નાનકડી રીસમાં ઘરેથી નીકળી ગયેલી યુવતીની ક્યારેક આવી દશા થાય છે
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- યુવતીને ફસાવ્યા પછી એ વેચાય નહીં ત્યાં સુધી એનો પૂરો લાભ લેવાની પવન શર્માની આદત હતી. એ રાત્રે શોભી પર બળાત્કાર કરવા માટે એણે પૂર્વ તૈયારી કરી રાખી હતી
- શોભી દેવલ
- પવન શર્મા-ફૂલમણી યાદવ
- પરિવારનો વિલાપ
- ધર્મશાળામાં શોભીની લાશ
આ જકાલ ગુનાખોરીના કિસ્સાઓમાં માસુમ યુવતીઓ રહેંસાઈ જતી જોવા મળે છે. વીસ-પચીસ વર્ષની યુવતીઓની આવી અત્યંત ક્ર હત્યા જોઈને દરેક સંવેદનશીલ વ્યક્તિના હૃદયમાં ચચરાટ થતો હશે. આ અંગે બળાપો ઠાલવતી વખતે એક વડીલ મિત્રે કહ્યું કે મા-બાપ પોતાની દીકરીને બહુ મોટી ડીગ્રી માટે નહીં ભણાવે તો ચાલશે, પણ નાનપણથી જ તાલીમ આપીને સાચા-ખોટા માણસની પરખ કરવાની આવડત દીકરીમાં કેળવાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. સહાનુભૂતિ દર્શાવનાર દરેક વ્યક્તિ આપણી હિતેચ્છુ નથી હોતી એટલી એને સમજણ આપવી જોઈએ. સામેની વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકતા અગાઉ એ વ્યક્તિ એને લાયક છે કે કેમ એટલું પારખવાની સૂઝ એનામાં વિકસે એ માટે મા-બાપે એને તૈયાર કરવી જરૂરી છે. પરિવારમાં બધા સભ્યો એકબીજા સાથે મુક્ત મનથી ચર્ચા કરે-પરસ્પર સંવાદનું વાતાવરણ હોય તો અરેરાટી ઉપજાવે એવી ઘટનાઓ ઓછી બને.
આજે ક્રાઈમવાચમાં ઉત્તરપ્રદેશના બરેલી શહેરની એક બદનસીબ યુવતીની વાત કરવાની છે. વીસ વર્ષની દેખાવડી આકાંક્ષા દેવલને કોઈ પ્રેમનું લફરું નહોતું. માત્ર રીસમાં જ ઘર છોડીને એ ભાગી અને શિકારીઓના હાથમાં ઝડપાઈ ગઈ. આકાંક્ષા બરેલીની કાલેજમાં એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરતી હતી. આકાંક્ષા નામ અઘરું લાગતું હતું એટલે પરિવારના બધા લોકો એને પ્રેમથી શોભી કહીને જ બોલાવતા હતા. ગુજરાતીમાં કમનસીબ છોકરી માટે 'બાળોતિયાંની બળેલી' એવો શબ્દપ્રયોગ વપરાય છે. આ વિશેષણ શોભીને બરાબર બંધબેસતું હતું. બરેલી પાસેના ગામમાં શોભીના માતા-પિતા રહેતા હતા. શોભીનો જન્મ થયો અને એ છ માસની હતી એ જ વખતે એની માતાનું અવસાન થયું. એના પિતાએ માતા અને પિતાની બેવડી ભૂમિકા સંભાળી લીધી. જેમ તેમ કરીને શોભી એક વર્ષની થઈ ત્યારે કુદરતે બીજો ફટકો માર્યો. એક માર્ગ અકસ્માતમાં શોભીના પિતાનું મૃત્યુ થયું. પિતૃપક્ષમાં કોઈ કાકા કે દાદા તો હતા નહીં-એટલે એક વર્ષની શોભી સાવ અનાથ બની ગઈ. એ વખતે એની માસીએ એને પોતાના ખોળામાં લીધી અને એને તેડીને પોતાની સાથે બરેલી લઈ ગઈ. શોભીની માતાના એ મોટા બહેનનું નામ ગાયત્રી પટવા. નવાબોની ગલીમાં એમનું ઘર હતું. લગીર પણ વેરો-આંતરો કર્યા વગર ગાયત્રીમાસીએ પોતાના સંતાનોની સાથે શોભીનો ઉછેર કર્યો. માત્ર એટલું જ નહીં, મારે મા-બાપ નથી એવું વિચારીને શોભીની લાગણી સહેજ પણ દુભાય નહીં એ માટે ગાયત્રીમાસી પોતાના સંતાનોથી પણ વિશેષ સ્નેહ શોભી પર વરસાવતા હતા.
