાચાલી પછી આવેશમાં આવી જઈ અલય પ્રીતિના પતિને ત્રણ-ચાર પુરુષો સાથે સંબંધ રાખી ચૂકેલી તેની પત્ની વિશે બધી જ માહિતી નામ પુરાવા સાથે આપી દે છે. હવે અલય અને પ્રીતિ વચ્ચે કોઈ જ પ્રકારની મુલાકાત કે કોમ્યુનિકેશન શક્ય નથી. અલય ઘણો પછતાય છે. માફી માંગવાનાં અસંખ્ય પ્રયાસો કરે છે પણ પ્રીતિ એની જિંદગીમાં ફરી પાછી આવે એવી કોઈ શક્યતા નથી. અને પ્રીતિ વગર અલાયનું જીવન વેરણ બંજર રણ બની જાય છે કારણ એની પાસે બધું જ છે પણ પ્રીતિ નથી.

અહી દર્શાવાયેલા બંને કિસ્સા ગમે તેટલા ઘનિષ્ટ છતાં કાચના સંબંધો વિષે સમજ આપવા માટેના છે. 

માત્ર પ્રેમીજનોનાં જ નહીં પતિ-પત્ની, માતા-પિતા અને  સંતાન કે બંને મિત્રો વચ્ચે પણ સામેની વ્યક્તિથી છેતરાયાની લાગણી થઇ શકે છે. અને જ્યારે આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટું કરી રહી છે કે પછી દગાબાજી કરી રહી છે ત્યારે આપણામાંના અધિકાંશ લોકો એને સજા કરવાનો અધિકાર પોતાના જ હસ્તક લઇ લે. સામેની વ્યક્તિએ કેટલી હદ સુધી હીચકારું કાર્ય કર્યું છે એના બધાં જ નિર્ણયો પોતે જ ન્યાયાધીશ બનીને લઇ લે છે. કારણ કોઈ આપણને પીડા આપે ત્યારે આપણે ન્યુટ્રલ થઇને કે એક ત્રીજા વ્યક્તિ બનીને વિચારી શકતા નથી.

દરેક માણસને એના સૌથી અંગત સંબંધોમાં સૌથી નિકટતમ રહેલી વ્યક્તિ પ્રત્યે સૌથી વધારે ફરિયાદ હોય છે. કારણ અંગત સંબંધોમાં પ્રત્યેક વ્યક્તિને ચોક્કસ અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓ વ્યક્તિને સામેના પાત્ર પાસેથી પ્રેમ, લાગણી, સમય, પુરતું ધ્યાન કે અત્યંત મહત્વ મેળવવાની હોય છે. જ્યારે માણસને જોઈતું ન મળે અથવા એની લાગણીની કદર ન થાય ત્યારે એનામાં હતાશા જન્મે છે જે ધીરે ધીરે રોષમાં ફેરવાય છે અને સામેની વ્યક્તિથી વેર લેવાની લાગણી જન્મે છે. પોતાને જે પીડા થઇ એટલી જ કે એથી વધારે સામેની વ્યક્તિને પણ પીડા થવી જ જોઈએ એવું માની એને દુઃખ પહોંચાડવાનો ભરપુર પ્રયાસ કરે છે. આ સત્ય બધાં જ સંબંધોમાં સામાન્ય છે. જે લોકો આવું નથી કરતાં એમણે કદાચ ન્યાયાધીશની ખુરશી પર બેસ્યા વગર ત્રીજા વ્યક્તિ તરીકે વિચારીને જીવનમાં સમાધાન કરવાનો નિર્ણય લઇ લીધો હોય છે. (ક્રમશઃ)