- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ફક્ત મેળવવાની આશામાં સંબંધને શેરડીનાં સાંઠાની જેમ લાગણીનાં સંચાઓમાં રાખી એમાંથી નીકળતો રસ જ પીવાની ઇચ્છા રાખીએ તો છેવટે સંબંધ સંચામાંથી કાઢેલા શેરડીના સાંઠા જેવો કુચ્ચો થઈ જશે
(ગતાંકથી ચાલુ)
સામાન્ય રીતે પ્રેમલગ્ન કે એરેન્જ્ડ મેરેજ બંનેમાં સાવ જુદા જુદા વિચાર અને ઉછેરવાળી બે વ્યક્તિઓ ભેગી થાય છે. બંનેને ભવિષ્યનાં ઘણા બધા સ્વપ્નાઓ હોય છે અને આ સ્વપ્નાઓ ક્યારે ઇચ્છાઓમાં ફેરવાઈ જાય છે તેનો કોઈને ખ્યાલ રહેતો નથી. સ્વપ્નાને મન અને હૃદયની ઉર્મીઓ સાથે સીધો સંબંધ હોય છે. સ્વપ્નાઓ ક્યારેય સરખામણીથી પેદા થતાં નથી. એ માણસની ભીતરમાં ધરબાયેલી ટોચ સુધી પહોંચવાનાં સ્વપ્નાં હોય છે. જ્યારે ઇચ્છાઓ જરૂરિયાત અને માંગણીમાંથી જન્મે છે. એને વ્યક્તિનાં ભીતર સાથે નહીં પણ બહારની દુનિયા સાથે સંબંધ છે. એટલે જ માણસ ઇચ્છાઓ પૂરી કરવામાં જાત જાતનાં ઝાવા મારે છે અને ક્યારેક ઇચ્છા પૂરી ન થાય ત્યારે માણસને એવું લાગે છે કે 'આ બધું મને આવું બધું મારી સાથે જ બને છે.' હકીકતમાં આવું બધું બધાં જ સાથે બનતું હોય છે પરંતુ માણસને જે મળે છે એ દેખાતું નથી અને જે નથી મળતું એ દેખાવા માંડે છે. રક્ષાબહેનને પણ કંઈક એકાદ નબળી ઘડીમાં આવું લાગવા માંડયું. સંતાનો પોતાના જીવનસાથીને જે રીતે મલાવતા હતાં અને સમય આપતા હતા એ જોઈને રક્ષાબહેનને એવું લાગ્યું કે તેમની તો આ બધી ઇચ્છાઓ અધુરી જ રહી ગઈ છે. રાજેશભાઈ દિવસ-રાત કામ... કામ અને કામ કર્યા કર્યું છે અને પોતાના તરફ જેટલું જોઈએ તેટલું ધ્યાન નથી આપ્યું. આવું બધું વિચારતી વખતે તેમને રાજેશભાઈનો સંઘર્ષ અને શૂન્યમાંથી સર્જન કરવાની કુનેહ યાદ નથી આવતી. જીવનમાં જે કંઈ ભોગવ્યું છે અને જે કંઈ મળ્યું છે એ યાદ નથી આવતું પણ જે કંઈ નથી મળ્યું એની ભ્રમણાઓ વિશાળકાય બની અને આંખ સામે ખડી થાય છે. સંતાનો ધીમે ધીમે તેમના કુટુંબોને પણ સ્થિર કરતાં જાય છે અને ઇશ્વરની કૃપાથી તેમના શોરૂમ પણ ધણાં સારા ચાલે છે. વ્યસ્ત સંતાનોનાં સંતાનોને પણ પોતે જ સંભાળવા પડશે તે વાતથી ક્યારેક રક્ષાબહેન ખૂબ અકળાઈ ઉઠે છે અને ક્યાં સુધી બીજાઓ માટે જ જીવવું તે અકળામણ રાજેશભાઈ આગળ કાઢતા રહે છે ત્યારે રાજેશભાઈ એમને સમજાવે છે કે 'તેમને પણ બીજાઓ માટે જ જાત ઘસી નાંખી છે. સંતાનો માટે અને કુટુંબ માટે તેમણે શું નથી કર્યું અને હજી સુધી શું નથી કરતાં' એ બધું સમજાવે છે પરંતુ જેમ દરેક ઘરમાં બનતું હોય છે તેમ પુરુષ જો એમ કહે કે પોતે પૈસે ટકે કેટલો ધસાયો તો પત્ની કે સંતાનો એ માનવા તૈયાર થતા નથી. ઉલટાનું એમ કહે છે કે 'દરેક બાપની આ ફરજ હોય છે અને પોતે પોતાની આ ફરજ બજાવી છે એમાં કંઈ ઉપકાર નથી કર્યો અને આ રીતે કુટુંબના સભ્યોને પોતે પૈસા પેદા કરવા કેટલો સંઘર્ષ કર્યો છે આવું કહી બ્લેકમેલ કરવાની જરૂર નથી.'