એનું એક પરિણામ એ આવ્યું કે ઉંમર વધવાની સાથે શોભી જિદ્દી બની ગઈ. બારમું ધોરણ પાસ કરીને એણે કાલેજમાં પ્રવેશ લીધો એની સાથે જ એણે સ્માર્ટ ફોન માટે માગણી કરી અને ગાયત્રીમાસીએ એની એ જીદ પૂરી કરી. ગાયત્રીમાસીના પુત્રનું નામ રામુ પટવા. એ પોતાનો નાનકડો બિઝનેસ સંભાળીને એમાંથી ઠીક ઠીક કમાતો હતો. ગાયત્રીમાસીએ શોભી માટે સ્માર્ટફોન એની પાસે મંગાવ્યો ત્યારે રામુએ માતાને કહ્યું કે એને સાદો ફોન અપાવીશું તો પણ ચાલશે, એ વખતે ગાયત્રીમાસીએ દીકરાને કહ્યું કે તમે બધા સ્માર્ટ ફોન વાપરો છો તો શોભીને પણ એવો જ ફોન અપાવો. આ રીતે માસીની મહેરબાનીથી શોભીને સ્માર્ટ ફોન મળી ગયો.
સોનાની કટારી કેડે બંધાય, એને પેટમાં ના ખોસાય- એ સમજણ ગાયત્રીમાસીમાં હતી. એને લીધે શોભીની ફરમાઈશ તો એ પૂરી કરતા હતા પરંતુ એમાં અતિરેક ના થાય અને શોભી સરખી રીતે અભ્યાસ કરે એ માટે પણ એ સાવધ હતા. પરીક્ષા નજીક હોય અને શોભી જો ટીવી જોવામાં કે મોબાઈલ મચડવામાં સમય બગાડતી દેખાય તો એને ધમકાવવામાં પણ એ કોઈ કસર નહોતા છોડતા. પોતાની નાની બહેનની આ અનાથ દીકરીનું ભવિષ્ય ઉજ્જ્વળ બને એ માટે એ સતત ધ્યાન રાખતા હતા. રામુ પટવા પોતાની આ મસિયાઈ બહેનની કાળજી રાખતો હતો અને એની પત્ની ગૌરી પટવા પણ આ મસિયાઈ નણંદને સગી બહેનની જેમ જ સાચવતી હતી. આમ આ પરિવાર સુખ-શાંતિથી જીવતો હતો.
ઈ.સ. ૨૦૨૨ ના છેલ્લા દિવસે આ વાતાવરણ પલટાયું. થોડા દિવસ પછી જ શોભીને કાલેજની પરીક્ષા આપવાની છે એની ગાયત્રીમાસીને ખબર હતી. સામાન્ય દિવસોમાં ઘરકામમાં અને રસોઈમાં શોભી મદદ કરતી હતી, પરંતુ પરીક્ષા નજીક હોય એ દિવસોમાં ગાયત્રીમાસી શોભીને કોઈ કામ સોંપતા નહોતા. શોભી સામેથી આવે તો પણ એને કહેતા કે કામ હું પતાવી દઈશ, તું ભણવામાં ધ્યાન આપ.
