પ્રેમ એક વાર કે વારંવાર...?
- વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
- પ્રેમ એક કલા છે જે એક જ વારમાં હસ્તગત થઈ જતી નથી. પ્રેમમાં મળતી નિષ્ફળતાઓ અને આઘાતો જ વ્યક્તિને પ્રેમની પરિપક્વતા તરફ લઈ જાય છે
પહેલી વાર થાય એ જ સાચો પ્રેમ બાકી બધું સામાધાન કે એડજસ્ટમેન્ટ ? પ્રેમમાં એકવાર નિષ્ફળ ગયાં પછી બીજી કોઈ વ્યક્તિ માટે પ્રેમ જાગી શકે ?
પ્રેમ એક ને કરીએ અને લગ્ન બીજા સાથે તો શું બંનેનું જીવન બરબાર ન થાય ?
આ બધાં જ પ્રશ્નોના સંશોધનો અને સત્યોના આધાર પર આ રહ્યા જવાબો ઃ
પ્રથમ પ્રેમમાં પડવું એટલે કાચી ઉંમરમાં 'ટેસ્ટોસ્ટીરોન' અને 'ઈસ્ટ્રોજન' નામનાં સેક્સ હોર્મોન્સના સ્રાવથી થતું વિજાતીય આકર્ષણ, આને 'લસ્ટ' કે 'મોહ' પણ કહી શકાય. આવા પ્રેમનું આયુષ્ય થોડા અઠવાડિયાઓ કે મહિનાઓનું જ હોય છે. આવું આકર્ષણ જેને 'ક્રશ' પણ કહેવાય છે તે એક કરતાં વધારે વ્યક્તિ પર થઈ શકે છે.
પ્રેમમાં પડવાનો બીજો તબક્કો છે રોમાન્ટિક પ્રેમનાં આકર્ષણનો. જેમાં વ્યક્તિનો મોહ કોઈ એક ચોક્કસ પાત્ર પર કેન્દ્રિત થાય છે. આને માટે મગજમાં આવેલ ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાતાં ડોપામીન, નોરએપીનેફીન અને સિરોટોનીન નામનાં રસાયણો જવાબદાર હોય છે. આ રસાયણો મગજમાં આવેલ આનંદના કેન્દ્રોનું ઉદ્દીપન કરે છે.
મગજના ન્યુરોટ્રાન્સમીટર ડોપામીનનું લોકજીભે ચર્ચાતું હુલામણું નામ એટલે રોમેન્ટિક લવ. મગજના એવા જ બીજા ન્યુરોટ્રાન્સમીટર નોરએપીનેફ્રીનનું ગલી ગલીમાં લેવાતું નામ એટલે 'ઈન્ફ્રેચ્યુએશન' કે 'મોહ'. આ બંને રસાયણો કોઈ પણ વ્યક્તિને પ્રેમમાં પાડવા માટે ઉદ્દીપનનું કામ કરે છે.
મગજની 'લિમ્બિક સિસ્ટીમ' પર આ રસાયણોનું આક્રમણ પ્રેમી પાત્રની ધૂન સવાર થવા માટે તથા તેની તરસ અને તલપ જગાવવા માટે જવાબદાર હોય છે. રસાયણોનું આ આક્રમણ પોતાના પ્રેમીપાત્રને ક્યારેક માનસિક કે શારીરિક રીતે ઈજા પહોંચાડે તેવા કરાતાં તમામ અનૈતિક કૃત્યો માટે પણ જવાબદાર હોય છે. પ્રેમએ નારકોટીક્સ જેવો વ્યસની પદાર્થ છે. જેમ કોકેઈનનો નશો કર્યા પછી મગજનાં 'વેન્ટ્રલ ટેગમેન્ટમ'માં ડોપામીન વધે છે અને જે અસર થાય છે એવો જ નશો રોમેન્ટિક પ્રેમમાં પડવાથી ચડે છે.
રસાયણોએ શરૂ કરેલી આ પ્રેમ અને સંબંધોની રમત રસાયણોનું પ્રમાણ ઘટવાથી પૂરી થતી જાય છે. જેથી પ્રેમ બટકણો સાબિત થાય છે.
રોમેન્ટિક લવની એક ચોક્કસ અવધિ હોય છે. એનાં ઘોડાપૂર આપો આપ ઉતરવા માડે છે. જેથી પ્રેમ પ્રેમનો અંત શરૂ થઈ શકે છે. પ્રેમનો નશો ઉતરી જાય પછી બીજું પાત્ર મળે અને નવો નશો ચડે ત્યાં સુધી જીવન શુષ્ક પણ બની શકે છે.
