Get The App

સંસ્કારી સ્વમાની અંકિતા ક્યાં ગુમ થઈ ?

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સંસ્કારી સ્વમાની અંકિતા ક્યાં ગુમ થઈ ? 1 - image


- ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક

- લોકો દ્વારા અનેક વાર પૂછાયેલા એક સવાલનો જવાબ રીતસર ગૂપચાવી દેવામાં આવ્યો છે. ક્યા વી.વી.આઈ.પી. મહેમાનની 'સ્પેશિયલ સેવા' માટે અંકિતા પર ટોર્ચરિંગ કરવામાં આવ્યું

તારીખ ૩૦-૫-૨૦૨૫, શુક્રવારે આખા ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તેજના હતી. હરિદ્વારથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા કોટદ્વારની જિલ્લા અદાલતની બહાર સવારથી જ બંદોબસ્ત માટે સાતસોથી વધારે પોલીસ કર્મીઓ ગોઠવાઈ ચૂક્યા હતા. રસ્તાઓ પણ બ્લોક કરી દેવાયા હતા અને વકીલો સિવાય અદાલત પરિસરમાં પ્રવેશવાની કોઈનેય છૂટ નહોતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રીના નેગીનો ચુકાદો સાંભળવા માટે હજારો લોકોની ભીડ આતુરતાથી બહાર રસ્તા ઉપર ભેગી થયેલી હતી. કોર્ટની સ્થાપના થયા પછી આજ સુધીમાં આવી ભીડ અગાઉ ક્યારેય જોવા નહોતી મળી.

આ આખી ઘટના વિગતવાર જોઈએ. પૌડી ગઢવાલ જિલ્લાનું નાનકડું ગામ ડોભ શ્રીકોટ. આ ગામમાં રહેતા વીરેન્દ્રસિંહ ભંડારી અને સોનીદેવીને સંતાનમાં એક પુત્ર હતો. એ પછી એક દીકરીનો જન્મ થયો ત્યારે આ દંપતીની ખુશીઓનો પાર નહોતો. નાનકડી ઢીંગલી જેવી દીકરીનું નામ રાખ્યું અંકિતા, પરંતુ પિતા તો એને પોતાની ખુશીઓની સાક્ષી જ માનતા હતા એટલે એ અંકિતાને બદલે એને સાક્ષી કહીને જ બોલાવતા હતા. ભણવામાં અત્યંત હોંશિયાર સાક્ષીએ બારમા ધોરણમાં નેવ્યાસી ટકા મેળવ્યા, પરંતુ એ પછી આગળ અભ્યાસ કરવાની ગામમાં તો કોઈ સગવડ નહોતી. પરિવારની નબળી આર્થિક સ્થિતિનો અંકિતાને ખ્યાલ હતો. એને લીધે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીને સારી નોકરી મેળવીને પરિવારને મદદરૂપ થવાની અંકિતાની ભાવના હતી. દહેરાદૂનમાં હોટલ મેનેજમેન્ટ માટેની પ્રતિષ્ઠિત કૉલેજ હતી. દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે પિતાએ દહેરાદૂનમાં રહેતા એક સગાને વિનંતિ કરી. એમણે અંકિતાને પોતાને ત્યાં રહેવા-જમવાની સગવડ આપવાની ખાતરી આપી. કાલેજની ફી માટે વીરેન્દ્રસિંહે ઉછીના પૈસાની જોગવાઈ પણ કરી અને આ રીતે અંકિતા દહેરાદૂન પહોંચી ગઈ.

જે સગાને ત્યાં અંકિતા રહેતી હતી, એમણે સગી દીકરીની જેમ અંકિતાને સાચવી લીધી. બે વર્ષ સુધી ફી ભર્યા પછી વીરેન્દ્રસિંહના આંટા આવી ચૂક્યા હતા. ત્રીજા વર્ષની ફી માટેની જોગવાઈ કરવાનું એમના માટે કોઈ કાળે શક્ય નહોતું. એમણે ઢીલા અવાજે દીકરીને પોતાની મજબૂરી સમજાવી. સહેજ પણ કચવાટ વગર પિતાની વાત સ્વીકારીને અંકિતા પાછી ઘેર આવી ગઈ અને મા-બાપને કહ્યું કે આ બે વર્ષના અભ્યાસના આધારે જ હું કોઈ નોકરી શોધી કાઢીશ. પૈસા કમાઈને પરિવારને મદદ કરવાનું ઝનૂન હતું એટલે અંકિતાએ જુદી જુદી હોટલોની જાહેરાત જોઈને નોકરી માટે અરજી કરવાનું શરૂ કરી દીધું.