તારીખ ૩૧-૧૨-૨૦૨૨ ના દિવસે માસીએ જોયું કે વાંચવા માટે થઈને શોભીને કોઈ કામ સોંપ્યું નથી, પણ આ બહેનબા વાંચવાને બદલે મોબાઈલમાં જ સમય પસાર કરે છે. સવારથી સાંજ સુધી એ શોભીનું આ નાટક જોઈ રહ્યા હતા. અંતે, એમનાથી ના રહેવાયું ત્યારે એમણે મોઢું ખોલ્યું. 'શોભીબેટા, સવારથી જોઉં છું કે તારા હાથમાંથી મોબાઈલ છૂટયો નથી. પરીક્ષા છે એટલે તને ઘરનું કોઈ કામ નથી ચીંધતી, પણ તું તો વાંચવાને બદલે રમતરોળિયાં જ કરે છે. મોબાઈલનું આટલું વળગણ ઠીક ના કહેવાય. મારી વાત સમજાય છે તને?'
'મને બધું સમજાય છે.' શોભીએ તરત વળતો પ્રહાર કર્યો. 'ટક ટક કર્યા વગર તમને ચેન નથી પડતું. મારે ટીવી નહીં જોવાનું, મારે મોબાઈલ નહીં વાપરવાનો, બહેનપણીઓ જોડે વાત નહીં કરવાની- બસ આખો દિવસ ભણ ભણ જ કરવાનું- એ જ તમારી ઈચ્છા છેને? મને મારી રીતે તમારે જીવવા જ નથી દેવી એટલે સતત ટોર્ચરિંગ કરો છો!'
'આમાં ટોર્ચરિંગની કોઈ વાત નથી, શોભીબહેન!' શોભીએ માસીને- પોતાના સાસુને જે જવાબ આપ્યો એ સાંભળીને ગૌરીથી ના રહેવાયું. વચ્ચે ઝંપલાવીને એણે શોભીને સમજાવ્યું. 'પરીક્ષા માથા ઉપર છે એટલે મમ્મીએ તમને ભણવાનું કહ્યું એમાં આ રીતે ચિડાઈને એમને જવાબ ના અપાય. એ જે કહે છે એ તમારા ભલા માટે જ કહે છે.'
'અમારી વાતમાં વચ્ચે પડવાની તમારે કોઈ જરૂર નથી.' શોભીએ તરત જ ગૌરીને સંભળાવ્યું. 'એ મારા સગા માસી છે એટલે અમે એકબીજાને ગમે તે કહીએ, એમાં તમારે ડબકાં મૂકવાની જરૂર નથી.' એના અવાજમાં પીડા ભળી. 'હું નાની કીકલી નથી, બધુંય સમજું છું. હું તમારી સગી નણંદ નથી, એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે મને હડધૂત કરવાની એકેય તક તમે છોડતા નથી.'
હવે ગાયત્રીમાસી પણ વચ્ચે બોલ્યા અને એમાં ઝઘડો જામ્યો. 'હું અનાથ છું અને અહીં આવીને તમારા માથે પડી છું એ તમને નથી ગમતું- એ હું જાણું છું. હું મારી રીતે મારો રસ્તો શોધી લઈશ.' રડીને આટલું કહીને શોભી પોતાના ઓરડામાં પૂરાઈ ગઈ. રાત્રે જમવા માટે માસી અને ગૌરીએ એને મનાવી પણ શોભી રૂમની બહાર ના આવી.
રાત્રે બધા સૂઈ ગયા પછી શોભી પોતાની બેગ લઈને ચૂપચાપ ઘરની બહાર નીકળી. ક્યાં જવું એની કોઈ સમજ તો હતી નહીં, પણ એ સીધી રેલ્વે સ્ટેશને પહોંચી ગઈ. મથુરા જતી ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી જ હતી. કશુંય વિચાર્યા વગર એ ટ્રેનમાં બેસી ગઈ. સાડા પાંચ કલાક પછી એ મથુરા પહોંચી ત્યારે સાવ નંખાઈ ગઈ હતી.વીસ વર્ષની ઉંમરમાં પહેલી વાર આ રીતે એકલા નીકળીને મુસાફરી કરી હતી. સવારના સાત વાગવા આવ્યા હતા. ઉજાગરાની અસર અને ઉચાટ વચ્ચે એ મૂંઝાતી હતી. વળતી ટ્રેનમાં જ પાછા બરેલી જતા રહેવાની પણ ઈચ્છા થતી હતી. હતાશ થઈને વિચારમગ્ન દશામાં એ વેઈટિંગ રૂમમાં જઈને બેસી ગઈ....
