સાત સાત મૃત્યુની આ બે ઘટનાઓનો ખલનાયક દારૂ!
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- હું ભાગવા ગયો ત્યારે એક ચડસીએ મારા ખભા પાછળ કંઈક ઝેર જેવું ઈન્જેક્શન મારી દીધું અને બીજા ચડસીએ એક બાટલીમાંથી કંઈક લાલ રંગનું પ્રવાહી હતું, એ મને પકડીને મારા મોઢામાં ઠાલવી દીધું!
- અનુરાગસિંહ-પ્રિયંકા
- પ્રિયંકા-ત્રણેય બાળકો
- વિશાલ પવાર
- અનુરાગસિંહનો બંગલો
આ જની કથા તો દારૂના વ્યસનમાં ડૂબીને બરબાદ થયેલા મહારાષ્ટ્રના એક પોલીસ કોન્સ્ટેબલની લખવાની હતી; પરંતુ એ લખું એ અગાઉ દારૂના જ પાપે બનેલી એક કમકમાટી ઉપજાવતી ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી, એટલે બંને કથા પૈકી ખોફનાક કરૂણાંતિકા પહેલા જોઈએ.
મથુરા પોલીસસ્ટેશનની હદમાં સીતાપુર ગામ. એમાં રહેતો અત્યંત સમૃધ્ધ પરિવાર. ૪૫ વર્ષનો અનુરાગસિંહ ખેતીવાડીમાં બી.એસ.સી. કરીને પોતાની અઢીસો વીઘાથી પણ વધારે જમીનમાં ખેતી કરતો હતો. એની પત્ની પ્રિયંકા(૪૦ વર્ષ) ને લખનૌમાં વીમા કંપનીમાં નોકરી હોવાથી ત્રણેય સંતાન- અસ્વી (૧૨ વર્ષ), અર્ના (૮ વર્ષ) અને પુત્ર અદ્વિક (૪ વર્ષ) ને ત્યાં રાખીને અભ્યાસ કરાવતી હતી. ૬૨ વર્ષની માતા સાવિત્રીદેવી સાથે બધા જલસાથી જીવતા હતા. અનુરાગને છેલ્લા છ મહિનાથી દારૂની ભયાનક લત લાગી હતી અને હવે તો એ સ્થિતિ થઈ હતી કે એ ચોવીસેય કલાક નશામાં રહેતો હતો અને ખેતીવાડીમાં પણ ધ્યાન નહોતો આપતો. માતા અને પત્નીએ એને ખૂબ સમજાવ્યો પણ અનુરાગ નશાનો ગુલામ બની ચૂક્યો હતો. એને દારૂની લત છોડાવવા માટે લખનૌના વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલવાનું સાસુ-વહુએ નક્કી કર્યું અને એમાં અનુરાગની કમાન છટકી. કોઈ પણ સંજોગોમાં એ લખનૌ જવા તૈયાર નહોતો, પરંતુ પત્ની અને માતા-બંને એને ત્યાં મોકલવા માટે મક્કમ હતા.
શુક્રવાર, તારીખ ૧૦-૫-૨૦૨૪ પ્રિયંકા ત્રણેય બાળકોને લઈને સીતાપુર આવી હતી. એ રાત્રે આ મુદ્દે શરૂ થયેલો ઝઘડો એટલો બધો વધી ગયો કે અવાજ સાંભળીને ગામલોકોએ ત્યાં આવીને બધાને શાંત પાડયા. રાત્રે એકાદ વાગ્યે ગામલોકો તો જતા રહ્યા પણ અનુરાગ પોતાના ઓરડામાં બાટલી લઈને જ બેસી રહ્યો હતો. શનિવાર તારીખ ૧૧-૫-૨૦૨૪ ની પરોઢે આખો પરિવાર ઊંઘતો હતો, ત્યારે નશામાં ચકચૂર અનુરાગે ખૂની ખેલ પાડયો. માતાના કપાળમાં ગોળી મારી, પત્નીની છાતીમાં ગોળી તો મારી, પણ એ જીવતી ના રહે એ માટે હથોડાથી એનું માથું પણ છૂંદી નાખ્યું, ત્રણેય બાળકોને ગોળી મારી અને ધાબા ઉપરથી એ ત્રણેયને નીચે ફેંક્યા! ગોળીબારના અવાજથી ગામલોકો દોડી આવ્યા હતા. પાંચ હત્યા કર્યા પછી ગામલોકોની નજર સામે અનુરાગે પોતાના કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી! અનુરાગ એના મોટાભાઈને મારવા પણ ધસેલો, પરંતુ એમણે એક ઓરડામાં સંતાઈને જીવ બચાવ્યો. અનુરાગના મગજનું ઠેકાણું નહોતું એવી પોલીસની ધારણા છે, પરંતુ ગામલોકો માને છે કે અનુરાગ તદ્દન સ્વસ્થ હતો. પોલીસ તપાસ હજુ ચાલુ છે. દારૂના પાપે એક સાથે છ મૃત્યુ થયા અને આખો પરિવાર ખતમ થઈ ગયો!