એની મહેનત ફળી. ઋષિકેશ પાસે યમકેશ્વર વિસ્તારમાં આવેલા વનંતરા રિસોર્ટમાંથી જવાબ આવ્યો કે અમારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાની ઈચ્છા હોય તો તાત્કાલિક આવી જાવ. આખા પરિવારમાં આનંદ તો છવાયો, પણ ઓગણીસ વર્ષની દીકરીને ઘરથી દૂર સાવ અજાણ્યા સ્થળે નોકરી કરવા જવું પડશે -એની મા-બાપને ચિંતા હતી. અંકિતાએ આત્મવિશ્વાસથી એમને ધરપત આપી કે મને કોઈ વાંધો નહીં આવે.

તારીખ ૨૮-૮-૨૦૨૨ના દિવસે વીરેન્દ્રસિંહ દીકરીને રિસોર્ટ સુધી મૂકવા આવ્યા અને અંકિતાની નોકરી એ દિવસથી શરૂ થઈ. આ વનંતરા રિસોર્ટના માલિકનું નામ પુલકિત આર્ય. પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય ભાજપના મોટા ગજાના નેતા. એમનો રાજ્યકક્ષાના પ્રધાનનો મોભાદાર હોદ્દો હતો. પુલકિતનો ભાઈ પણ ભાજપનો અગ્રણી કાર્યકર હોવાથી એક સરકારી કોર્પોરેશનમાં વગદાર હોદ્દો ધરાવતો હતો.

દહેરાદૂનમાં અભ્યાસ દરમ્યાન પોતાના જેવી જ આર્થિક સ્થિતિ ધરાવતા જમ્મુના એક યુવાન સાથે અંકિતાને મૈત્રી થઈ ચૂકી હતી. એ યુવાનનું નામ પુષ્પદીપ. બંને એકબીજાની સાથે નિખાલસતાથી વાત કરતા હતા. પોતાને અહીં રિસોર્ટમાં નોકરી મળી ગઈ છે એની જાણ અંકિતાએ પુષ્પદીપને વોટસેપ મેસેજથી કરી હતી. પુષ્પદીપે એને અભિનંદન આપીને પોતાની શોધ હજુ ચાલુ છે એમ જણાવ્યું હતું. એ પછી રિસોર્ટની અમુક વાતો જે પોતાના મા-બાપને જણાવી ના શકાય એ તમામ વાતો અંકિતા પુષ્પદીપ સાથે વોટસેપથી કરતી હતી.

તારીખ ૧૭-૯-૨૦૨૨ અંકિતાએ પુષ્પદીપને મેસેજ કર્યો કે 'આ રિસોર્ટ ખૂબ ગંદો છે અને હું અહીંથી છૂટવા માગું છું. અહીં કોઈ વી.વી.આઈ.પી. મહેમાન આવવાના છે અને મારા પર દબાણ કરવામાં આવે છે કે મારે એ મહેમાનને  'સ્પેશિયલ સેવા' આપવી પડશે. 'ચોંકી ઉઠેલા પુલકિતે તરત પૂછયું. 'સ્પેશિયલ સેવા' એટલે- સેક્સ?' અંકિતાએ હકારમાં જવાબ આપીને લખ્યું. 'હું ગરીબ છું એટલે પૈસા આપીને એ લોકો મને ** બનાવવા માગે છે!' એ પછી અંકિતાએ લખ્યું. 'અહીંનો માલિક પુલકિત આર્ય, એનો અંગત આસિસ્ટન્ટ અંકિત ગુપ્તા અને મેનેજર સૌરભ ભાસ્કર- એ ત્રણેય આ કામ માટે મારા પર ભયાનક ટોર્ચરિંગ કરે છે. આવા કામ માટે હું હરગીઝ તૈયાર નથી, એવા મારા સંસ્કાર પણ નથી. મને મારી સલામતીની ચિંતા છે એટલે હું આજે જ આ રિસોર્ટ છોડીને પાછી ઘેર જતી રહેવાની છું.' પુષ્પદીપે લખ્યું. 'તારો નિર્ણય સાચો છે. તાત્કાલિક ત્યાંથી નીકળી જા. કોઈ તકલીફ હોય કે મારે લાયક કોઈ કામ હોય તો વિના સંકોચે જણાવજે. જલ્દી ભાગી જા!'

