Get The App

ચોખ્ખાઈનો આગ્રહ ગુણ કે અવગુણ?

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ચોખ્ખાઈનો આગ્રહ ગુણ કે અવગુણ? 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- ડોનાલ્ડ ટ્રમ્પ, ડેવીડ બેકહેમ, દિપિકા પાદુકોણ, વિદ્યાબાલન, પરહાન અખ્તર, સની લીયોન વગેરે સંખ્યાબંધ લોકોને પરેશાન કરતા રોગ ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઓર્ડર વિશે રસપ્રદ વાતો

સં તોકબા આખા ગામમાં સન્માનનીય વ્યક્તિ હતાં. લોકો તેમને એક પવિત્ર અને ધર્મનિ વ્યક્તિ ગણાવતાં. પરંતુ તેમના ઘરના લોકો તેમનાથી ત્રાસી ગયા હતા જેનું કારણ હતું. સંતોકબાની અસહ્ય આદતો... હરકતો.

સંતોકબાનો રોજનો ક્રમ હતો સવારના પહોરમાં ગામના તળાવે નહાવા જવાનો. તેઓ રોજ તળાવમાં ડૂબકી મારી સ્નાન કરતાં આ રીતે સ્નાન કરતાં કરતાં તેમને રોજ બે કલાકનો સમય લાગતો હતો.

સ્નાન કરવાની તેમની પધ્ધતિ પણ આગવી અને અનોખી હતી. સ્નાન કરવા દરમ્યાન તેઓ આખા શરીર પર ત્રણ વખત સાબુ લગાડતાં. પ્રત્યેક વખતે સાબુ લગાડયા પછી તેઓ ગણીને તેત્રીસ ડૂબકી પાણીમાં મારતાં ત્રણ વખત સાબુ લગાડયા પછી નવ્વાણું ડૂબકી મારી લીધા પછીની તેમની એકસોમી ડૂબકી સ્પેશીયલ રહેતી.

આ સ્પેશીયલ ડૂબકી મારતાં પહેલાં તળાવના પગથીયાં ચડી કિનારે આવતાં. કીનારાની પાળીએ મૂકેલા માટલાને લઇ તેઓ પગથિયાં ઉતરી પાછાં પાણીમાં જતાં, માટલાને કમર પર મૂકી તેઓ એકસોમી ડૂબકી મારતાં અને છેલ્લી ડૂબકી લગાવી બહાર આવતા.

ત્યારબાદ તળાવના કીનારાથી ઘેર જતાં સુધી રસ્તામાં માટીના ઘડામાંથી પાણીની ધાર રેડતાં રેડતાં ઘર સુધી આવતાં જેથી રસ્તાની ધૂળ તેમના પગ પર લાગી ન જાય.

એક દિવસ નાહીને ઘેર આવતાં તેમના હાથમાંથી માટલું નીચે પડી ગયું. એટલે સંતોકબા પાછાં તળાવમાં ગયાં. ફરીથી ત્રણ વાર સાબુથી નાહી નવ્વાણું ડુબકી મારી અને એકસોમી સ્પેશીયલ ડૂબકી માર્યા પછી જ તેઓ તળાવથી રસ્તામાં માટલાની ધાર પાડતાં ઘેર પહોંચ્યાં. તે દિવસે તેમનું સવારનું ભોજન બપોરે ત્રણ વાગ્યે પત્યું.

એક દિવસ પાછા વળતાં માટલું રસ્તામાં ત્રણ વખત નીચે પડી ગયું અને તેમને સવારનું ભોજન સાંજે સાત વાગ્યે લીધું. બોલો પછી ઘરનાં લોકો ત્રાસી જ જાય ને ?

સૌમ્યાબેનની વાત પણ કંઇક નિરાળી હતી. મૂળભૂત રીતે તેઓ ચોખ્ખાઈના બહુ જ આગ્રહી હતા. પરંતુ છેલ્લા કેટલાક વખતથી તેમનો સ્વચ્છતાનો આગ્રહ ઘણો વધી ગયો હતો. તેઓ વારે ઘડીએ હાથ ધોવા લાગ્યાં હતાં.

કોઈપણ વસ્તુને અડે તો તેમને હાથ ધોવાના વિચારો આવતા. એટલું જ નહીં વિચારોને અનુરૂપ વર્તન કરવું જ પડતું. એટલે કે હાથ ધોવા જ પડતા. વારંવાર હાથ ધોવા છતાં તેમને એવું લાગતું કે તેમના હાથ હજુ ચોખ્ખા થયા નથી.