આ તરફ બરેલીના ઘરમાં સવારે ધમાલ મચી ગઈ. શોભી ક્યાં ગઈ? ગાયત્રીમાસી, રામુ અને ગૌરી ત્રણેય ચિંતામાં ડૂબી ગયા. શોભીનો મોબાઈલ સ્વીચઆફ આવતો હતો. રામુ અને ગૌરી શોભીની બધી બહેનપણીઓના ઘેર જઈ આવ્યા, પણ એમાંથી કોઈને કંઈ ખબર નહોતી. રિસાઈને ગઈ છે એટલે સાંજ સુધીમાં કદાચ એની જાતે જ પાછી આવી જશે એવી આશામાં એ લોકો રાહ જોઈને બેસી રહ્યા. બીજી જાન્યુઆરી,૨૦૨૩ ના દિવસે સવારમાં ગાયત્રીમાસી અને રામુએ કોટવાલી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી. એનો ફોટો, વર્ણન અને મોબાઈલ નંબર પોલીસને આપ્યાં. વીસ વર્ષની યુવતી ગૂમ થઈ હતી એટલે ઘૈંય્ અખિલેશ ચૌરસિયાએ વિવિધ ટીમને કામે લગાડી દીધી. રોજ સાંજે રામુ પોલીસસ્ટેશને જઈને તપાસ કરતો હતો. પાંચમી તારીખે પોલીસે એને જણાવ્યું કે શોભીનો મોબાઈલ ટ્રેસ થયો છે અને એ રાજસ્થાનમાં ભરતપુરની આસપાસનું લોકેશન બતાવે છે. રામુ ગૂંચવાયો. રાજસ્થાનમાં તો એમનું કોઈ ઓળખીતું હતું જ નહીં તો પછી શોભી ભરતપુર કેમ પહોંચી ગઈ?
સાતમી તારીખે રાત્રે શોભનામાસીના મોબાઈલની રિંગ વાગી. નંબર અજાણ્યો હતો એટલે એમણે ફોન રામુને આપ્યો. રામુએ ફોન ઉઠાવ્યો. 'તમને દુઃખ થાય એવા સમાચાર આપવા માટે ક્ષમા માગું છું.' દૌસા પાસે આવેલા મહેંદીપુર પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરે પોતાની ઓળખ આપીને કહ્યું. 'અહીં મહેંદીપુર બાલાજી મંદિરની ધર્મશાળાના રૂમમાંથી એક લાશ મળી છે. વીસેક વર્ષની યુવતીની એ લાશ સડી ગયેલી છે. એના સામાનમાંથી જે મોબાઈલ મળ્યો એમાં અગત્યના નંબરમાં આ નંબર હતો એટલે આપને ફોન કર્યો. જો એ યુવતી આપની પરિચિત હોય તો તાત્કાલિક મહેંદીપુર આવી જાવ!'
અમે આવીએ છીએ એટલો જવાબ આપીને રામુ ફસડાઈ પડયો. ભીની આંખે એણે માતા અને પત્નીને આ સમાચાર આપ્યા. ટેક્સી કરીને રામુ અને ગૌરી રાજસ્થાન મહેંદીપુર પહોંચ્યા. બાલાજી મંદિરની ધર્મશાળાના તેર નંબરના રૂમમાં રજાઈથી ઢાંકેલી શોભીની અર્ધનગ્ન લાશ જોઈને એ બંને હચમચી ઉઠયા.