તારીખ ૧૯-૯-૨૦૨૨ સવારે પુલકિત આર્ય રિસોર્ટના નજીકના પોલીસસ્ટેશને પહોંચ્યો અને એણે ફરિયાદ નોંધાવી કે વીસેક દિવસ અગાઉ અમે નવી રિસેપ્શનિસ્ટની નિમણૂંક કરી હતી, એ ઓગણીસ વર્ષની અંકિતા ભંડારી ગઈ કાલ સાંજથી ગૂમ થઈ ગઈ છે! પોલીસે ફોટો અને વર્ણન લઈને ફરિયાદ નોંધીને પૂછયું કે એ છોકરી રિસોર્ટમાં ધાપ મારીને તો નથી ભાગીને? પુલકિતે કહ્યું કે એવું કંઈ નથી. રાજ્યકક્ષાના મંત્રીના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી એટલે સિનિયર ઈન્સ્પેક્ટર મનોહરસિંહ રાવતે તપાસ શરૂ કરી.

આ સમાચાર જાણીને પુષ્પદીપે મિત્ર તરીકે ખૂબ મહત્વની ફરજ બજાવી. એ તરત જ દોડી આવ્યો અને એણે અંકિતાએ કરેલા વોટસેપ મેસેજ મનોહરસિંહ રાવતને બતાવીને કહ્યું કે અંકિતાને ગૂમ કરવામાં આ ત્રણનો જ હાથ છે. એ મેસેજીસની ચોકસાઈની ખાતરી કર્યા પછી મનોહરસિંહે સમય બગાડયા વગર કે રાજકીય દબાણની પરવા કર્યા વિના એ ત્રણેયની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી.

આકરી પૂછપરછમાં પુલકિતે કબૂલ કર્યું કે અઢારમી તારીખે હું, અંકિત અને સૌરભ અંકિતાને સાથે લઈને રિસોર્ટ માટે ખરીદી કરવા માટે ઋષિકેશ ગયા હતા. પાછા વળતી વખતે રાત્રે નવ વાગ્યે ગંગાની ચીલા નહેર પાસે અમે ઊભા હતા, ત્યારે મજાકમસ્તીમાં અંકિતાએ મારો મોબાઈલ નહેરમાં ફેંકી દેવાની કોશીશ કરી, એમાં એનો પગ લપસ્યો અને એ નહેરમાં પડી ગઈ. અમે એને બચાવવા ખૂબ મથ્યા, પણ એ નહેરમાં તણાઈ ગઈ!