ચંદનબેન જાણે છે કે તેમના વિચારો અને ક્રિયા ખોટાં છે પરંતુ આગ્રહપૂર્વક તેમના મનમાં આવતા વિચાર દબાણ અને ક્રિયા દબાણને તેઓ રોકી શક્તાં નથી.

જો તેઓ હાથ ન ધુએ તો તેમનું મન હાથ ગંદા છે તેમાં જ ચોંટેલુ રહે છે. જેથી તેમને ખૂબ ચિંતા થાય છે. આ ચિંતા દૂર કરવા તેમને વારંવાર હાથ ધોવા જ પડે છે. જેમાં ઘણો સમય જાય છે.

સૌમ્યાબેન પોતે તો ચોખ્ખાઈનો આગ્રહ રાખી પોતાના હાથ ધોતા હતા ત્યાં સુધી કોઇને તકલીફ ન હતી. પરંતુ ધીરે ધીરે તેમને તેમના પતિ તથા બાળકોના પણ હાથ ગંદા છે તેવું વિચાર તેમને પણ હાથ ધોવા ફરજ પાડવા લાગી. આ કારણે તેમના ઘરમાં ઘણા ઝઘડા થવા લાગ્યા આમ છતાં પણ સૌમ્યાબેન તેમનું અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ અર્થાત્ ગંદકીના વિચારો અને હાથ ધોવા ધોવડાવવાનું દબાણ રોકી શક્તાં ન હતાં.

ધીરે ધીરે તેઓ ઘરની મુલાકાતે આવતા તેમના મહેમાનોને પણ તેમના હાથ-પગ ધોવડાવવા દબાણ કરવા લાગ્યાં એટલે લોકોએ તેમના ઘેર આવવાનું જ બંધ કરી દીધું.

આટલું ઓછું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી તેમના વિચારો અને ક્રિયાઓમાં ઉમેરો થયો છે. જેમ કે વારંવાર ઘરની સફાઈ કરવી, વાસણો ઘસી ઘસીને માંજવાં, ઘરનું તાળું કે ગેસ બંધ કર્યાં છે કે કેમ તે વારંવાર તપાસવું વગેરે અનિવાર્ય ક્રિયાઓ કરવાનું દબાણ વધી ગયું છે.

સંતોકબા ઓસી.પી.ડી. પર્સનાલીટી ડીસઓર્ડર ધરાવે છે. જેને ઓબ્સેસીવ પર્સનાલીટી કહેવાય જે એક વ્યક્તિત્વની વિકૃતિ છે. જ્યારે સૌમ્યાબેન ઓ.સી.ડી. એટલે કે ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઓર્ડર અર્થાત અનિવાર્ય ક્રિયા દબાણ અને અનિવાર્ય વિચારદબાણ ધરાવે છે.

સમગ્ર વસ્તીના લગભગ ૨થી ત્રણ ટકા લોકો ઓ.સી.ડી.થી પીડાય છે.  એટલે આપણા દેશમાં આ રોજનું પ્રમાણ ૨.૮ થી ૪.૨ કરોડનું ગણાય. 

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં પણ ઓ.સી.ડી. જોવા મળે છે. માત્ર ત્રણથી ચાર વર્ષના બાળકો ને ઓ. સી. ડી. થવાની સંભાવના હોય છે.

કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓએ ઓસીડી હોવાનું કબુલ્યું છે.

દિપીકા પાદુકોણે ડીપ્રેશન હોવાનું તો કબુલ્યું જ છે. તદ્ ઉપરાંત તેને તેની બધી વસ્તુઓ સુવ્યવસ્થીત રીતે ગોઠવવાની ચિંતા સતાવતી રહે છે. તેનો બેડરૂમ, મેઇકઅપનો સામાન, ફીલ્મના સેટ પરની વસ્તુઓ સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની ચિંતા તેને સતાવતી રહે છે તેનો બેડરૂમ, ડ્રોઇંગરૂમ, મેઇકઅપનો સામાન, ફીલ્મના સેટ પરની વસ્તુઓ વગેરે તમામ સુવ્યવસ્થિત રીતે જ ગોઠવાયેલી હોવી જ જોઇએ. તેની તે આગ્રહી છે. જો તેના વાતાવરણમાં કંઇક પણ અસ્ત વ્યસ્ત પડેલું હોય તો તેની ગભરામણ વધી જાય છે.