જોકે બધા જ લોકોનો પ્રથમ પ્રેમ નિષ્ફળ નથી જતો. કેટલાક લોકોના પ્રેમસંબંધોમાં ઉતાર-ચડાવ આવ્યાં પછી તેઓ ત્રીજા તબક્કામાં પ્રવેશે છે.
પ્રેમમાં પડવાનો ત્રીજો તબક્કો છે 'એટેચમેન્ટ' અને 'બોન્ડીંગ'. આ તબક્કા દરમ્યાન ઓક્સિટોસીન અને વાઝોપ્રેસીન નામનાં હોર્મોન્સનો સ્ત્રાવ વધે છે, આનાં કારણે સંબંધો મહિનાઓ, વર્ષો કે દાયકાઓ સુધી સ્થિર રહે છે.
પ્રેમનાં ત્રીજા તબક્કામાં શાતિ અને સલામતી મળે છે. માત્ર હાથમાં હાથ પકડવાથી, બાજુ બાજુમાં બેસવાથી, પ્રેમીજનની આંખમાં આંખ પરોવીને જોવાથી કે જાતીય સમાગમથી વાઝોપ્રેસીન અને ઓક્સિટોચસીનનો સ્ત્રાવ થાય છે. અને સબંધોને શાંતિ, સલામતી અને સ્થિરતા મળે છે.
આ વાત થઈ પ્રેમની કેમેસ્ટ્રી અને બાયોલોજીની. બે પ્રેમી પાત્રોની કેમેસ્ટ્રી લાંબો સમય ટકી જ રહે તે જરૂરી નથી. પ્રેમ એ જટીલ મનોવૈજ્ઞાાનિક. ચૈતસિક અને વૈયક્તિક પ્રક્રિયા છે. જેમાં પ્રેમમાં પડનાર વ્યક્તિઓનો મૂળભૂત સ્વભાવ, વ્યક્તિત્વ, સંસ્કાર, સમાજ, બાલ્યાવસ્થાનો ઉછેર, આત્મવિશ્વાસ, આત્મસન્માન, અને સેલ્ફ ઈમેજ જેવાં સંખ્યાબંધ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે.
આધુનિક ડીજીટલ યુગમાં મેઈક-અપ અને બ્રેકઅપ વારંવાર થતાં જોવા મળે છે. એક યુવતીએ મને એવું કહ્યું કે તેની બધી જ બહેનપણીઓના પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. માત્ર એક જ બહેનપણીએ તેનાં પ્રથમ પ્રેમી સાથે લગ્ન કર્યા છે અને એ પ્રેમીએ પણ લગ્ન એટલા માટે કર્યા કારણે તેની બહેનપણીએ આત્મહત્યાની કોશિશ કરી અને ઘનિષ્ટ સારવાર પછી બચી ગઈ. જો કે પાછળથી એવી ખબર પડી કે આ બહેનપણીએ આત્મહત્યાની કોશિશ બીજા કોઈ પાત્ર સાથે પ્રેમ નિષ્ફળ જવાને કારણે કરી હતી.
અન્ય એક યુવતી કે જે તેના પ્રથમ પ્રેમને ભૂલી શકતી ન હતી જેથી તેની શૈક્ષણિક કારકિર્દી જોખમમાં મુકાઈ હતી, તેણે એવું કબુલ્યું કે એને અને એનાં પ્રેમએ એકબીજાને ધ ૈં ન્ર્પી ર્રૂે ધ કહ્યું ત્યારે બન્ને એમ.ડી.એમ.એ.ના નશામાં હતાં. આ પહેલાં અને પછી તેમનાં પ્રથમ 'ડીજીટલ લવ'માં અનેક મેઈક-અપ્સ અને બ્રેકઅપ્સ આવી ચૂક્યા હતા.
બીજા એક યુવાનને તેની પ્રથમ પ્રેમિકાએ એટલાં માટે છોડી દીધો હતો કે તે કેરિયર બનાવવા માટે વિદેશ જવા માંગતી હતી. આવા તો ઘણાં ઉદાહરણો છે જેમાં પ્રથમ પ્રેમ નિષ્ફળ ગયો હોય અને પછી પ્રેમીજનો અન્ય પાત્રો સાથે સુખે કે દુઃખેથી ગોઠવાય ગયાં હોય.