'બીજી તારીખે બપોરે બાર વાગ્યે એક યુવાન અને યુવતીની સાથે આ યુવતી ધર્મશાળામાં આવેલી. એ યુવાને રૂમ બૂક કરાવ્યો અને એ પછી એ ત્રણેય રૂમમાં ગયેલા.' પોલીસે એમને જાણકારી આપી. 'મેનેજર કરણસિંહે જણાવ્યા મુજબ ત્રીજી તારીખે સવારે પેલું કપલ રૂમને તાળું વાસીને જતું રહ્યું. એ પછી બીજા દિવસે બપોરે બાજુના રૂમમાં હતા એ યાત્રિકે ફરિયાદ કરી કે ગંધ આવે છે. કંઈક અજુગતું બન્યાની શંકા પડી એટલે મેનેજરે અમને જાણ કરી. અમે તાળું તોડીને જોયું તો આ અર્ધનગ્ન લાશ પર રજાઈ ઓઢીને પેલું કપલ ગાયબ થઈ ગયું હતું. લાશની ગરદન ઉપરના નિશાન જોઈને તરત ખ્યાલ આવી ગયો કે ગળું દબાવીને આ બાપડીની હત્યા કરવામાં આવી છે!' રામુ અને ગૌરીને પોલીસે ધરપત આપી. 'રૂમ બૂક કરાવતી વખતે પેલાએ આધારકાર્ડની ઝેરોક્સ આપેલી. એના આધારે અમારા એસ.પી. સાહેબે ટીમો બનાવીને તપાસ ચાલુ કરાવી દીધી છે.'
લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસે રામુને લાશનો કબજો સોંપ્યો.
એ લોકો લાશને લઈને બરેલી પહોંચ્યા, એના બીજા દિવસે પોલીસની ટીમે પેલા બંનેને પકડી લીધા. પ્રેસ કોન્ફરન્સમાં સંજીવ નૈને જાણકારી આપી.
અલીગઢનો પવન શર્મા અને એની પ્રેમિકા આઝમગઢની ફૂલમણી યાદવ-આ બંનેનો લોહીના વેપારનો ધંધો હતો. અલગ અલગ રેલ્વે સ્ટેશન પર ફરીને આ બંને ગરીબડી અને લાચાર યુવતીને શોધી કાઢતા. એ પછી એને ફસાવીને કોઠા પર વેચી દેતા. એમાંય ઘેરથી ભાગેલી કોઈ રૂપાળી યુવતીને તો ખાસ નિશાન બનાવતા. મથુરા રેલ્વેસ્ટેશનના વેઈટિંગ રૂમમાં શોભીને જોઈને એમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ ઈઝી ટાર્ગેટ છે. ફૂલમણીએ શોભી સાથે પ્રેમથી વાતો કરીને એને પટાવી અને કહ્યું કે દૌસા પાસે મહેંદીપુર બાલાજીમંદિર ચમત્કારિક છે અને ત્યાં માનતા માનીશ તો તારી બધી ઈચ્છા પૂરી થશે. અમે લોકો ત્યાં જ જઈએ છીએ. અમારી સાથે આવ. ભોળી શોભી ભરમાઈ ગઈ. એ લોકો એને મહેંદીપુર લઈ ગયા. ત્યાં ધર્મશાળામાં રૂમ રાખ્યો. યુવતીને ફસાવ્યા પછી એ વેચાય નહીં ત્યાં સુધી એનો પૂરો લાભ લેવાની પવન શર્માની આદત હતી. એ રાત્રે શોભી પર બળાત્કાર કરવા માટે એણે પૂર્વ તૈયારી કરી રાખી હતી. રાત્રે શોભીની ચામાં એણે ઘેનની દવા મેળવેલી. એ પછી એણે બળાત્કારનો પ્રયાસ કર્યો ત્યારે તંદ્રાવસ્થામાં પણ શોભીએ પૂરી તાકાતથી એનો સામનો કર્યો. પવન શર્મા ધૂંધવાયો. હોશમાં આવીને આ છોકરી ચીસાચીસ કરશે એવી એને બીક લાગી. રાક્ષસી તાકાતથી એણે શોભીની ગરદન દબાવી દીધી. શોભીને મારી નાખ્યા પછી એની લાશ પર રજાઈ ઓઢાડીને રૂમને તાળું વાસીને સવારે એ બંને રફૂચક્કર થઈ ગયા. ધર્મશાળામાં રૂમ બૂક કરાવતી વખતે એણે આધારકાર્ડની કોપી આપેલી એમાં મોબાઈલ નંબર હતો. એ ટ્રેસ કરીને અમારી ટીમે મહેનત કરીને એમને ઝડપી લીધા!
નાનકડી રીસમાં ઘર-પરિવાર છોડીને નીકળેલી નિર્દોષ યુવતી નિર્દયી નાલાયકોની જાળમાં ફસાઈને જિંદગી ગૂમાવી બેઠી!