વિદ્યાબાલન પણ ચોખ્ખાઈની અતિ આગ્રહી છે. કરીના કપુરને તેનું ફીગર ઝીરો રહે તેમાં રસ છે. તેના શરીર પર ચરબી સહેજ પણ ન ચડે તેની તેને ઘણી ચિંતા છે. આ અનિવાર્ય વિચાર દબાણ દૂર કરવા તે સતત કસરત અને ડાયેટીંગ કરતી રહે છે.

ફરહાન અખ્તરે કોફી વીથ કરણના શોમાં કબુલ્યું હતું કે તેની આસપાસ કંઇપણ અસ્તવ્યસ્ત પડેલું જોવા મળે તો તે ઘણો બેચેન બની જાય છે. એક ચેટ શો દરમ્યાન સોફા પર તકીયો બરાબર પડયો ન હતો એ વાતથી પણ તે બેચેન બની ગયો હતો.

આયુષ્યમાન ખુરાના અને સની લીયોન તેમના દાંત અને પગ સ્વચ્છ રાખવાના દુરાગ્રહી છે. જ્યારે અજય દેવગણને તેના હાથ કોઈપણ વસ્તુ ખાવાથી ચીકણા થાય તે પસંદ નથી તેથી હાથ બગડે તેવી વસ્તુ ખાતો નથી અને કાંટા ચમચીથી જ ખાવાનું પસંદ કરે છે.

ફુટબોલનો સુપરસ્ટાર ડેવીડ બેકહેમ મી. પરફેક્ટ હતો. બધુ જ પરફેક્ટ હોવું જ જોઇએ તેવા તેના આ દુરાગ્રહે તેને ઓ.સી.ડી. મનોરોગનો શિકાર બનાવ્યો હતો.

આ સિવાય લીયોનાર્ડો દ કેપ્રીયો, જસ્ટીન ટીમ્બરબેક, મેગન ફેક્સ, ફીઓના એપલ, જેસીકા આલ્બા, મારીયા બેમફોર્ડ જેવી વિશ્વકક્ષાની સેલીબ્રીટી વિચારો અને ક્રિયાઓના આવા વળગણની શિકાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પને પણ તેના હાથમાં ક્યાંય જંતુ ન આવી જાય તેનો ડર સતાવતો હતો. જેથી ટ્રમ્પ લીફ્ટનું બટન ક્યારેય દબાવતા ન હતા.

ઓ.સી.ડી.ની શરૂઆત સામાન્ય રીતે ૧૭થી ૨૦ વર્ષે થાય છે. ઘણા ખરા દર્દીઓમાં શરૂઆતમાં માત્ર અનિવાર્ય પણે નિરર્થક વિચાર આવ્યા કરે છે.

વ્યક્તિના મનમાં એકના એક વિચાર, કલ્પના, આવેગ કે દ્રશ્ય આવ્યા કરે છે. આ વિચાર કંઇક નીચે મુજબ હોય છે.

મારા હાથ ગંદા તો નથી રહી ગયા ને ?

નક્કી કંઇ ખરાબ થઇ જશે.

તાળું બરાબર બંધ કર્યું કે નહીં ?

મારાથી કોઇને ઇજા તો નહીં થઇ જાય ને ?

દેવી દેવતા માટે કે એમની સમક્ષ સેક્સ કરતા હોય તેવા ખરાબ વિચાર.

આવા વિચારો વ્યક્તિની ઇચ્છા વિરૂદ્ધ તેમના મનમાં ઘૂસી જાય છે. આવા વિચારો તેના મનમાં જ ઉદ્ભવેલા છે તેવું દરદી જાણે છે એટલું જ નહીં પણ આવા વિચારો વાહિયાત છે અને ખરેખર આવું કંઇ જ થવાનું નથી તેવું પણ દરદી સમજે છે. છતાં પણ આવા વિચારોને કારણે દરદીને અતિશય ચિંતા, તનાવ કે માનસિક સંતાપ રહે છે. વિચારો દૂર કરવા દરદી ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેને કોઈ પ્રકારની સફળતા મળતી નથી ઉલટાનું વિચારોને દબાવવાની તે જેટલી કોશિષ કરે છે તેટલા તેના વિચારો વધતા જાય છે. આને ઓબ્સેશન કે અનિવાર્ય વિચાર દબાણ કહે છે. આવું દબાણ ઉભું થવાનું કારણ જાણવા જેવું હોય છે.

ન્યુરોગ્રાફ:

તમે કોઇના વિચારોના ઓબ્સેસનનું પાત્ર બની જશો તો તમારા માટે એ ખતરનાક પુરવાર થઇ શકે છે.