લગભગ દરેક કુટુંબની આ જ વાત હોય છે. માતાએ બાળકોને કેવી રીતે ઉછેર્યા, બાળોતિયા સાફ કર્યા, સ્કૂલ અને ક્લાસીસમા લઈ ગયા વગેરે વગેરે બધું જ વારંવાર નિ:સંકોચ યાદ અપાવ્યા કરે છે. પણ પિતા જો એમ બોલી જાય કે 'મેં ઊંચી ફી ભરી, કેટલા સુખ સગવડનાં સાધનો આપ્યા, પ્રવાસો કરાવ્યા' તો આ શબ્દો સામે ઘરનાં સભ્યો લાલ આંખ કરે છે એટલુ ંજ નહીં પણ આવું કહીને એ કુટુંબના સભ્યોને બ્લેકમેલ કરે છે એવું પણ કહી દેવામાં આવે છે અને કુટુંબ માટે પુરુષ જે કંઈ કરે એની ખાસ કિંમત રહેતી નથી પરંતુ 'આ ફરજ છે અને બધાં જ કરે છે' એવું કહેવામાં આવે છે.
રાજેશભાઈનો સ્વભાવ થોડોક કડક ખરો પરંતુ એમની સામે ઝીંક ઝીલવામાં રક્ષાબહેન પણ પાછા પડે તેમ તો નહોતા જ. પરંતુ રાજેશભાઈને જે રીતે છોકરાઓ ઉપર ધાક જમાવવા એક વિલન તરીકે ચિતરવામાં આવ્યા એની રાજેશભાઈને ક્યારેય ખબર સુદ્ધાં ન રહી. આમ પણ સમાજમાં આવું જ થતું હોય છે. ભગવાન ક્યારેય કોઈનું બુરું ઇચ્છતા નથી કે કરતા નથી પણ ભગવાન અને માતાજીનાં નામે આમ જનતાને ડર બતાડનારા ધર્મનાં ઠેકેદારો જ હોય છે.
સમય વિતતો ગયો અને બધાને જે મળી ગયું એની કોઈ કિંમત ન રહી એ બધું તો નકામું પુરવાર થયું પણ જે કંઈ નથી મળ્યું એ વાત મનમાં વધારે ને વધારે મોટી થતી ગઈ અને અધુરપ અને ઓછપની લાગણી વધતી ગઈ. જેને કારણે પત્ની અને સંતાનો રાજેશભાઈની વિરૂદ્ધ થઈ ગયાં. એ લોકોએ રાજેશભાઈને ગુનેગારનાં પાજરામાં ઉભા રાખી રાજેશભાઈ જીવનમાં માત્ર કામ, કામ અને કામ કરતા રહ્યા છે. કોઈને પુરતો સમય કે સુખ આપ્યું નથી. માત્ર પૈસા અને પ્રસિદ્ધિ ખાતર દોડતા રહ્યા છે. એવા આક્ષેપો કરતા રહ્યા. આમ આખી જાત અને જીવન ઘસી નાખ્યા પછી પણ રાજેશભાઈ હડધૂત થતા ગયા.