એના આ નિવેદન પછી જનઆક્રોશ ફાટી નીકળ્યો. બાવીસમી તારીખે પોલીસ આ ત્રણેય જણને ઘટનાસ્થળે લઈ જવાની હતી એ સમાચારની સમય સાથેની જાણકારી કોઈકે વોટસેપ ગૃપમાં વહેતી મૂકી એટલે ઋષિકેશના સ્થાનિકો, ટિહરી ગઢવાલ અને પૌડી ગઢવાલના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. અંકિતા તો અમારી દીકરી હતી અને એને ગૂમ કરનારા આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાને બદલે અમને સોંપી દો- અમે ન્યાય કરીશું-એવો જબરજસ્ત ઉશ્કેરાટ ભીડમાં હતો. દસેક કોન્સ્ટેબલ સાથે પોલીસની ટીમ એ ત્રણેય આરોપીઓને લઈને ત્યાં આવી, ત્યારે લોકોનો આક્રોશ જોઈને ઈન્સ્પેક્ટરે તાબડતોબ ફોનાફોની કરીને આખા જિલ્લાના તમામ પોલીસસ્ટેશનોમાંથી વધારાનો ફોર્સ મંગાવી લીધો. પથ્થરમારો કરીને જીપના કાચ ફોડી નાખ્યા હતા. ત્રણેયના રક્ષણ માટે જીપના બારણાં બંધ રાખીને એની આસપાસ ચાલીસ પોલીસો ગોઠવાયા હતા, એ છતાં, લોકોનો આક્રોશ એવો હતો કે આખી જીપને ઊંચકીને નહેરમાં ધકેલી દેવા આખું ટોળું મચી પડયું હતું. મહામુશ્કેલીએ પોલીસે લાઠીચાર્જ કરીને જીપ માટે રસ્તો કર્યો અને ત્રણેયને કોર્ટમાં લઈ જવામાં આવેલા. એ પછી વિફરેલું ટોળું સીધું જ રિસોર્ટ ઉપર પહોંચ્યું અને ત્યાં તોડફોડ કરી.

અંકિતાની શોધ માટે પોલીસે તપાસ કરી ત્યારે તારીખ ૨૫-૯-૨૦૨૨ના દિવસે ચૌદ કિલોમીટર દૂર નહેરમાંથી અંકિતાની લાશ મળી. આખા ઉત્તરાખંડમાં પ્રચંડ લોકજુવાળ હતો. અંકિતાને ન્યાય માટે રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓના દેખાવો-રેલીઓ ચાલુ જ હતી. એ રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો, એટલે ભાજપે વિનોદ આર્ય અને તેના દીકરાને પક્ષમાંથી હાંકી કાઢયા.

પોલીસ માટે હવેનું કામ કસોટીરૂપ હતું. હત્યાને નજરે જોનાર કોઈ સાક્ષી નહોતું. રિસોર્ટનો સ્ટાફ પોલીસને ઊંધા રવાડે ચડાવતો હતો. રિસોર્ટના સીસીટીવી કેમેરાનો તમામ રેકોર્ડિંગ નષ્ટ કરી દેવાયું હતું. આ ઉપરાંત આરોપીઓને રાજકીય પીઠબળ હતું. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને એમણે સતત મહેનત કરીને ચાલીસ હજાર મોબાઈલ રેકોર્ડિંગ અને આઠસો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી. સોળમી ડિસેમ્બરે પાંચસોથી પણ વધારે પાનાંની ચાર્જશીટ અને સત્તાણું સાક્ષીઓના યાદી સાથે કે અંકિતા હત્યા કેસ અદાલતમાં દાખલ થયો.

આરોપીઓના વકીલોની દલીલ એ હતી કે રાત્રે નવ વાગ્યે અંકિતા નહેરમાં લપસી પડી હતી અને એ સમયે ચંદ્રના કુદરતી પ્રકાશમાં આ ત્રણેય જણાએ એને બચાવવા માટે જહેમત પણ ઉઠાવી હતી. એઈમ્સના નિષ્ણાત ડૉક્ટરોની ટીમે અંકિતાનું પોસ્ટમોર્ટમ કરેલું અને ક્રાઈમ સીનની વિઝિટ પણ કરેલી. એમણે રિપોર્ટમાં સ્પષ્ટ જણાવેલું કે ઘટનાસ્થળે લપસી પડાય એવી કોઈ જગ્યા નથી, અને અંકિતા લપસી નથી પડી, એને ઊંચકીને નહેરમાં ફેંકવામાં આવી હતી! પોલીસે ભઇઁભ ધારા ૯૧ મુજબ કલકત્તાની કેન્દ્રિય વેધશાળામાં ઈમેઈલ કરીને પૂછાવેલું, એના જવાબમાં ત્યાંથી ઈમેઈલ આવ્યો. એમાં જણાવાયું કે એ તારીખે કૃષ્ણપક્ષની આઠમ હોવાથી ઘટનાસ્થળે ચંદ્રનો ઉદય રાત્રે અગિયાર વાગ્યે જ થાય, એટલે રાત્રે નવ વાગ્યે કુદરતી પ્રકાશની દલીલ સાવ ખોટી છે!