પ્રથમ પ્રેમને પામવાની ઈચ્છા સમજી શકાય એમ છે પરંતુ જીવનમાં પ્રેમ એક જ વાર થાય અને પછી થતો કોઈપણ પ્રેમસંબંધ સમાધાન કે એડજસ્ટમેન્ટ જ હોય
એ વાત સાચી નથી. હા, કદાચ જીવનમાં મોહ એક વાર થાય અને એ મોહના અનુભવ પછી વ્યક્તિ વાસ્તવિકતાનો વિચાર કરે અન્ય વ્યક્તિ સાથે પરિપક્વ પ્રેમ સંબંધ બાંધી શકે એવું બનતું હોય છે.
જીવનમાં પ્રેમ માત્ર એક જ વાર થઈ શકે એવી લાગણી ધરાવી કેટલાક લોકો તેમની વર્તમાન જિંદગીને અધૂરી, બોજરૂપ ને નીરસ બનાવી દે છે અને જીવનની ફરજો શુષ્ક મને નિભાવે છે.
પ્રથમ પ્રેમનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતાં એવાં કેટલાંક લોકો છે જે કલ્પનાઓમાં બનાવેલા મહેલમાં કે નદીને કાંઠે બનાવેલા તેમના રેતીના એ ઘરમાં તેમના ઈચ્છિત પાત્ર સાથે રહેવાના મનસુબા ઘડે છે અને મનમાં એવી કોટી જીદ રાખે છે કે 'હું જે ચાહું છું તે મેળવીને જ જંપીશ' જેની ઈચ્છા કરી જેને પ્રેમ કર્યો એ જ મેળવી શક્યો પછી જીવનમાં જીવનનો અર્થ શો ? આવાં વિચારો કરી ઘણાં લોકો દુઃખી થયા કરે છે... પણ ક્યાં સુધી... ક્યો હેતુ સિદ્ધ કરવા માટે ?
પ્રેમ માત્ર એકજ વાર થઈ શકે એવું સમજતા લોકો પ્રેમનાં ઊંડાણમાં પહોંચી શકતા નથી. તેમનો પ્રેમ એક પાત્રીય અને બંધિયાર બની જાય છે. આવા લોકો એક સત્યને ભૂલી જાય છે કે પ્રેમ ક્યારેય સંકુચિત નથી બની શકતો. કોઈ એક જ વ્યક્તિમાં પ્રેમ સંકોચાઈને ખતમ નથી થઈ જતો.
પ્રથમ પ્રેમ, મોહ, વિજાતીય આકર્ષણ, રાસાયણીક ુથલપાથલ કે અંતરની લાગણી એજ સાચો પ્રેમ છે એવું માનવાની ભૂલ હરગીજ ન કરવી. પ્રેમમાં મળતી નિષ્ફળતા અને આઘાતો જ વ્યક્તિને પ્રેમની પરિપક્વતા તરફ લઈ જાય છે. અને સ્થિર તથા આધારરૂપ સંબંધો બાંધવામાં મદદ કરે છે.
પ્રથમ પ્રેમમાં નિષ્ફળતા પછી કોઈ એક વ્યક્તિ માટે સમગ્ર દુનિયા છોડી દેવાની વાત પ્રેમનું છીછરાપણું અને પલાયનવાદ છે.
જે વ્યક્તિ તમારી નથી થઈ શકી એ ક્યારેય તમારી હતી જ નહિ એ સમાધાન નહીં પણ વાસ્તવિકતા નો સ્વીકાર છે. આવી વ્યક્તિ માટે ઝૂરવું એ ઝાંઝવાના જળ પાછળની દોટ છે. એનાં કરતાં જે લોકો પોતાના જ છે. એને પ્રેમ કરો. પ્રેમ કોઈ એક જ વ્યક્તિને આપવા માટે નથી. પ્રેમ એ કોઈ એક માત્ર વ્યક્તિને ચાહવા માટે પણ નથી. એક સંબંધ કપાઈ જાય ત્યારે દુનિયા ઉજડી ગઈ હોય તેવું લાગે તો નવી દુનિયા વસાવવી એ જીવનનું સત્ય છે, સમાધાન નહીં. પ્રેમ એકવાર નહિ યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી વારંવાર કરો. પ્રેમની પોતાની પણ એક લોકશાહી છે.
ન્યુરોગ્રાફ : પ્રેમમાં પડયા પછી ઉઠીને ઉભા થવા. તમે કાલે હસતાં હતાં, આજે હસો છો અને આવતી કાલે પણ હસતાં જ રહેવાના છો. કોઈના વગર રડવા કે ઝૂરવા માટે જિંદગી બહુ જ ટુંકી છે.