જમાનો પિતૃસત્તાવાળો કહેવાય છે પરંતુ આવી કોઈ સત્તા પિતા પાસે હોય એવું લાગતું નથી. જોકે હવે જમાનો બદલાઈ રહ્યો છે અને પતિ-પત્ની બંને નોકરી પણ કરે છે, છોકરાઓનો સાથે ઉછેર પણ કરે છે. આ બધું જોઈને રક્ષાબહેનની જેમ એમની ઉંમરની સ્ત્રીઓ ક્યારેય એવું ન સમજી લે કે એમને જીવનમાં આવું કંઈ મળ્યું નથી. જમાનો બદલાય છે. જોગ-સંજોગ પણ બદલાય છે પરંતુ માણસ-માણસ વચ્ચેનો કે કુટુંબનાં સભ્યો વચ્ચેનો સંબંધ એક સીધી સાદી સુગંધ જેવો હોવો જોઈએ. એમાં ક્યાંય ગૂંચ કે સમસ્યાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે ? સંબંધમાં સુખની અપેક્ષા દરેક જણની હોય છે તો સાથે સાથે સુખ આપવાની તૈયારી પણ કેળવવી પડે. સંબંધમાં ક્યારેક પોતાને કંઈ ઓછું પડતું હોય એવું લાગે તો એ સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ અને જે કંઈ વસ્તુની ખોટમાં જીવવું પડયું છે એની પાછળનાં કારણો કયા છે એ પણ જાણવા પડે અને સમજવા પડે.
આમ તો દરેક પરિવારમાં આવી નાની મોટી ગેરસમજો અને ગૂંચવાડા હોય છે. ક્યાંક ઓછું તો ક્યાંક વધારે હોય છે. પણ જે લોકો માત્ર સુખની જ ઝંખનાઓ રાખે છે એમને જે મળે એનાથી ક્યારેક સંતોષ થતો નથી. સંબંધોમાં જ્યારે ફક્ત મેળવવાની આશામાં સંબંધને શેરડીનાં સાંઠાની જેમ લાગણીનાં સંચાઓમાં રાખી એમાંથી નીકળતો રસ જ પીવાની ઇચ્છા રાખીએ તો છેવટે સંબંધ સંચામાંથી કાઢેલા શેરડીનાં સાંઠા જેવો કુચ્ચો થઈ જશે એ સમજ પમ આપણે કેળવવી પડશે.
રાજેશભાઈ આજે હતાશ છે. બધું કાર્ય પછી પણ કુટુંબના સભ્યો એ એમને આરોપીના પાંજરામાં પૂર્યા છે. આ બધી વાતોને કારણે એકલા પડયા છે. તેઓ
એક ડુસકા સાથે એટલું જ કહે છે કે 'ર્ંઊંઝ્રય ।્ય (દ્ધ દ્વેંલ્પ્છ ઊં્છઙ્મફ દ્વ્છદ્બ્લ દ્વ્ ર્ં્ઝ ેંઊંલ્ ળળ (્ઝ્રય શ્ન્ય દ્વસયિં લ્યઙ્મ પ્રય ેં(ઝ્રદ્વય ાૃપ્ઝ દ્વ્ય ાૃપ્ઝ ેંઊંલ્....'
છેલ્લે એટલું જ કહીશ કે દરેક જણની આનંદ અને સુખ મેળવવાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. કોઈને સલામતીમાં તો કોઈને સંપત્તિમાં, કોઈને પ્રેમમાં તો કોઈને સ્વસ્થ શરીરમાં સુખ લાગે છે. પણ આ બધું જ સુખ એક સાથે હોય એવું પેકેજ ડીલ જિંદગીમાં કોઈને મળતું નથી. એટલે જે નથી મળ્યું એ યાદ કરવા કરતાં જે કંઈ મળ્યું છે એ બદલ ઇશ્વરનો આભાર માની અને પોતાને માટે જાત ઘસનાર સૌ કોઈનો આભાર માની જીવન જીવવાની કોશિશ કરીએ તો જીવન સુમધુર થઈ જાય છે અને સંબંધો મોહરી ઉઠે છે.