હવે વાત મહારાષ્ટ્રના પોલીસ કોન્સ્ટેબલ વિશાલ રમેશ પવારની. વિશાલે બારમું ધોરણ પાસ કરીને ૨૦૧૯ માં મહારાષ્ટ્ર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી હતી. અત્યારે ત્રીસ વર્ષના વિશાલનું પોસ્ટિંગ વરલી લોકલ આર્મ્સ ડિવિઝન-૩ માં હતું અને ભાયખલ્લામાં જમિલ ખતલામમાં ગાર્ડ તરીકે એની નાઈટ ડયુટી હતી.
વિશાલનું ઘર થાણેમાં હતું. ઘેરથી નોકરી પર જવા માટે એ દરરોજ લોકલ ેટ્રેનમાં જતો હતો. તારીખ ૨૭-૪-૨૦૨૪ ની સાંજે એ નોકરી પર જવા નીકળ્યો હતો. તારીખ ૨૯-૪-૨૦૨૪ ની સવારે એ ઘેર આવ્યો ત્યારે એની હાલત ખરાબ હતી. વારંવાર ઉલટી થતી હતી અને માથામાં અસહ્ય દુખાવો થતો હતો. એની દશા જોઈને એની પત્ની ગભરાઈ ગઈ. એણે નજીક રહેતા વિશાલના મોટાભાઈ નીલેશને બોલાવ્યા. નીલેશ આવ્યો એટલે સાવ નંખાયેલી હાલતમાં વિશાલે કહ્યું કે મને તાત્કાલિક દવાખાને લઈ જા. નીલેશ એને થાણેની સિવિલ હોસ્પિટલમાં લઈ જતો હતો ત્યારે રિક્ષામાંથી જ વિશાલે થાણેના કોપારી પોલીસસ્ટેશને ફોન કરીને ઈન્સ્પેક્ટરને કહ્યું કે મારે ફરિયાદ નોંધાવવાની છે, તમે હોસ્પિટલમાં આવો.
એમની ટીમ સાથે ઈન્સ્પેક્ટર સિવિલ હોસ્પિટલમાં આવ્યા. એ અગાઉ ડાક્ટરોએ વિશાલને તપાસી લીધો હતો. પ્રાથમિક તપાસમાં વિશાલને લૂ લાગી હશે એવું લાગેલું એટલે ડૉક્ટરોએ એને લૂ માટેના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી દીધો હતો.
પોલીસની ટીમ વિશાલ પાસે પહોંચી ત્યારે વિશાલે ઢીલા અવાજે પોતાની આપવીતી કહી. એણે નોંધાવેલી ફરિયાદ આ મુજબ હતી.