બત્રીસ મહિના સુધી સામસામી દલીલો પછી તારીખ ૧૯-૫-૨૦૨૫ના દિવસે સુનાવણી પૂરી થઈ અને ચુકાદાની તારીખ ૩૦-૫-૨૦૨૫ નક્કી થઈ. 

પહેલા ફકરામાં લખ્યું છે એ મુજબ એ દિવસે કોટદ્વારની અદાલત પાસે અભૂતપૂર્વ ભીડ અને જડબેસલાક સલામતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રીના નેગીએ ત્રણેય આરોપીઓને ૩૦૨ (હત્યા), ૨૦૧ (પુરાવાનો નાશ), ૩૫૪ એ (યૌન ઉત્પીડન અપરાંત અનૈતિક વ્યાપાર રોકથામ અધિનિયમ મુજબ દોષિત જાહેર કરીને સખત આજીવન કેદની સજા ફરમાવી! આ ઉપરાંત પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો. અંકિતા ભંડારીના પરિવારને વળતર તરીકે ચાર લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી.

ધ્રસકે ધ્રૂસકે રડતી અંકિતાની માતા સોનીદેવીને આ ચુકાદાથી સંતોષ નથી. એમણે કહ્યું કે મારી માસુમ દીકરીની આવા કારણથી- આવી રીતે હત્યા કરનાર નરાધમોને ફાંસી જ થવી જોઈએ. અમે એ માટે ઉપલી અદાલતમાં કેસ કરીશું.

બાપડી અંકિતાએ એ સાંજે પોતાના તમામ કપડાં અને સર્ટિફિકેટસ્ બેગમાં ભરીને ઘેર જવાની તૈયારી કરી હતી. બેગ વજનદાર હોવાથી એણે રિસોર્ટના એક કર્મચારીને વિનંતિ કરી કે ભાઈ, મારી આ બેગ લઈને મને બહાર રોડ સુધી મૂકવા આવ. એ વખતે પુલકિતે એ માણસને બીજા એક કામે વળગાડીને અંકિતાને કહ્યું કે આપણે સાંજે ખરીદી કરવા ઋષિકેશ જવાનું છે, એટલે તું કાલે જજે. પુલકિત આર્ય, અંકિત ગુપ્તા અને સૌરભ ભાસ્કરે સાથે મળીને નક્કી કરી લીધું કે જો આ છોકરી બહાર જઈને આપણી 'સ્પેશિયલ સેવા'નો ભાંડો ફોડશે, તો ઉપાધિ થશે, માટે એને કાયમ માટે મૂંગી જ કરી દેવી પડશે! આ રીતે એમણે હત્યાનો પ્લાન બનાવીને અંકિતાને નહેરમાં ફેંકી દીધી હતી.

આ આખાય કેસમાં કોયડારૂપ એક જ મુદ્દો છે. પોલીસે ખંતથી તપાસ કરી, સીટે પણ જહેમત ઉઠાવી- એ છતાં લોકો દ્વારા અનેક વાર પૂછાયેલા એક સવાલનો જવાબ રીતસર ગૂપચાવી દેવામાં આવ્યો છે. ક્યા વી.વી.આઈ.પી. મહેમાનની 'સ્પેશિયલ સેવા' માટે અંકિતા પર ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને એ રહસ્ય ખૂલે નહીં એ માટે એની હત્યા કરવામાં આવી! એ વી.વી.આઈ.પી. મહેમાનની ઓળખ શા માટે હજુ સુધી ગુપ્ત જ રાખવામાં આવી છે?

એક આશાસ્પદ સ્વમાની યુવતી હવસખોર હરામીઓની ચુંગાલમાં ફસાઈ અને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામી! 

પુલકિતના પિતા (૬૫ વર્ષના) વિનોદ આર્યને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યા, એ પછી એમની પણ ઉપાધિ વધી છે. એમના ચોવીસ વર્ષના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ કરી છે કે મને મારી નાખવાની ધમકી આપીને વિનોદશેઠ મારી સાથે અપ્રાકૃતિક સેક્સ કરે છે!

Tags :