'તારીખ ૨૭-૪-૨૦૨૪ ની રાત્રે મારી નાઈટ ગાર્ડડયુટી હોવાથી હું ઘેરથી નીકળીને રોજની જેમ લોકલ ટ્રેનમાં ભાયખલ્લા જતો હતો. ભીડ અને ગરમીને લીધે હું ડબ્બાના બારણાં પાસે જ ઊભો રહ્યો હતો. સાયન સ્ટેશન પસાર થઈ ગયા પછી સાયન અને માટુંગા વચ્ચે ટ્રેન સાવ ધીમી પડી ત્યારે હું મારા એક મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતો હતો. એ જ વખતે નીચે પાટા પાસે ઊભેલા એક યુવાને મારા હાથ પર એકદમ જોરથી લાકડીનો ફટકો માર્યો એટલે મારા હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. ફટકા ગેંગનો એ ગુંડો મારો મોબાઈલ લઈને ભાગ્યો. ટ્રેનની ગતિ હજુ ધીમી હતી એટલે હું પણ કૂદકો મારીને નીચે ઊતર્યો અને એ ગુંડાની પાછળ દોડયો. થોડે દૂર મેં એને પકડયો, પણ એ સમયે એની સાથે ચારેક ડ્રગના બંધાણી યુવાનો હતા. એ લોકોએ મને પકડી લીધો. મારા ખિસ્સામાં હતા એ બધા પૈસા પણ લૂંટી લીધા. એ પછી એમની ચુંગાલમાંથી છૂટીને હું ભાગવા ગયો ત્યારે એક ચડસીએ મારા ખભા પાછળ કંઈક ઝેર જેવું ઈન્જેક્શન મારી દીધું અને બીજા ચડસીએ એક બાટલીમાંથી કંઈક લાલ રંગનું પ્રવાહી હતું, એ મને પકડીને મારા મોઢામાં ઠાલવી દીધું! એ પછી મને કંઈ ભાન ના રહ્યું અને હું ત્યાં જ ફસડાઈ પડયો. મારો મોબાઈલ અને બધા પૈસા લઈને ફટકા ગેંગના બધા ગુંડાઓ ભાગી ગયા! હું તો બેભાન અવસ્થામાં પાંચ-છ કલાક ત્યાં જ પડયો રહ્યો. કોઈએ મને કંઈ મદદ ના કરી. હોશમાં આવ્યા પછી જેમ તેમ કરીને માટુંગા સ્ટેશને પહોંચ્યો અને ટ્રેન શરૂ થાય એની રાહ જોઈને બેસી રહ્યો. પરોઢિયે ટ્રેન ચાલુ થઈ એટલે ઘેર પહોંચ્યો, પણ સખત માથું દુખતું હતું અને વારંવાર વોમિટ થતી હતીત એટલે મારો ભાઈ મને હોસ્પિટલમાં લાવ્યો. એ ગુંડાઓએ ઝેરનું ઈન્જેક્શન આપ્યું છે, એટલે હવે ભગવાન મને બચાવી લે તો સારું!'
આવી રીતે ફટકા ગેંગ એક પોલીસ કોન્સ્ટેબલને લૂંટી લે અને ઝેરનું ઈન્જેક્શન મારી દે- એ કઈ રીતે ચાલે? કોપારી પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરે તરત જ ફરિયાદ રજિસ્ટર કરી. ૈંઁભ ૩૯૨ (લૂંટ), ૩૯૪ (લૂંટ સાથે ઈજા પહોંચાડવી) અને ૩૨૮ (વિષયુક્ત પદાર્થના ઉપયોગથી નુકસાન પહોંચાડવું)-આ ત્રણેય કલમ લગાવીને આખો કેસ દાદર (ય્ઇઁ) ગવર્મેન્ટ રેલ્વે પોલીસને ટ્રાન્સફર કર્યો. ફટકા ગેંગના ગુંડાઓએ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે આવી દાદાગીરી કરી એ જાણીને ય્ઇઁ પોલીસ કમિશ્નર રવીન્દ્ર શિષ્ને ચોંકી ઉઠયા. એમણે એસીપી સુનિલ ગાંવકર અને સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ કદમને બોલાવીને તાકીદ કરી કે તમારા જવાનોને સાથે રાખીને વહેલી તકે એ ગુંડાઓને પકડી પાડો.
આ તરફ હોસ્પિટલમાં વિશાલની તબિયત લથડી. બે મહિના અગાઉ એને કમળો થઈ ગયેલો, એમાંથી એ માંડ માંડ બચેલો, પરંતુ અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી, ડૉક્ટરો એને બચાવવા મહેનત કરી રહ્યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહોતો થતો. પેશાબ અટકી ગયેલો એટલે કે કીડની ફેઈલ થઈ ચૂકી અને ધીમે ધીમે મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરની નોબત આવી અને એને લીધે કાર્ડિયાક એરેસ્ટને લીધે બુધવાર, તારીખ ૧-૫-૨૦૨૪ ના દિવસે વિશાલનું મૃત્યુ થયું!
વિશાલના મૃત્યુના સમાચાર જાહેર થયા એટલે મુંબઈમાં સોશિયલ મીડિયા પર સહાનુભૂતિનું પૂર આવ્યું! ફટકા ગેંગના ગુંડાઓ આવી રીતે ત્રીસ વર્ષના જવાંમર્દ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરે, તો પછી સામાન્ય પ્રજાનું તો શું થશે?... વિશાલ પવારની હત્યા ચાલુ નોકરી દરમ્યાન થઈ છે એટલે એના પરિવારને સરકારે પૂરતી આર્થિક સહાય આપવી જોઈએ!... ફટકા ગેંગના ગુંડાઓની હિંમત આટલી વધી ગઈ છે એટલે પોલીસે એમને પાઠ ભણાવવો જોઈએ... જવાંમર્દ પોલીસ વિશાલ પવારને શ્રધ્ધાંજલિ... એના લાચાર ફેમિલીને મદદ મળવી જોઈએ... ફટકા ગેંગને નેસ્તનાબૂદ કરવા પોલીસ આકરાં પગલાં ક્યારે લેશે? - આવા તો જાતજાતના મેસેજ વાયરલ થયા.
દાદર (ય્ઇઁ) ગવર્મેન્ટ રેલ્વે પોલીસે ફરિયાદમાં એક વધારે કલમ ૩૦૨ (હત્યા) લગાવી. એસીપી સુનિલ ગાંવકર અને સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ કદમ પોતાની ટીમ સાથે સતત દોડધામ કરી રહ્યા હતા.
તારીખ ૪-૫-૨૦૨૪ ના દિવસે દાદર (ય્ઇઁ) ગવર્મેન્ટ રેલ્વે પોલીસના પોલીસ કમિશ્નર રવીન્દ્ર શિષ્નેએ પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપી એ સાંભળીને તમામ મીડિયા કર્મીઓ ચોંકી ઉઠયા. પોલીસ અધિકારીએ કહ્યું કે વિશાલ પવારે ફટકા ગેંગ દ્વારા લૂંટ અને ઈન્જેક્શન મારવાની જે વાત કહેલી, એ સાવ ખોટી છે, એણે આ આખી વાર્તા ઉપજાવી કાઢેલી હતી! વિશાલની ફરિયાદ પછી અમારા અધિકારીઓએ ગુનેગારોને પકડવા માટે ખૂબ મહેનત કરી, પરંતુ ગુનો બન્યો જ નહોતો, એટલે ગુનેગારો ક્યાંથી પકડાય? અલબત્ત, એમની કામગીરી દરમ્યાન એમને વિશાલ પવારનું ભોપાળું જડી ગયું!
વિશાલ આલ્કોહોલિક બની ગયો હતો અને એના સહકર્મચારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે એ સતત નશામાં જ રહેતો હતો. અમારા અધિકારીઓએ તમામ વિસ્તારના -ખાસ કરીને દારૂની દુકાનની આસપાસના-અને રેલ્વે સ્ટેશન્સના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા એમાંથી આ ભાંડો ફૂટયો. વિશાલે સત્યાવીસમી તારીખે રાત્રે લૂંટની ઘટના બનેલી એવું કહેલું, પરંતુ એ રાત્રે વિશાલ દાદર (ઈસ્ટ)ના એક બારમાં ગયેલો. ત્યાં દારૂ પીધા પછી એ દાદરથી પરેલ રેલ્વે સ્ટેશન સુધી ચાલતો આવ્યો અને પરેલ સ્ટેશનના એક બાંકડા ઉપર જ આખી રાત સૂઈ રહેલો. સવારે ટ્રેનમાં એ પરેલથી માટુંગા ગયો. માટુંગાના સાંઈ કન્ટ્રી બારના સીસીટીવીમાં સવારે દસ વાગીને સાત મિનિટે વિશાલ દેખાયેલો એટલે અમે બારમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે વિશાલ એ બારમાં તો ગયેલો, પણ દારૂ ખરીદવાના પૈસા નહોતા, એટલે બાજુની એક દુકાનમાં જઈને એણે એની આંગળીમાં પહેરેલી ચાંદીની વીંટી વેચી નાખી અને એ પૈસા લઈને ફરીથી બારમાં આવ્યો અને દારૂ પીધો! એ પછી થાણે એના એક ભત્રીજાને ત્યાં ગયો અને એને સાથે લઈને બારમાં ગયો અને ત્યાં દારૂ પીધા પછી ઘેર ગયેલો!
એણે મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે એવી ફરિયાદ કરેલી, પણ એ સમય પછી એના મોબાઈલમાંથી એણે સોળ ફોન કરેલા છે-એ પણ અમારી જાણમાં આવી ગયેલું.
વિશાલ પવારે લૂંટ અને ઝેરના ઈન્જેક્શનની વાર્તા શા માટે બનાવી? એ અંગે પોલીસ અધિકારીએ પોતાની તર્કસંગત ધારણા જણાવી. વિશાલે એક બૅન્કમાંથી પાંચ લાખની પર્સનલ લોન લીધેલી એનું પણ એને ટેન્શન હતું.
છેલ્લા એક વર્ષના એના બન્કના વ્યવહારો અમે ચકાસ્યા તો મોટા ભાગનું પેમેન્ટ દારૂનું દુકાનોમાં જ થયું હતું. બે મહિના અગાઉ એને કમળો થયેલો, એમાંથી એ બચી ગયેલો પણ એ વખતે ડૉક્ટરે એને કહેલું કે તારા લિવરમાં તકલીફ છે, જો જીવતા રહેવું હોય તો દારૂ છોડી દેજે! ડૉક્ટરની એ તાકીદ યાદ હતી, એ છતાં વિશાલ દારૂ છોડી શકતો નહોતો. છેલ્લા પંદરેક દિવસથી એની તબિયત લથડેલી, પરંતુ એણે કોઈને જણાવ્યું નહોતું. એના રંગઢંગ ઉપરથી એની પત્નીને એવી શંકા પડેલી. એ બાપડીએ ચિંતાતુર થઈને વિશાલને પૂછેલું કે તમારી તબિયત તો ઠીક છેને? તમને કંઈ થાય છે? પણ વિશાલે હસીને એને કહેલું કે આઈ એમ ઓલરાઈટ. વિશાલને ખુદને પણ પોતાના મોતનો અણસાર આવી ગયેલો. પોતે દારૂ કેટલો પીતો હતો અને એનું પરિણામ શું આવશે એની વિશાલને જાણ હતી. છેલ્લા ચાર-પાંચ દિવસમાં શારીરિક તકલીફો વધી ગઈ, એટલે એને અંદાજ આવી ગયો કે હવે થોડા સમયમાં મરવાનું નક્કી જ છે.
વધારે પડતા દારૂના સેવનથી મોત-આવા કારણથી મરી જવાય તો સમાજમાં આખા કુટુંબની બદનામી થાય. એ ઉપરાંત ચાલુ નોકરી દરમ્યાન અવસાન થાય ત્યારે દરેક પોલીસકર્મીને રહેમરાહે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. વિશાલના મનમાં એક બીક હતી કે હું જો દારૂને લીધે મરીશ, તો સરકાર મારા પરિવારને મદદ નહીં કરે. એ માટે એણે લૂંટની ખોટી વાર્તા બનાવીને જણાવ્યું કે મને કોઈ વિચિત્ર ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું છે!
પોલીસ અધિકારીએ છેલ્લે ઉમેર્યું કે વિશાલ હોંશિયાર હતો અને આલ્કોહોલિક બની ગયો એ અગાઉ એ પૂરી નિા અને ઈમાનદારીથી ફરજ બજાવતો હતો. દારૂની લતમાં બરબાદ થઈને આવા હોનહાર યુવાને પોતાની જિંદગી હોમી દીધી એનું અમને પણ દુઃખ છે. કાયદા અનુસાર એના પરિવારને જે રકમ મળવાપાત્ર હશે, એ વહેલામાં વહેલી તકે ચૂકવાય એ માટે અમે પ્રયત્ન કરીશું.
'દારૂડિયો દારૂને શું પીવાનો? દારૂ જ દારૂડિયાને પી જાય છે!' આપણા રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા આ સુત્ર અગાઉ ઠેકઠેકાણે જોવા મળતું હતું. ઉત્તરપ્રદેશના અનુરાગસિંહ અને મહારાષ્ટ્રના વિશાલ પવારે એ સુત્રની સચ્ચાઈ સાબિત કરી આપી!
(આ છપાઈ રહ્યું છે ત્યારે દારૂડિયા વિશાલ પવારની કથાના પ્રારંભમાં ઉત્તરપ્રદેશના સીતાપુરની અનુરાગસિંહ અને એના પરિવારની-પાંચ હત્યા-એક આત્મહત્યાની ટૂંકમાં લખાયેલી કરૂણાંતિકાની પોલીસ તપાસમાં, એક અણધાર્યો વળાંક હમણાં જ આવ્યો છે; એટલે એ કમકમાટીભરી કથા આવતા બુધવારે વિગતવાર વાંચવા મળશે.)